વોશિંગ્ટન/નવી દિલ્હી (વિશેષ અહેવાલ) : અમેરિકાની સરકારી સંસ્થા યુએસસીઆઈઆરએફ (યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ)એ તેની 2026ની વાર્ષિક રિપોર્ટમાં ભારતને ‘કન્ટ્રી ઓફ પાર્ટિક્યુલર કન્સર્ન’ (ખાસ ચિંતાનો દેશ) જાહેર કરવાની ભલામણ કરી છે. આ રિપોર્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતની બાહ્ય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) પર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરવામાં આવી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા 2025માં વધુ ઘટી છે. અલ્પસંખ્યક સમુદાયો અને તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. USCIRFએ અમેરિકી સરકારને અપીલ કરી છે કે ભારતને હથિયારોનું વેચાણ ન કરવું જોઈએ અને દ્વિપક્ષીય વેપાર તેમજ સુરક્ષા કરારોને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડવા જોઈએ.
USCIRFની મુખ્ય માંગો:ભારતને ‘ખાસ ચિંતાનો દેશ’ જાહેર કરવો
RSS અને RAW પર પ્રતિબંધ અને તેમની સંપત્તિ જપ્ત કરવી
RSS અને RAW સાથે જોડાયેલા વ્યક્તિઓ પર અમેરિકામાં પ્રતિબંધો લગાવવા
આર્મ્સ એક્સપોર્ટ કંટ્રોલ એક્ટની કલમ 6 હેઠળ હથિયાર વેચાણ રોકવું
ભારતમાં USCIRF અને સ્ટેટ ડિપાર્ટમેન્ટને તપાસ માટે પરવાનગી આપવી
રિપોર્ટમાં વક્ફ (સુધારા) અધિનિયમ, ઉત્તરાખંડના અલ્પસંખ્યક શિક્ષણ અધિકારી અધિનિયમ અને અન્ય રાજ્યોમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓની પણ ટીકા કરવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્ર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં થયેલી સાંપ્રદાયિક હિંસાનો ઉલ્લેખ કરીને વિશ્વ હિંદુ પરિષદ અને RSSને જવાબદાર ગણાવ્યા છે.
ભારત સરકારે અત્યાર સુધી આ રિપોર્ટ પર કોઈ સત્તાવાર પ્રતિસાદ આપ્યો નથી, પરંતુ ભૂતકાળમાં USCIRFની રિપોર્ટ્સને પૂર્વગ્રહથી ભરેલી અને રાજકીય એજન્ડા ધરાવતી ગણાવીને નકારી કાઢી હતી. ભારત સરકારે અનેક વખત કહ્યું છે કે આવી રિપોર્ટ્સ ભારતની વિવિધતા અને ધાર્મિક સહિષ્ણુતાને ખોટી રીતે રજૂ કરે છે.
આ પણ વાંચો – કાબુલની હોસ્પિટલ પર પાકિસ્તાનનો હુમલો : સેંકડો લોકોના મોતની આશંકા, તાલિબાને લગાવ્યો આરોપ
