- પાલનપુરમાં ‘માનવતા’ને સાર્થક કરતા બે દેવદૂત : ડૉ. હાર્દિક પટેલ અને ડૉ. વિશાલ પટેલની પ્રેરણાદાયી સેવાયાત્રા
- મોતના મોઢામાંથી નવજીવન આપતા રિયલ હીરો : પાલનપુરમાં માનવતા મહેકાવતા ડો. હાર્દિક પટેલ અને ડો. વિશાલ પટેલ
તુંવર મુજાહિદ, પાલનપુર : વર્તમાન સમયમાં જ્યારે તબીબી ક્ષેત્ર એક વ્યવસાય બની ગયું છે, ત્યારે પાલનપુરના એરોમા સર્કલ પાસે આવેલી ‘માનવતા હોસ્પિટલ’ સાચા અર્થમાં સેવાનું મંદિર બની રહી છે. અહીં પ્રેક્ટિસ કરતા એમ.ડી. ફિઝિશિયન ડૉ. હાર્દિક પટેલ અને ડૉ. વિશાલ પટેલ (ફુગશિયા) એ માત્ર નિદાન જ નથી કરતા પણ જીવન સાથેની જંગમાં હારના દાદરે ઉભેલા દર્દીઓને જીતાડીને નવજીવન પણ આપે છે.
જ્યારે અન્ય ડોક્ટરોએ આશા છોડી હતી, ત્યારે આ બંનેએ ચમત્કાર કર્યો!
આ આર્ટિકલ લખવા પાછળ એક જ હેતું છે કે, લોકો સુધી એવા ડોક્ટરોની સેવાની માહિતી પહોંચાડવી છે કે જેઓ પોતે પણ માનવતાને જીવંત રાખવાના યજ્ઞમાં જોડાયેલા છે. મારા જીવનના કેટલાક જીવંત કિસ્સોઓ હું ટાંકી રહ્યો છું. જેથી તેમની માનવ સેવાને વ્યવસ્થિત રીતે સમજી શકાય અને આગળ વધારી શકાય.
પાંચ વર્ષ પહેલા એક દર્દીને એક હોસ્પિટલના ડોક્ટરોએ “ઘરે લઈ જઈ સેવા કરો” તેમ કહીને રજા આપી દીધી. પરિવાર દ્વિધામાં પડ્યો કે, હવે શું કરવું? હોસ્પિટલ માટે ભલેને કોઈપણ વ્યક્તિ દર્દી જ હોય પરંતુ પરિવાર માટે તો એક પિતા-પતિ અને જવાબદાર વ્યક્તિ હોય છે. તેમના માટે તો તેમનો જીવ જ જીવન હોય છે.
બિમાર દર્દીના પરિવારમાં બે દીકરીઓ અને એક દિકરાનો વલોપાત જોતા ઘરે લઈ જવાની જગ્યાએ મહાજન સંસ્થાની ચાલતી હોસ્પિટલમાં ખસેડ્યા, તે સમયે મહાજન હોસ્પિટલમાં ડૉ. હાર્દિક પટેલ અને ડૉ. વિશાલ પટેલ સેવા આપતા હતા. આ બંને ડોક્ટરોએ પોતાની તમામ આવડત દર્દીને બચાવવામાં જોંકી દીધી. તેમને પરિણામની ચિંતા કર્યા વગર ભગવાન ઉપર ભરોશો રાખીને સારવાર કરવામાં જરા પણ કચાશ રાખી નહીં અને હાર પણ માની નહીં. પરિણામ એ આવ્યું કે, વડીલ આજે અડીખમ ઊભા છે. સ્વસ્થ થયા પછી પોતાની એક દીકરીના લગ્ન પણ કરાવ્યા અને અત્યારે તેઓ પોતાની દીકરીના જોડીયા બાળકો રમાડવાનો આનંદ ઉઠાવી રહ્યા છે.
તમને જાણીને અચરજ લાગશે કે, તે વખતે એક ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, કાકાનો દિવો ગમે ત્યારે બૂઝાઈ શકે છે. આ સાંભળી પરિવાર ગંભીર ચિંતામાં હતો અને સઘળી આશા ખોઈ બેઠો હતો. પરંતુ વિશાલ પટેલ અને હાર્દિક પટેલની સારવાર પછી ભગવાનને પણ ચમત્કાર કરવો પડ્યો!
ના કોઈ અહંકાર, ના કોઈ આડંબર
ડૉ. હાર્દિક અને ડૉ. વિશાલનો સરળ સ્વભાવ તેમની આગવી ઓળખ છે. તેમની પાસે આવનાર દર્દી રંક હોય કે રાજા, સારવારમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. કોઈ વધારાની દવા નહીં કે બિનજરૂરી દાખલ કરવાની કોઈ પળોજણ પણ નહીં. તેઓ જેવી રીતે બીમારીને પકડી પાડે છે, તેવી જ રીતે ગરીબ દર્દીની મજબૂરીને પણ ઓળખી લે છે. આમ, વર્તમાન સમયમાં દર્દીની મજબૂરી ઓળખનારા ડોક્ટરોની યાદી ખૂબ જ ટૂંકી છે, જેમાં બંને ડોક્ટર મોખરે છે.
પોતાના કાર્યક્ષેત્ર બહારની બિમારી હોય તો પણ દર્દીને યોગ્ય સલાહ અને યોગ્ય ડોક્ટરના દરવાજા સુધી પહોંચાડવાની નૈતિક જવાબદારી નિભાવવામાં પણ બંને ડોક્ટર પાછી પાની કરતાં નથી. તેમનો એકમાત્ર હેતુ- હોસ્પિટલમાં આવેલા વ્યક્તિનો જીવ બચાવવો. સૌથી મોટી બાબત તો તે છે કે, દર્દીને બચાવવાની સાથે-સાથે પરિવાર આર્થિક રીતે પાયમાલ ન થાય તેની પણ તકેદારી અને ચિંતા રાખવી, જે અન્ય કોઈપણ હોસ્પિટલમાં જોવા મળતી નથી.
વર્તમાન સમયમાં સારા ડોક્ટર શોધવા એ રણમાં પાણી શોધવા સમાન છે. પાલનપુરમાં ગણ્યા-ગણાય નહીં તેટલા ડોક્ટર છે, પરંતુ વિશ્વાસપાત્ર ડોક્ટર ગણ્યા ગાંઠ્યા જ છે. મહેનત અને ઈમાનદારીથી દર્દીઓના સ્વાસ્થ્યને તંદુરસ્ત કરવાનું ભગીરથ કાર્ય આ બંને ડોક્ટર થકી માનવતા હોસ્પિટલમાં મહેકી રહ્યું છે. ડૉ. સાહેબ સાથેનો આત્મીય ભાવ આજે અનેક દર્દીઓના જીવનમાં વિશ્વાસનો દીપ પ્રગટાવી રહ્યો છે.
25 હજારનું બિલ માત્ર 1500માં!
આવો જ એક અન્ય કિસ્સો પણ અહીં કહેવો રહ્યો, જેમાં લાખોમાં ભાગ્યેજ જોવા મળતી ‘થ્રાઈમસ ગ્રંથી’ની બીમારી ધરાવતા એક બેન, કે જેમની સારવાર અમદાવાદના જાણીતા ન્યૂરો સર્જન ડોક્ટર સુધીર શાહ પાસે ચાલતી હતી. તેમની દવાના કારણે બેનની બિમારીના વળતા પાણી થયા, હાલમાં સુધીર શાહે બેનનો કેસ તેમની દીકરી ડૉ. હેલી શાહને ટ્રાન્સફર કર્યો છે, તેમની દવાથી દર્દીને બિમારીમાં ઘટાડાની સાથે હવે રાહત છે.
જોકે, કોઈ વખત અચાનક મગજની ખેંચ આવીને તેઓ બહેશો થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં ઝડપી અમદાવાદ પહોંચવું પણ લગભગ અશક્ય જેવું જ હોય છે. તેથી ઇમરજન્સીમાં પાલનપુરના જ એક જાણીતા ડોક્ટર પાસે બેનની સારવાર કરાવવા માટેની સલાહ આપવામાં આવી. તેથી જ્યારે પણ આ ડોક્ટરને ત્યાં સારવાર અર્થે જવાનું થાય તો ત્યાં બે-ત્રણ દિવસ દાખલ રહવાનું અને બિલ પણ પચ્ચીસથી ત્રીસ હજાર રૂપિયા જેટલું બની જતું. તેથી અંતે ડૉ. હેલીબેન સાથે ડૉ. વિશાલ પટેલની વાત કરાવીને ઇમરજન્સીના સમયે માનવતા હોસ્પિટલમાં જ સારવાર લેવાનું નક્કી કરવામાં આવ્યું.
તેથી હવે જ્યારે પણ બેન બહોશ થાય ત્યારે તેમને માનવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. જ્યાં ડૉ. વિશાલ પટેલ દ્વારા તેમને સારવાર આપવામાં આવે છે અને રિકવરી પણ ઝડપથી આવી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, એક જ દિવસમાં બેનને ભાનમાં લાવીને સાંજ સુધીમાં તો ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવે છે. મહત્ત્વપૂર્ણ છે કે, માનવતા હોસ્પિટલમાં પરિવારને આર્થિક રીતે પણ મોટો ફટકો પડતો નથી. માત્રને માત્ર પંદરશોથી બે હજાર રૂપિયાના ખર્ચમાં બેનની તમામ સારવાર થઈ જાય છે. જે પરિવાર માટે પણ ખૂબ જ મોટી રાહતની વાત છે. આ બાબત સાબિતી પૂરે છે કે માનવતા હોસ્પિટલમાં ડોક્ટરોને પૈસાની ભૂખ નથી, પણ સેવાની તરસ છે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં દવા-દારૂનો ખર્ચો એટલો બધો વધી ગયો છે કે, ડોક્ટરો દર્દીને તો બચાવી લે છે પરંતુ તેનો આર્થિક ખર્ચ એટલો બધો આવી જાય છે કે, આખા પરિવારને દેવામાં ધકેલી દે છે. આવા કપરા સમયમાં પણ માનવતા હોસ્પિટલ એકદમ ઓછા ખર્ચે લોકોનું મહામૂલું જીવન બચાવવાનું ભગીરથ અને અવિરત કાર્ય કરી રહી છે.
હજુ પણ “માનવતા” હાજરાહજૂર
અત્યાર સુધીના જીવનમાં અનેક ડોક્ટરો પાસેથી સારવાર કરાવી અને તેમનો અનુભવ થયો પરંતુ માનવતા હોસ્પિટલનો અનુભવ જ આખો અદ્વિતીય અને તેમની માનવતા હાજરાહજૂર લાગી રહી છે. એક બાબત તો ચોક્કસ છે કે તેઓ માણસ અને તેના જીવની કિંમત જાણે છે. ગરીબની પૈસાની ગડમથલ અને માનસિક મનોસ્થિતિ તેઓ દર્દીના મોઢા ઉપર સ્પષ્ટ રીતે જોઈ શકે છે. દર્દી પાસે પૈસાની અછતને જાણે તેઓ પારખી લે છે. તેઓ જે રીતે બિમારીને પકડી પાડે છે, તેવી જ રીતે દર્દીની મજબૂરીને પણ ભલીભાતી રીતે ઓળખી લે છે.
સંકલ્પ સેવાનો, અભિગમ માનવતાનો
માનવતા પાલનપુરની એક એવી હોસ્પિટલ છે કે, જ્યાં “માનવતા” હજુ પણ અકબંધ છે. અન્ય હોસ્પિટલોમાં જ્યાં કામ કરતો સ્ટાફ પણ સંવેદનહીન થઈ ગયો હોય, તેવામાં અહીંના સ્ટાફ અને ડૉક્ટરોમાં જોવા મળી રહેલી સાતત્યપૂર્ણ સંવેદનશીલતા ખરેખર આવકારદાયક છે. ડોક્ટરો સહિત દર્દીઓ માટે સતત કાળજીપૂર્વક સેવારત રહેતા અહીંના સ્ટાફે “માનવતા” હોસ્પિટલનું નામ સાર્થક કર્યું છે. ડૉ. હાર્દિક પટેલ અને ડૉ. વિશાલ પટેલ તેમજ માનવતા હોસ્પિટલનું નામ આજે માત્ર પાલનપુર પૂરતું સીમિત ન રહેતા ચોતરફ પોતાની ગૌરવસિદ્ધિ ફેલાવી રહ્યું છે.
આ પણ વાંચો – બંગાળ અને તમિલનાડુમાં વિપક્ષી દિગ્ગજોની હાર: દેશમાં ‘વિપક્ષ મુક્ત રાજનીતિ’ તરફ આગળ વધતું ભાજપ?
