- વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના ત્રણ યુવાનો સિસોદરા ગામમાં AC રિપેર કરવા આવ્યા હતા
- AC રિપેર કર્યા બાદ ત્રણેવ યુવાનો ગામના અન્ય યુવાનો સાથે ઓરી સિસોદરા ગામની વચ્ચે આવેલી નર્મદા નદીમાં ન્હાવા ગયા અને ડૂબી ગયા
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના ત્રણ યુવાનો નાંદોદ તાલુકાના સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેર કરવા આવ્યા હતા. જે બાદ તેઓ નજીકની નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા. એ દરમિયાન ત્રણેવ યુવાનો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા અંતે તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેવ યુવાનોના મૃતદેહને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કર્યા બાદ પરિવારજનોને સોંપણી કરાઈ હતી.
ધુળેટીના દિવસે 4 માર્ચના રોજ ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના 20 વર્ષીય મુજામિલ યાસીન ઘાંચી, 26 વર્ષીય ઇબ્રાહિમ યુસુફ મન્સૂરી અને 19 વર્ષીય અક્રમ નૂરમહંમદ મન્સૂરી નાંદોદ તાલુકાના સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેર કરવા માટે આવ્યા હતા. આખો દિવસ AC નું કામ કરી કામ પૂર્ણ થઇ જતા ઘરે પરત ફરતા પહેલા સાંજે ઠંડા પાણીમાં ન્હાવાનું નક્કી કરતા ત્રણેય યુવાનો અનસોયા માતાના સામેના કિનારે ઓરી ગામ પાસેના નર્મદા નદીના કિનારે ન્હાવા પડતા એક યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. તેને બચાવો બચાવોની બૂમો પડતા બંને મિત્રો તેને બચાવવા જતા પોતે પણ ઊંડા પાણીમાં તણાયા હતા.
આમ એક પછી એક ત્રણેય યુવાનો નદીના પાણીમાં ગરકાવ થઇ જતા સ્થાનિક ગ્રામજનો ટોળે વળ્યાં અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી.બાદમાં આ ઘટનાની આમલેથા પોલીસને જાણ થતા આમલેથા પોલીસ અને રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો આવી જતા તેમણે મોડી રાત્રે ત્રણેય મૃતદેહો શોધી બહાર કાઢ્યા હતા.
જે બાદ બીજે દિવસે 5 માર્ચના રોજ સવારે ત્રણેવના મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાયા બાદ પરિવારને સોંપવામાં આવ્યા હતા.કાયાવરોહણ ગામે એક સાથે ત્રણ યુવાનોના મોતથી માતમ છવાયો હતો.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો-બે દાયકા પછી બિહારમાં સત્તા પરિવર્તન : નીતીશ કુમારે રાજ્યસભા પસંદ કરી, નવા સીએમની ચર્ચા શરૂ
