નવી દિલ્હી : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત ૩ મેના રોજ લેવાયેલી NEET 2026ની પરીક્ષાને પેપર લીકના ગંભીર આરોપો અને વ્યાપક ચર્ચાઓ બાદ રદ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ NTAએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ સાથે જ સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફરી લેવાશે પરીક્ષા : વિદ્યાર્થીઓને નવી ફી ભરવી પડશે નહીં
NTAએ સ્પષ્ટતા કરી છે કે આ પરીક્ષા ફરીથી આયોજિત કરવામાં આવશે. નવી પરીક્ષાની તારીખો અને એડમિટ કાર્ડનું શેડ્યૂલ ટૂંક સમયમાં અધિકૃત વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, જે વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની કે કોઈ વધારાની ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. અગાઉ જમા કરાયેલી ફી પણ પરત કરવામાં આવશે અને નવી પરીક્ષા NTAના પોતાના સંસાધનો દ્વારા લેવામાં આવશે.
રાહુલ ગાંધીના આકરા પ્રહાર: “NEET હવે પરીક્ષા નહીં, હરાજી બની ગઈ છે”
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “NEET હવે પરીક્ષા નથી રહી, તે એક હરાજી બની ગઈ છે. પરીક્ષાના ૪૨ કલાક પહેલા જ વોટ્સએપ પર પ્રશ્નપત્રો વેચાઈ રહ્યા હતા.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, ૨૨ લાખથી વધુ બાળકોએ આખું વર્ષ દિવસ-રાત એક કરીને મહેનત કરી હતી, પરંતુ તેમનું ભવિષ્ય બજારમાં નીલામ કરી દેવામાં આવ્યું. છેલ્લા ૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક અને ૪૮ વખત ફરીથી પરીક્ષા લેવી પડી છે. ભારતના યુવાનોના સપના માટે મોદી સરકારથી મોટું કોઈ જોખમ નથી.
વિપક્ષનો એકસૂરે વિરોધ
માત્ર રાહુલ ગાંધી જ નહીં, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ મામલે સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર પેપર લીકની ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે લાખો તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.
આ પણ વાંચો – તમિલનાડુમાં રાજકીય ભૂકંપ: AIADMKમાં ભંગાણ, ૩૦ ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજયની સરકારને આપ્યું સમર્થન
