- ન્યાયમાં થતો વિલંબ જનતાના વિશ્વાસને નબળો પાડે છે, વ્યક્તિગત સ્વતંત્રતાના મામલે બેદરકારી બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: દેશની અદાલતોમાં કેસોના ચુકાદાઓ સુરક્ષિત (Reserved) રાખ્યા બાદ તેને સંભળાવવામાં થતા લાંબા વિલંબને લઈને સુપ્રીમ કોર્ટે શુક્રવારે, ૨૯ મેના રોજ એક અત્યંત કડક અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટને સખત માર્ગદર્શિકા જારી કરતા સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ કેસમાં સુનાવણી પૂર્ણ થયા બાદ ૩ મહિનાની અંદર સુરક્ષિત ચુકાદો ફરજિયાતપણે સંભળાવવો પડશે.
ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે ‘પીલા પાહન વિરુદ્ધ ઝારખંડ રાજ્ય’ કેસની સુનાવણી કરતી વખતે આ ઐતિહાસિક ગાઈડલાઈન્સ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે સખત શબ્દોમાં ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ચુકાદાઓ આપવામાં થતો વિલંબ ન્યાય વ્યવસ્થા પરના જનતાના વિશ્વાસને નબળો પાડે છે. ખાસ કરીને જ્યારે વાત વ્યક્તિગત સ્વતંત્રતા (Personal Liberty) સાથે જોડાયેલા કેસોની હોય, ત્યારે આવી બેદરકારી બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલી મુખ્ય ગાઈડલાઈન્સ અને દિશા-નિર્દેશો નીચે મુજબ છે.
૧. સુરક્ષિત ચુકાદાઓ માટે ૩ મહિનાની ડેડલાઈન
હાઈકોર્ટમાં કોઈપણ કેસની અંતિમ દલીલો (Final Arguments) પૂર્ણ થયા બાદ જો ચુકાદો સુરક્ષિત રાખવામાં આવે, તો તે વધુમાં વધુ ૩ મહિનાની અંદર સંભળાવવો જોઈએ. આ ઉપરાંત, અંતિમ દલીલો પૂર્ણ થવાની અને ચુકાદો સુરક્ષિત રાખ્યાની તારીખ હાઈકોર્ટની વેબસાઇટ પર ફરજિયાતપણે દેખાવી જોઈએ.
૨. જામીન (Bail) અરજીઓ પર ૨૪ કલાકમાં નિર્ણય
તે જ દિવસે આદેશ: સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વ્યક્તિગત સ્વતંત્રતા અને જામીન સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ થયા બાદ આદર્શ રીતે તે જ દિવસે આદેશ સંભળાવી દેવો જોઈએ.
મહત્તમ ૨૪ કલાકની મર્યાદા: જો કોઈ અનિવાર્ય કારણસર જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખવો પડે, તો પણ તે મહત્તમ ૨૪ કલાકમાં એટલે કે બીજા જ દિવસે સંભળાવવો જોઈએ. એટલું જ નહીં, આ ચુકાદાને તાત્કાલિક ધોરણે કોર્ટની વેબસાઇટ પર અપલોડ પણ કરવો પડશે.
આ પણ વાંચો – ઇન્ડિયા ગઠબંધનની 6 જૂને બેઠક, ભાજપ સામે વિપક્ષ કેટલો એકજૂથ થઈ શકશે?
