કાનૂની જગતમાં મોટો ખળભળાટ: ૬ વર્ષથી જેલમાં બંધ આરોપીને જામીન આપતા સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદાઓ પર નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હી: દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં જેલમાં બંધ જેએનયુ (JNU) ના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને જામીન ન આપવાના પોતાના જ અગાઉના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું છે કે ઉમર ખાલિદના કેસમાં જામીન નકારતી વખતે અદાલતના જ એક જૂના અને સીમાચિહ્નરૂપ ચુકાદાની અવગણના કરવામાં આવી હતી.
કાનૂની વેબસાઈટ ‘લાઈવ લો’ (Live Law) ના અહેવાલ અનુસાર, જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે, ઉમર ખાલિદને જામીન ન આપવાનો નિર્ણય ૨૦૨૧ના ત્રણ જજોની બેન્ચના ‘યુનિયન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ કે.એ. નજીબ’ ના ઐતિહાસિક ચુકાદાનું યોગ્ય રીતે પાલન કરતો નથી.
શું છે ‘કે.એ. નજીબ’ ચુકાદો અને નવો આદેશ?
વર્ષ ૨૦૨૧ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કાયદો ઘડ્યો હતો કે જો કોઈ કેસની સુનાવણી (ટ્રાયલ) ખૂબ લાંબી ખેંચાય અને નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂરી થવાની કોઈ શક્યતા ન હોય, તો ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ—UAPA (યુએપીએ) જેવા કડક કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓમાં પણ આરોપીને જામીન આપી શકાય છે. બંધારણની કલમ ૨૧ હેઠળ મળેલા જીવવાના અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને કોઈ કાયદો છીનવી શકે નહીં.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ અવલોકનો સૈયદ ઇફ્તિખાર અન્દ્રાબી નામના આરોપીના જામીન મંજૂર કરતી વખતે કર્યા હતા. અન્દ્રાબી છેલ્લા ૬ વર્ષથી જેલમાં બંધ છે અને તેમના પર ડ્રગ્સની તસ્કરી (માદક પદાર્થોની હેરાફેરી) દ્વારા આતંકવાદને ફંડિંગ પૂરું પાડવાનો આરોપ છે.
જામીન એ નિયમ છે અને જેલ અપવાદ!
અદાલતે આકરા શબ્દોમાં ઉમેર્યું કે, “ઉમર ખાલિદને જામીન ન આપવાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચના આદેશનું પાલન કરવામાં આવ્યું નહોતું. ‘જામીન એ નિયમ છે અને જેલ એક અપવાદ છે’ (Bell is a rule, Jail is an exception) નો સનાતન સિદ્ધાંત યુએપીએ જેવા કડક અને જટિલ કાયદાઓમાં પણ એટલો જ લાગુ પડે છે.”
આ સાથે જ, સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૨૪ માં આવેલા ‘ગુરવિંદર સિંહ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા’ ના ચુકાદા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે તે ચુકાદામાં પણ અદાલતે અગાઉના ‘કે.એ. નજીબ’ કેસના સિદ્ધાંતોને લાગુ કર્યા નહોતા. સુપ્રીમ કોર્ટની આ નવીનતમ ટિપ્પણી બાદ હવે યુએપીએ કાયદા હેઠળ લાંબા સમયથી જેલમાં બંધ અનેક રાજકીય કે સામાજિક કાર્યકર્તાઓની જામીન અરજીઓ માટે એક નવો કાનૂની માર્ગ ખૂલવાની શક્યતા સેવાઈ રહી છે.
આ પણ વાંચો – નેધરલેન્ડ્સથી પીએમ મોદીની ચેતવણી : “જો સ્થિતિ નહીં સુધરે તો દાયકાઓની કમાણી ધોવાઈ જશે, ગરીબી વધશે”
