- ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ ના નામે પર્યાવરણીય કાયદાઓની એસીતૈસી: શું હવે શ્વાસ લેવા લાયક હવા પણ લક્ઝરી બની જશે?
નવી દિલ્હી : ભારતમાં હાલ જે રીતે ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે, તે માત્ર કુદરતી ‘ક્લાઇમેટ ચેન્જ’ નથી, પરંતુ છેલ્લા એક દાયકામાં તૈયાર કરવામાં આવેલી ‘પર્યાવરણીય નાદારી’ (Ecological Bankruptcy) નું ગંભીર પરિણામ છે. જ્યારે વિશ્વના 100 સૌથી ગરમ શહેરોની યાદીમાં 95 શહેરો માત્ર ભારતના હોય, ત્યારે સમજી લેવું જોઈએ કે આ વહીવટી તંત્ર અને કોર્પોરેટ જગતની મિલીભગતથી ઉભી થયેલી એક માનવસર્જિત આપત્તિ છે.
ક્રોન્ક્રીટનું જંગલ: જીવંતતાનો વિનાશ
વિકાસની વ્યાખ્યા આજે માત્ર ‘વૃક્ષો કાપીને હાઈવે બનાવવા’ અને ‘જંગલો ઉજ્જડ કરીને ખાણો ખોલવા’ સુધી સીમિત થઈ ગઈ છે. ભારત આજે એક ‘હીટ ચેમ્બર’માં ફેરવાઈ ગયું છે. આ માટે જવાબદાર કોઈ અદ્રશ્ય હવામાન નથી, પરંતુ સત્તાના ગલિયારાઓમાં લેવાયેલા એ દ્રશ્ય નિર્ણયો છે જેણે પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું છે.
નફા માટે ‘ફેફસાં’ની બલિ: હસદેવ અને અરાવલીનો કિસ્સો
જ્યારે જાગૃત નાગરિકો ‘સેવ અરાવલી’ કે ‘સેવ હસદેવ’ જેવા અભિયાનો સાથે રસ્તા પર ઉતરે છે, ત્યારે તેમને ‘વિકાસ વિરોધી’ કહીને ચૂપ કરી દેવામાં આવે છે. હાલમાં સરકાર એવો વિકાસ કરી રહી છે, કે પાછલા રસ્તે ભયંકર વિનાશ પણ સાથે-સાથે ચૂપચાપ પગપેસારો કરી રહ્યો છે. જે માનવજાતિની આગામી પેઢી પાસેથી આખી પૃથ્વીને જ છીનવી લેશે. રોડ-રસ્તાઓના વિકાસની સાથે-સાથે અધિકારીઓથી લઈને નેતાઓનો પણ વિકાસ થાય છે. આમ જ્યાર સુધી સત્તામાં બેસેલા લોકોનો કોઈ કામ થકી વિકાસ થતો હોય તે કામ પણ બુલેટગતિએ થાય છે. કેમ કે વર્તમાન સમયમાં દરેક કામમાં ટકાવારી નક્કી થતી હોવાના આરોપ સતત લાગતા રહ્યા છે. જે આરોપોને પણ નકારી શકાય નહીં. રોડ-રસ્તાઓ અને પૂલ પડી ટૂંક જ સમયમાં જર્જરિત થઈને પડી જવા તે કટકીનો જીવંત પૂરાવો છે.
હસદેવ અરણ્ય: છત્તીસગઢના હસદેવ અરણ્યમાં હજારો વૃક્ષોનો સફાયો માત્ર એટલા માટે કરવામાં આવ્યો કે ચોક્કસ બિઝનેસ ઘરાનાઓના કોલસાના બ્લોકનો રસ્તો સાફ થઈ શકે. આ દેશની જરૂરિયાત કરતાં કોર્પોરેટની તિજોરી ભરવાનો ખેલ વધુ છે.

અરાવલીનું નિકંદન: દિલ્હી-NCRનું કુદરતી કવચ ગણાતું ‘અરાવલી’ આજે ગેરકાયદે ખનન અને બાંધકામની ભેટ ચઢી ગયું છે, પરિણામે લોકો ઝેરી હવા અને ભીષણ લૂ સહન કરી રહ્યા છે.
કાયદાઓનું નબળું પડવું અને પોલિસી નિષ્ફળતા
‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ના નામે પર્યાવરણીય પ્રભાવ આકારણી (EIA) ના નિયમોમાં જે છૂટછાટો આપવામાં આવી છે તે આત્મઘાતી છે. CAG દ્વારા 54,282 કરોડના હિસાબ વગરના ખર્ચ પર સવાલો ઉઠ્યા છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે પર્યાવરણના નામે વસૂલવામાં આવેલા ‘ગ્રીન સેસ’ના નાણાં ક્યાં ગયા? નીતિ-નિર્મતાઓ કુદરતી સંસાધનો બચાવવાને બદલે રેટિંગ એજન્સીઓ અને બિલ્ડિંગ લોબીને ખુશ કરવામાં વ્યસ્ત છે.
રાજકીય મૌન અને જનતાની લાચારી
પર્યાવરણનો મુદ્દો રાજકીય કેમ નથી બનતો? તેના મુખ્ય બે કારણો છે.
1. કોર્પોરેટ ફંડિંગ: જંગલો કાપતી કંપનીઓ જ રાજકીય પક્ષોના સૌથી મોટા દાતા છે.
2. ભાવનાત્મક નેરેટિવ: જનતાને ધાર્મિક ગૌરવ અને VVIP કાફલાઓની ચકાચૌંધમાં એવી રીતે ગૂંચવી દેવામાં આવી છે કે તેમને શ્વાસ લેવા લાયક હવાની કમી પણ મહેસૂસ થવા દેવામાં આવતી નથી.
મધ્યમ વર્ગ આજે EMI અને મોંઘવારીના બોજ હેઠળ દબાયેલો છે, જેના કારણે તેના માટે ‘ક્લાઇમેટ ચેન્જ’ એ લક્ઝરીનો મુદ્દો બની ગયો છે. સત્તા આ જ લાચારીનો ફાયદો ઉઠાવે છે.
મસૂરીના કાટમાળથી લઈને ઝારખંડના કપાતા જંગલો સુધી, આ “લૂંટની ખુલ્લી છૂટ” છે. જો ભારત આજે ‘નૉન-લિવિબલ’ (રહેવા લાયક નહીં) બની રહ્યું છે, તો તેની સીધી જવાબદારી એ પોલિસી મેકર્સ પર છે જેમણે પર્યાવરણને અડચણ અને કોર્પોરેટ નફાને વિકાસ માન્યો છે. હવે સમય આવી ગયો છે કે ‘રહેવા લાયક વાતાવરણ’ને બંધારણીય અધિકાર તરીકે માંગવામાં આવે.
આ પણ વાંચો – બંગાળમાં મતદાનની સુનામી : સત્તાની લડાઈ કે ભારતની રાજનીતિનો ટર્નિંગ પોઇન્ટ?
