સ્પોર્ટ્સ ડેસ્ક : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલ આઈપીએલ (IPL 2026) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી રમી રહેલા વિરાટ કોહલીએ આગામી વર્ષે યોજાનારા વનડે વર્લ્ડ કપમાં રમવાની ઈચ્છા જાહેર કરી દીધી છે. જોકે, તેની સાથે જ કિંગ કોહલીએ ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સને ખૂબ જ કડક અને સ્પષ્ટ શબ્દોમાં મોટો સંદેશ પણ આપી દીધો છે.
આરસીબી (RCB) ના ઓફિશિયલ પોડકાસ્ટમાં વાતચીત કરતી વખતે વિરાટે કહ્યું કે, “હું ભારતીય ટીમમાં મારી જગ્યાને લઈને વસ્તુઓને વધુ અટપટી બનાવવા નથી માંગતો. જો મારે સતત ટીમમાં મારી અહેમિયત સાબિત કરવી પડતી હોય, તો એવું વાતાવરણ મારા માટે નથી.” વિરાટે સાફ કર્યું કે તેને પોતાની કાબિલિયત પર વારંવાર બદલાતા લોકોના અભિપ્રાય બિલકુલ પસંદ નથી.
કોહલીનું શાનદાર ફોર્મ અને ભવિષ્યની અટકળો
૩૭ વર્ષીય વિરાટ કોહલી હાલ માત્ર વનડે ફોર્મેટ જ રમે છે. તેણે ૨૦૨૪માં ટી૨૦ ઇન્ટરનેશનલ અને ૨૦૨૫માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. આઈપીએલ ૨૦૨૬માં વિરાટનું બેટ જોરદાર ચાલી રહ્યું છે અને તેણે ૧૨ મેચોમાં ૫૩.૭૭ની એવરેજથી ૪૮૪ રન ફટકાર્યા છે. તે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો બેટ્સમેન છે અને ઓરેન્જ કેપનો મજબૂત દાવેદાર છે, જ્યારે તેની ટીમ આરસીબી ૧૬ પોઈન્ટ સાથે ટેબલમાં ટોપ પર છે.
જ્યારે વિરાટને પૂછવામાં આવ્યું કે શું તે ૨૦૨૭ના વર્લ્ડ કપમાં રમશે? ત્યારે તેણે સકારાત્મક જવાબ આપતા કહ્યું, “હું હંમેશા તૈયાર રહું છું, કારણ કે આ મારી રોજિંદી જિંદગી છે. હું વર્કઆઉટ કરું છું, સારું ખાઉં છું. ભારત માટે વર્લ્ડ કપ રમવો શાનદાર છે, પણ અહેમિયત (સન્માન) બંને તરફથી હોવી જોઈએ.”
મુખ્ય કોચ ગૌતમ ગંભીરનું વલણ અને સસ્પેન્સ
વિરાટ રમવા તૈયાર હોવા છતાં, ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે હજુ સુધી વિરાટ કોહલી કે રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓના ભવિષ્ય અંગે પત્તાં ખોલ્યા નથી. આઈપીએલ શરૂ થતાં પહેલાં ગંભીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “૨૦૨૭ના વર્લ્ડ કપની તૈયારી આઈપીએલ પછી શરૂ થશે. દક્ષિણ આફ્રિકામાં (જ્યાં વર્લ્ડ કપ યોજાવાનો છે) ક્રિકેટ રમવું સરળ નથી. અમે ટીમ કોમ્બિનેશન જોઈશું અને કયા ખેલાડીઓ ત્યાંના વાતાવરણને અનુકૂળ છે તે નક્કી કરીશું. આઈપીએલ પત્યા પછી જ વનડે વર્લ્ડ કપ ૨૦૨૭નું ચિત્ર સ્પષ્ટ થશે.”
“સુધારો લાવો, વસ્તુઓ મુશ્કેલ ન બનાવો”
વિરાટે પોતાના પક્ષે જોર દઈને કહ્યું કે, તે મેદાન પર કોઈ પણ યુવા ખેલાડી કરતાં વધુ મહેનત કરે છે અને ૫૦ ઓવર સુધી બાઉન્ડ્રી પર દોડવા પણ તૈયાર રહે છે. તેણે કહ્યું, “આટલું કર્યા પછી પણ જો મારે મારી કિંમત સાબિત કરવી પડે, તો એ જગ્યા મારા માટે નથી. કાં તો પહેલા દિવસે જ કહી દો કે મારી જરૂર નથી, પણ જો હું સારો છું તેમ સ્વીકાર્યા પછી પરિણામોના આધારે વારંવાર સવાલો ઉઠાવશો તો એ યોગ્ય નથી.”
તાજેતરમાં જ વિરાટે બે દાયકા પછી વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી માટે વાપસી કરી સદી ફટકારી હતી અને લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૬,૦૦૦ રન પૂરા કર્યા હતા. વિરાટે કહ્યું કે તે ત્યાં કોઈને કંઈ સાબિત કરવા નહોતો ગયો, પણ રમત પ્રત્યેના પ્રેમને કારણે રમ્યો હતો. વનડે ક્રિકેટના ઈતિહાસના સૌથી મહાન બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલીએ ૩૧૧ વનડે મેચમાં ૫૮.૭૧ની એવરેજથી ૧૪,૭૯૭ રન બનાવ્યા છે, જેમાં ૫૪ સદી સામેલ છે.
હવે જોવાનું એ રહેશે કે આગામી ૧૪ થી ૧૯ જુલાઈ દરમિયાન ઇંગ્લેન્ડ સામે રમાનારી ત્રણ વનડે મેચની સિરીઝમાં વિરાટના ભવિષ્ય અંગે મેનેજમેન્ટ શું વલણ અપનાવે છે.
આ પણ વાંચો – અભિવ્યક્તિની આઝાદી પર સંકટ? અદાલતો ટીકાને લોકતાંત્રિક જરૂરિયાત ગણે, પ્રદૂષણ નહીં
