- સોપારી કિલિંગ લૂંટમાં ફેરવાયું ; માતાની ગળું દબાવી હત્યા, 10 લાખ રોકડા અને સોનાના દાગીના લૂંટાયા
અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે છત્તીસગઢના રાયપુરમાં વર્ષ 2021માં બનેલા ચકચારી હત્યા અને લૂંટના ‘અનડિટેક્ટ’ કેસનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી અજયકુમાર ઉર્ફે લક્ષ્મીસાગર ઉર્ફે કિંમતીશ્રી રાજનારાયણ મિશ્રાને ઝડપી પાડી, વર્ષો જૂના ગુનાને ઉકેલી નાખ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, રાયપુરના ટીકરાપાડા વિસ્તારમાં રહેતી શકુંતલા યાદવની તેમના જ ઘરે ગળું દબાવી હત્યા કરી લૂંટ ચલાવવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ ઘટના પાછળ સોપારી કિલિંગનો એંગલ હતો, જે બાદમાં લૂંટમાં ફેરવાઈ ગયો હતો.
મિલકત વિવાદથી શરૂ થયેલો કાવતરું
મરણજનાર શકુંતલા યાદવ અને તેમના નાના દીકરા અમિત યાદવને મોટા દીકરા અજય યાદવ સાથે મિલકત મુદ્દે વારંવાર વિવાદ થતો હતો. આ વિવાદને અંત આપવા માટે અજય યાદવને મારવાની સોપારી આપવામાં આવી હતી.
આ માટે અમિત યાદવે રાયપુરની નારાયણ હોસ્પિટલમાં કામ દરમિયાન ઓળખાણ થયેલા સિક્યુરિટી ગાર્ડ અજયકુમાર મિશ્રાને રૂ. 4 લાખમાં સોપારી આપી હતી અને રૂ. 1 લાખ એડવાન્સ ચૂકવ્યો હતો. જોકે, આરોપી પૈસા લઈને ગાયબ થઈ ગયો હતો.
સોપારી લેનાર જ હત્યારો બન્યો
થોડા મહિનાઓ બાદ શકુંતલાબેન અને અમિત યાદવે આરોપી પર દબાણ કરતાં, તેણે કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ આરોપી પોતાના સાથી કેતન ઉર્ફે કે.ટી. રામસુંદર તિવારી સાથે શકુંતલાબેનના ઘરે પહોંચ્યો હતો.
તે સમયે અમિત યાદવ જેલમાં હોવાને કારણે શકુંતલાબેન એકલા હતા. આરોપીઓની નीयત બગડતાં, તેમણે સોપારીના કામને બદલે લૂંટનો પ્લાન બનાવ્યો. બીજા દિવસે સવારે બંનેએ મળીને દોરી વડે ગળું દબાવી શકુંતલાબેનની હત્યા કરી અને ઘરેથી આશરે રૂ. 10 લાખ રોકડા તથા 30થી 35 તોલા સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા.
ડિજિટલ સાયલન્સ અને સતત સ્થળાંતરથી બચતો રહ્યો
હત્યા બાદ આરોપીઓએ લૂંટેલું સોનું ઉત્તર પ્રદેશના કૌશમ્બીમાં વેચી દીધું હતું. પોલીસથી બચવા માટે મુખ્ય આરોપીએ મોબાઈલ ફોનનો ઉપયોગ બંધ કરી દીધો હતો અને આધાર-પાન કાર્ડ જેવી ઓળખનો ઉપયોગ ટાળ્યો હતો.
આરોપી ગોવા, મુંબઈ સહિત અનેક શહેરોમાં ભટકતો રહ્યો અને અંતે 2022માં અમદાવાદના નરોડા વિસ્તારમાં છુપાઈને રહેતો હતો.
ટેકનિકલ ઇન્ટેલિજન્સથી મળ્યો સૂરાગ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને બાતમીદારોના આધારે આરોપીની ઓળખ મેળવી તેની ધરપકડ કરી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ છત્તીસગઢની રાયપુર પોલીસ સાથે સંકલન કરી રહી છે, જેથી આરોપીને ટ્રાન્સફર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ શકે.
આ સમગ્ર ઓપરેશન PSI ગોપાલ ભરવાડ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો – અમદાવાદ રેલવે પોલીસની ફિલ્મી ઢબે કાર્યવાહી : દિલ્હીમાંથી ગુજરાતના રીઢા ટ્રેન લૂંટારૂને દબોચ્યો
