આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર અશાંતિનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં ઈરાનની સરહદ નજીક બે કોમર્શિયલ જહાજો પર ગોળીબારની ઘટના સામે આવતા વૈશ્વિક સ્તરે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ ઘટનામાં ખાસ ચિંતાનો વિષય એ છે કે ટાર્ગેટ કરવામાં આવેલા જહાજોમાં એક ભારતીય જહાજ પણ સામેલ છે, જે ગુજરાતના મુંદ્રા પોર્ટ તરફ આવી રહ્યું હતું.
રોયટર્સના અહેવાલ મુજબ, હોર્મુઝની ખાડીમાં ઈરાનના ‘ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, IRGCની ગનબોટ જહાજોની અત્યંત નજીક આવી ગઈ હતી અને ત્યારબાદ અચાનક ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં પનામા અને લાઈબેરિયાના ધ્વજ ધરાવતા જહાજોની સાથે ભારતીય જહાજ ‘એપામિનોંડાસ’ (Epaminondas) ને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈરાનના સરકારી મીડિયાના દાવા મુજબ, આ જહાજોને હાલમાં કબજે કરીને ઈરાન લઈ જવામાં આવી રહ્યા છે.
ભારતીય જહાજ અને ગુજરાત કનેક્શન
ભારતીય ધ્વજ ધરાવતું જહાજ ‘એપામિનોંડાસ’ દુબઈથી નીકળ્યું હતું અને ગુજરાતના કચ્છ સ્થિત મુંદ્રા પોર્ટ પર આવવાનું હતું. આ જહાજ કિંમતી કાર્ગો લઈને આવી રહ્યું હતું ત્યારે જ ઈરાની સીમા પાસે તેને આંતરવામાં આવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલા પહેલા કોઈ પણ પ્રકારનો રેડિયો સંપર્ક કરવામાં આવ્યો ન હતો, જેના કારણે ક્રૂ મેમ્બરોને બચાવની તક મળી ન હતી.
નુકસાન અને સુરક્ષા
રાહતની વાત એ છે કે આટલા મોટા હુમલા છતાં કોઈ પણ ક્રૂ મેમ્બરને જાનહાનિ કે ઈજા થઈ હોવાના સમાચાર નથી. જહાજ પર રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) થી પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે લાઈબેરિયાના કન્ટેનર જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે. જોકે, કોઈ પણ જહાજમાં આગ લાગી નથી કે દરિયામાં કોઈ પર્યાવરણીય પ્રદૂષણ (તેલ ગળતર) ફેલાયું નથી. યુનાઈટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) એ પુષ્ટિ કરી છે કે જહાજના કેપ્ટને હુમલા પહેલા ગનબોટ પર સવાર ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને જોયા હતા.
વૈશ્વિક વેપાર પર અસર
હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વના તેલ અને ગેસ સપ્લાય માટેની લાઈફલાઈન સમાન છે. મધ્ય પૂર્વમાં પહેલેથી જ ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે અસ્થિરતા પ્રવર્તી રહી છે, ત્યારે ઈરાન દ્વારા કરવામાં આવેલા આ પગલાએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. ભારત માટે પણ આ ચિંતાનો વિષય છે કારણ કે આપણો મોટો વેપાર આ જ માર્ગે થાય છે. જો આવા હુમલા વધશે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને વીમાના દરોમાં વધારો થઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.
હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદાય અને ભારત સરકાર આ મામલે ઈરાન સાથે રાજદ્વારી સ્તરે સંપર્કમાં હોવાનું મનાય છે જેથી જહાજ અને ક્રૂ સભ્યોને વહેલી તકે છોડાવી શકાય. સમુદ્રી માર્ગો પર વધતી જતી આ હિંસા વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો – જ્હાલમુરી : બંગાળની રાજકીય ગરમાહટનો જીવંત રૂપક
