- ઓડિશા: સિસ્ટમની ક્રૂરતા! મૃત બહેનના ખાતામાંથી પૈસા કાઢવા માટે પુરાવો માંગ્યો, તો ભાઈ કબર ખોદીને ‘કંકાલ’ બેંકમાં લઈ આવ્યો
નવી દિલ્હી/ક્યોંઝર: ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં સોમવારે (૨૭ એપ્રિલ) એક એવી ઘટના બની જેણે વહીવટી તંત્ર અને બેંકિંગ વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. એક આદિવાસી વ્યક્તિ પોતાની મૃત બહેનના બેંક ખાતામાં જમા થયેલા પૈસા કાઢવા માટે પુરાવા તરીકે બહેનનું કંકાલ (હાડપિંજર) લઈને બેંક પહોંચ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
ક્યોંઝર જિલ્લાના પટના બ્લોક સ્થિત ઓડિશા ગ્રામીણ બેંકની માલીપોસી શાખામાં ૫૦ વર્ષીય જીતૂ મુંડા નામના વ્યક્તિ પોતાની મોટી બહેન કાલરા મુંડાના ખાતામાંથી ૨૦,૦૦૦ રૂપિયા ઉપાડવા માંગતા હતા. કાલરા મુંડાનું મૃત્યુ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ થઈ ગયું હતું. જીતૂ મુંડા અભણ હોવાથી તેમને કાયદેસરના વારસદાર કે નોમિનીની પ્રક્રિયા વિશે કોઈ જાણકારી નહોતી.
લાચારીમાં ઉઠાવ્યું મોટું પગલું
જીતૂ મુંડાએ પત્રકારોને જણાવ્યું કે, ‘હું અનેકવાર બેંકમાં ગયો, પરંતુ અધિકારીઓએ કહ્યું કે પૈસા કાઢવા હોય તો ખાતાધારકને સાથે લાવો. મેં તેમને ઘણી વિનંતી કરી કે મારી બહેન મરી ગઈ છે, પણ તેઓ માન્યા નહીં અને બહેનને બેંક લાવવા પર ભાર મૂકતા રહ્યા. અંતે મજબૂરીમાં મેં કબર ખોદી અને પુરાવા તરીકે બહેનનું કંકાલ બેંકમાં લઈ આવ્યો.’
બેંકમાં મચી ગઈ નાસભાગ
જ્યારે જીતૂ મુંડા કંકાલ સાથે બેંકમાં પ્રવેશ્યા અને પ્રદર્શન શરૂ કર્યું, ત્યારે બેંક અધિકારીઓ ફફડી ઉઠ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બેંક અધિકારીઓ જીતૂને યોગ્ય રીતે પ્રક્રિયા સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેઓ જીતૂ પાસે મૃત્યુનું પ્રમાણપત્ર માંગતા હતા, જે તે સમજી શક્યો નહોતો.
પોલીસ અને તંત્રની મધ્યસ્થી
ઘટનાની જાણ થતા પટના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કિરણ પ્રસાદ સાહુ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જીતૂ મુંડાને આશ્વાસન આપ્યું છે કે પોલીસ અને વહીવટી તંત્ર તેમને બહેનના ખાતામાંથી પૈસા અપાવવામાં મદદ કરશે. પોલીસની હાજરીમાં કંકાલને ફરીથી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યું છે.
એકમાત્ર વારસદાર જીતૂ મુંડા
બેંકના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાલરા મુંડાના ખાતામાં જે નોમિની હતા તેમનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે, જેના કારણે જીતૂ મુંડા જ આ રકમના એકમાત્ર કાયદેસરના દાવેદાર છે. સ્થાનિક બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) એ પણ આ મામલે તપાસ કરી જીતૂ મુંડાને વહેલી તકે રકમ મળી રહે તે માટે બેંકને નિર્દેશ આપ્યા છે.
આ પણ વાંચો – બંગાળ ચૂંટણીમાં મોદીનો છેલ્લો દાવ : મતદારોને પત્ર લખી રામ મંદિર અને ‘વિકસિત બંગાળ’નો સંકલ્પ દોહરાવ્યો
