ગાંધીનગર: જાહેર પરિવહનની જીવાદોરી સમાન ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) એટલે કે ગુજરાત એસટીના ખાનગીકરણ અને કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો મુદ્દે હવે મોટો વિવાદ સર્જાયો છે. એસટી નિગમની મનમાની સામે કર્મચારીઓએ બાંયો ચડાવી છે અને ‘ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ’ દ્વારા આગામી 18 થી 25 જૂન સુધી રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે.
કર્મચારીઓનો રોષ શા માટે છે?
એસટીના કર્મચારીઓ અને યુનિયનના વિરોધ પાછળના મુખ્ય કારણો અને માંગણીઓ નીચે મુજબ છે.
ખાનગીકરણનો વિરોધ : કરોડો રૂપિયા ચૂકવીને ખાનગી એજન્સી પાસેથી બસો ભાડે લેવાના નિગમના નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ છે.
આઉટસોર્સિંગથી ભરતી : 4,000 જેટલા ડ્રાઈવર અને કંડક્ટરની આઉટસોર્સિંગ (કોન્ટ્રાક્ટ) થી ભરતી કરવાના નિર્ણયનો સખત વિરોધ થઈ રહ્યો છે.
પડતર પ્રશ્નો : સાતમું પગાર પંચ સત્વરે લાગુ કરવું અને છેલ્લા દોઢ વર્ષથી બાકી રહેલા ચડત મોંઘવારી ભથ્થા (DA) ના અરિયર્સની ચૂકવણી કરવી.
કોન્ટ્રાક્ટ પ્રથા : નિગમમાં ચાલતી કોન્ટ્રાક્ટ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આંદોલનની રણનીતિ અને કાર્યક્રમની રૂપરેખા
ગુજરાત એસટી મઝદૂર મહાસંઘ દ્વારા આંદોલનને વેગ આપવા માટે તબક્કાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
18, 19 અને 20 જૂન : આ ત્રણ દિવસ દરમિયાન એસટીના તમામ કર્મચારીઓ ફરજ પર હાથ પર ‘કાળી પટ્ટી’ બાંધીને મૌન વિરોધ દર્શાવશે.
22 અને 23 જૂન : રાજ્યના વિવિધ બસ ડેપો, વર્કશોપ અને વિભાગીય કચેરીઓની બહાર કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરશે તેમજ ઘંટનાદ સાથે રામધૂન બોલાવીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરશે.
24 જૂન : ડિજિટલ પ્લેટફોર્મ પર વિરોધ. કર્મીઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી તેમજ નિગમના વડાને ટેગ કરીને સોશિયલ મીડિયા પર આંદોલન ચલાવશે.
25 જૂન : આખરે સવારે 11 વાગ્યાથી નિગમની મુખ્ય તથા તમામ વિભાગીય કચેરીઓ સામે કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ધરણાં પર બેસીને ઉગ્ર દેખાવો કરશે.
આ પણ વાંચો – દિલ્હી બાદ હવે બિહારમાં અગ્નિકાંડ: મુઝફ્ફરપુરની પ્રસાદ હોસ્પિટલના ICU માં ભીષણ આગ, 15 દર્દીઓના મોતની આશંકા
