બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યસભા માટે નામાંકન દાખલ કરી દીધું છે. તેમના નામાંકનના અવસર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પટના પહોંચ્યા હતા.
આ પહેલાં તેમના રાજકીય ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળો પર નીતીશ કુમારે એક પ્રકારનું વિરામ લગાવી દીધું અને તેમણે પોતે રાજ્યસભા ઉમેદવાર બનવાની પુષ્ટિ કરી.
તેમણે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
આ સાથે એ પણ નિશ્ચિત થઈ ગયું કે બિહારમાં બે દાયકા પછી રાજ્યની સત્તામાં મોટો ફેરફાર થવાનો છે.
નીતીશ કુમાર અંગે બિહારના રાજકીય ગલિયારાઓમાં લગાતાર ચર્ચા ચાલી રહી હતી કે તેઓ બિહારની સત્તાથી અલગ થઈને રાજ્યસભાનો રસ્તો અપનાવશે.
આ એ વાતનું સંકેત હતું કે બિહારની રાજનીતિમાં મોટો બદલાવ આવી રહ્યો છે.
નીતીશ કુમારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે, “ગત બે દાયકાથી વધુ સમયથી તમે મારા પર વિશ્વાસ અને સમર્થન જાળવી રાખ્યું છે, અને તેના જ બળ પર અમે બિહારની અને તમારા તમામ લોકોની પૂર્ણ નિષ્ઠાથી સેવા કરી છે.”
નીતીશે લખ્યું, “તમારા વિશ્વાસ અને સમર્થનની જ તાકાત હતી કે બિહાર આજે વિકાસ અને સન્માનનું નવું આયામ રજૂ કરી રહ્યું છે. આ માટે અગાઉ પણ મેં તમારા પ્રત્યે અનેક વખત આભાર વ્યક્ત કર્યો છે.”
નીતીશનું કહેવું છે, “સંસદીય જીવન શરૂ કર્યા પછીથી જ મારા મનમાં એક ઇચ્છા હતી કે હું બિહાર વિધાનમંડળના બંને સદનો તેમજ સંસદના બંને સદનોના સભ્ય બનું. આ ક્રમમાં આ વખતે થતી ચૂંટણીમાં રાજ્યસભાના સભ્ય બનવા માંગું છું.”
“હું તમને પૂર્ણ ઈમાનદારીથી વિશ્વાસ અપાવવા માંગું છું કે તમારા સાથે મારો આ સંબંધ ભવિષ્યમાં પણ બની રહેશે અને તમારા સાથે મળીને વિકસિત બિહાર બનાવવાનો સંકલ્પ પહેલાની જેમ કાયમ રહેશે. જે નવી સરકાર બનશે તેને મારો પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન રહેશે.”
બે દાયકાથી બિહારની સત્તાના કેન્દ્રમાં
નીતીશ કુમાર વર્ષ 2005થી લગાતાર બિહારમાં સત્તાનું પ્રતીક બની રહ્યા છે.તે પછીથી બિહારની સત્તા પર લગાતાર નીતીશ જ રહ્યા છે.
નીતીશ પ્રથમ વખત વર્ષ 2000માં બિહારના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ તેઓ બહુમત સાબિત કરી શક્યા નહોતા. તે પછી વર્ષ 2005માં નીતીશ કુમારે ભાજપ સાથે બહુમતની સરકાર બનાવી હતી.
જો કે વર્ષ 2014-15માં કેટલાક મહિના માટે તેમણે પોતાની પાર્ટીમાંથી જીતન રામ માંઝીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા હતા.
તે પછી નીતીશ કુમાર પાછા સીએમની કુરસી પર આવી ગયા અને કહેવાય છે કે બિહારમાં કોઈ પણ ગઠબંધનની સરકાર બને તો મુખ્યમંત્રીની કુરસી પર નીતીશ કુમાર જ હોય છે.
જેડીયુમાં કેવો છે માહોલ
ગુરુવારે સવારે આ ખબરોને લઈને જનતા દળ (યુનાઇટેડ) એટલે કે જેડીયુના અનેક કાર્યકર્તાઓએ બિહારમાં મુખ્યમંત્રી નિવાસની બહાર પ્રદર્શન કર્યું હતું.
આ કાર્યકર્તાઓની માંગ છે કે નીતીશ કુમારને જ મુખ્યમંત્રીની કુરસી પર રહેવું જોઈએ. નીતીશ કુમારે ગત વર્ષના અંતમાં થયેલી ચૂંટણી પછી દસમી વખત બિહારના મુખ્યમંત્રી પદની શપથ લીધા હતા. નીતીશ કુમાર સૌથી વધુ સમય સુધી બિહારમાં મુખ્યમંત્રી પદ પર રહેલા વ્યક્તિ છે.
એલજેપી (આર) નેતા ચિરાગ પાસવાને આ મુદ્દે લખ્યું, “માનનીય મુખ્યમંત્રી જી, તમને એનડીએ ગઠબંધન દ્વારા રાજ્યસભા માટે નામાંકિત કરવા પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. પૂર્ણ વિશ્વાસ છે કે તમારા અનુભવ, સમર્પણ અને જનસેવાની ભાવનાથી સંસદના ઉચ્ચ સદનમાં દેશ અને સમાજના હિતોને મજબૂતી મળશે.”
पिछले दो दशक से भी अधिक समय से आपने अपना विश्वास एवं समर्थन मेरे साथ लगातार बनाए रखा है, तथा उसी के बल पर हमने बिहार की और आप सब लोगों की पूरी निष्ठा से सेवा की है। आपके विश्वास और समर्थन की ही ताकत थी कि बिहार आज विकास और सम्मान का नया आयाम प्रस्तुत कर रहा है। इसके लिए पूर्व में…
— Nitish Kumar (@NitishKumar) March 5, 2026
ભાજપ નેતાઓ શું કહી રહ્યા છે
કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે કહ્યું છે, “પહેલાં પણ તેમણે રાજ્યસભા જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમને કોઈ મોકલી શકતું નથી, તેઓ પોતાના મનથી જઈ રહ્યા છે. તેમણે ત્રણેય સદનો – વિધાન પરિષદ, બિહાર વિધાનસભા અને લોકસભા દ્વારા લોકોની સેવા કરી છે.”
તે જ સમયે નીતીશ કુમારના એલાન પછી બિહારના ઉપમુખ્યમંત્રી અને ભાજપ નેતા સમ્રાટ ચૌધરીએ તેમને અભિનંદન આપ્યા છે.
સમ્રાટ ચૌધરીએ લખ્યું, “તમારું દૂરદર્શી નેતૃત્વ, સુશાસન પ્રત્યે અટલ પ્રતિબદ્ધતા અને બિહારના સમગ્ર વિકાસ માટે તમારા સતત પ્રયાસો અમારા બધા માટે પ્રેરણાસ્ત્રોત છે. વિશ્વાસ છે કે તમારા અનુભવ અને નેતૃત્વથી રાજ્યસભાની ગરિમા વધુ મજબૂત થશે.”
કોંગ્રેસે કહ્યું, ‘આ જનતા સાથે ધોકો’
કોંગ્રેસ પાર્ટીએ બિહારની સત્તામાં થઈ રહેલા આ બદલાવને જનતા સાથે ધોકો ગણાવ્યો છે.નીતીશ કુમારના એલાન પછી કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.
તેમણે લખ્યું, “બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ જે વાત વારંવાર કહી રહી હતી, તે હવે સાચી થઈ ગઈ છે. જી-2 તરફથી લીડરશિપમાં બદલાવ અને સરકારમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ અનેક રીતે લોકોના મેન્ડેટ સાથે ખૂબ મોટો ધોકો છે.”
આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ કહ્યું, “બિહારની પોલિટિક્સમાં કાલથી અચાનક મોટી ઉથલપાથલ દેખાઈ રહી છે. કોઈને અંદાજ નહોતો કે ભાજપ ચૂંટણી પછી આટલી જલ્દી મુખ્યમંત્રી નીતીશ કુમારને હટાવી દેશે.”
“અમારા નેતા તેજસ્વી યાદવ લગાતાર કહી રહ્યા હતા કે ભાજપ જેડીયુને ખતમ કરી દેશે અને નીતીશ કુમારને મુખ્યમંત્રીની ખુરસીથી હટાવી દેશે. જેડીયુના ઘણા લોકો ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા છે, જ્યારે ઘણા ઇચ્છે છે કે નીતીશ કુમાર બનેલા રહે… આ એક ખૂબ મોટું રાજકીય અપહરણ છે.”
આરજેડીના સાંસદ મનોજ ઝાએ કહ્યું, “ટ્વીટ વાંચ્યા પછી, એ પક્કું છે કે તેમણે આ ટ્વીટ લખાવ્યું છે કે પોતે નથી લખ્યું. આ દિલ્હીથી આવ્યું છે. આનાથી જેડીયુની આત્માને ઠેસ પહોંચી છે…”
તે જ સમયે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે આના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું, “તેઓ બિહારના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા છે, એ સ્વાભાવિક હતું કે તેમનો કાર્યકાળ આખરે સમાપ્ત થશે. નિઃશંક, આ બિહાર સરકાર અને તેના સહયોગીઓનો આંતરિક મામલો છે. જો કે કારણ કે નીતીશ કુમાર ક્યારેય ઇન્ડિયા બ્લોકમાં અમારા સાથી હતા, તેથી ચૂંટણીના ઠીક ત્રણ મહિના પછી તેમનું રાજ્યસભા જવું ધ્યાન આપવા લાયક છે.”
આ પણ વાંચો- ઈરાનના યુદ્ધ જહાજ પર અમેરિકાના હુમલા પછી મોદી સરકાર પર ચર્ચા કેમ- ઈરાને શું કહ્યું?
