હાલના દિવસોમાં રાજકીય વર્તુળોમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને સંસદમાં પોતાના પ્રશ્નોને લઈને રાઘવ ચઢ્ઢાની ચર્ચા થઈ રહી છે. જો કે પાછળથી આમ આદમી પાર્ટી દ્વારા રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવી દેવામાં આવતા તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું છે.
જો કે હજુ સુધી રાઘવ ચઢ્ઢાએ આ સંદર્ભે કોઈ સત્તાવાર એલાન નથી કર્યું, પરંતુ ભાજપ તરફથી પહેલીવાર અટકળોનો જવાબ આપવામાં આવ્યો છે.
હકીકતમાં એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં ભાજપ સાંસદ મનોજ તિવારાને પૂછવામાં આવ્યું હતું કે, શું રાઘવ ચઢ્ઢા ભાજપમાં આવી રહ્યા છે?
આ પ્રશ્નનો જવાબ આપતા મનોજ તિવારીએ જણાવ્યું કે, આમ તો ભાજપના દરવાજા ખુલ્લા જ છે, પરંતુ રાઘવ ચઢ્ઢા વિશે પૂછવામાં આવતા, ભાજપ સાંસદે જણાવ્યું હું નથી જાણતો.
આમ પણ લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ગઈકાલે પંજાબ સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. જે બાદ તરત જ કેન્દ્ર સરકારે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા આપી દીધી. આ પગલાં પછી રાઘવ ચઢ્ઢા અને આપ વચ્ચે મતભેદ સ્પષ્ટ દેખાવા લાગ્યા છે, જ્યારે ભાજપ અને રાઘવ વચ્ચે સંબંધો સુધરતા જણાઈ રહ્યા છે.
મનોજ તિવારીએ આમંત્રણ આપતા કહ્યું કે, રાજ્યસભામાં સાથી તરીકે તેઓ આવે અને સપોર્ટ કરે—તેમનું સ્વાગત છે. તેમણે હળવાશમાં કહ્યું કે, કોઈ દિવસ ચા પીવા આવશે તો વાત કરીશું; ચા પછી ઘણી બાબતો થઈ જાય છે.
જ્યારે મનોજ તિવારીને પૂછવામાં આવ્યું કે, રાઘવ ચઢ્ઢા આપ પાર્ટીમાંથી દૂર કેમ જઈ રહ્યા છે? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, તેની પાછળ અરવિંદ કેજરીવાલની કામ કરવાની નીતિ હોઈ શકે છે. બન્ને વચ્ચે કંઈક તો ગરબડ છે, પરંતુ તે હજુ સુધી સામે નથી આવી.
