કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી એક મોટી નશા મુક્તિ હોસ્પિટલ પર પાકિસ્તાની હવાઈ હુમલો થયો હોવાનો ગંભીર આરોપ તાલિબાન સરકારે લગાવ્યો છે. આ હુમલામાં સેંકડો લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અફઘાન આરોગ્ય મંત્રાલય અને સ્થાનિક સૂત્રો અનુસાર હુમલામાં હોસ્પિટલનો મોટો ભાગ તબાહ થઈ ગયો છે અને ઘાયલોની સંખ્યા પણ ખૂબ વધારે છે.
તાલિબાન સરકારના ઉપ-પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે સોમવારે સાંજે લગભગ 9 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાએ “ઓમીદ નશા મુક્તિ હોસ્પિટલ” પર હવાઈ હુમલો કર્યો હતો. આ હોસ્પિટલમાં 2000થી વધુ બેડ છે અને ત્યાં નશાની લતમાંથી મુક્તિ મેળવી રહેલા દર્દીઓની સારવાર ચાલી રહી હતી. હુમલામાં હોસ્પિટલનો મોટો ભાગ નાશ પામ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 400 લોકોના મોત અને 250 લોકો ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અફઘાન આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા શરાફત ઝમાન અમરખેલે BBCને જણાવ્યું કે હોસ્પિટલની નજીક કોઈ સૈન્ય ઠેકાણું નથી અને આ હુમલો સીધો નાગરિક સુવિધા પર કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે રાત્રે 8:50 વાગ્યે કાબુલમાં જોરદાર ધમાકાની અવાજો સંભળાયા હતા અને ત્યારબાદ લડાકૂ વિમાનો અને એર ડિફેન્સ સિસ્ટમની અવાજો પણ સંભળાઈ હતી.
પાકિસ્તાનના માહિતી મંત્રાલયે હોસ્પિટલને નિશાન બનાવવાનો આરોપ નકાર્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર હુમલામાં કાબુલ અને પૂર્વીય અફઘાન પ્રાંત નંગરહારમાં સૈન્ય ઠેકાણાં અને ‘આતંકવાદી ઠેકાણાં’ને નિશાન બનાવવામાં આવ્યા હતા.
અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુલહ પરિષદના પૂર્વ અધ્યક્ષ અબ્દુલ્લા અબ્દુલ્લાએ ફેસબુક પર પોસ્ટ કરીને આ હુમલાની કડક નિંદા કરી છે. તેમણે લખ્યું કે આ હુમલા પડોશી દેશો સાથે સારા સંબંધોના સિદ્ધાંતોના વિરુદ્ધ છે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
આ ઘટના બંને દેશો વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા તણાવને વધુ ગંભીર બનાવે છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન પર TTP જેવા આતંકી જૂથોને આશ્રય આપવાનો આરોપ લગાવે છે, જ્યારે તાલિબાન આ આરોપોને નકારે છે.
આ પણ વાંચો – ગાંધીનગરમાં કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: સંકુલ ખાલી, બોમ્બ સ્ક્વોડ-ડોગ સ્ક્વોડ સાથે સઘન તપાસ
