Ahmedabad Civic Poll 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ગંઈકાલે ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જો કે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઘણી જગ્યાએ રાજકીય ડ્રામા સર્જાયો હતો. જો અમદાવાદની જ વાત કરીએ તો મનપાના ચારેક વોર્ડમાં ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે મતદાન પૂર્વે જ કોંગ્રેસના હાથમાંથી 6 બેઠકો સરકી ગઈ છે.
આ સંદર્ભે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરાઈ હતી કે, ભાજપના ઈશારે પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ધાક-ધમકી આપવામાં આવી રહી છે.
એવામાં શહેરના થલતેજ વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવાર રમિલાબેન ઠાકોર અને સરખેજ વોર્ડના વારિસ સૈયદે અંતિમ ઘડીએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે આ બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે.
અગાઉ સરખેજ વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર ભરત ભરવાડે પણ ફોર્મ પરત ખેંચીને ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા છે. આમ આ ત્રણેય બેઠકો કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે.
આવી જ રીતે ચાંદલોડિયા વોર્ડમાંથી ઉભા રહેલા કોંગ્રેસ ઉમેદવાર પ્રદીપ પટેલે એક દિવસ અગાઉ ફોર્મ પરત ખેંચવા માટે પોતાને ધમકી મળી રહી હોવાના વીડિયો વાયરલ કર્યાં હતા. જો કે બુધવારે તેમણે ફોર્મ પરત ખેંચી લીધુ હતુ. આ સિવાય વાસણા બેઠક પર OBC મહિલા અનામતની બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે સમયસર ફોર્મ જ નહતુ ભર્યું. આમ અમદાવાદ મનપાની આ 6 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ના લડવાની સ્થિતિમાં આ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે.
