ધ હેગ / નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોના પોતાના વિદેશ પ્રવાસના ભાગરૂપે શનિવારે નેધરલેન્ડ્સ પહોંચ્યા છે. નેધરલેન્ડ્સના ‘ધ હેગ’ ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ના યુદ્ધ અને તેના કારણે સમગ્ર વિશ્વ પર મંડરાઈ રહેલા આર્થિક સંકટ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. વડાપ્રધાને ચેતવણી આપતા કહ્યું કે, “જો વૈશ્વિક પરિસ્થિતિઓ ઝડપથી નહીં બદલાય, તો વિતેલા દાયકાઓની માનવતાની તમામ ઉપલબ્ધિઓ પર પાણી ફરી વળશે અને વિશ્વની એક બહુ મોટી વસ્તી ફરીથી ગરીબીના દલદલમાં ધકેલાઈ જશે.”
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં વૈશ્વિક કટોકટી
નોંધનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા શરૂ કર્યા બાદ મિડલ ઈસ્ટમાં ભયાનક જંગ ફાટી નીકળ્યો છે. આ યુદ્ધના કારણે ઈરાને સમુદ્રી વ્યાપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (હોર્મુઝની ખાડી) ને લગભગ બંધ કરી દીધી છે. સામાન્ય દિવસોમાં દુનિયાના કુલ તેલ અને ગેસ સપ્લાયનો ૨૦ ટકા હિસ્સો અહીંથી પસાર થાય છે. આ માર્ગ બંધ થવાને કારણે વિશ્વભરમાં ઊર્જા સંકટ ઘેરૂં બન્યું છે, મોંઘવારી આસમાને પહોંચી છે અને ભારત સહિતના દેશોમાં ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે.
દેશવાસીઓને પીએમ મોદીની અપીલ
આ આર્થિક સંકટ અને વિદેશી મુદ્રા ભંડારને (Foreign Exchange) બચાવવા માટે વડાપ્રધાને તેલંગાણા અને ગુજરાતના પ્રવાસ દરમિયાન દેશના નાગરિકો સામે કેટલીક કડક અપીલ રજૂ કરી છે.
સોનું ખરીદવાનું ટાળો: પીએમ મોદીએ લોકોને વિનંતી કરી છે કે દેશહિતમાં આગામી એક વર્ષ સુધી ઘરમાં પ્રસંગો હોવા છતાં સોનાના દાગીના ખરીદવાનું ટાળે, કારણ કે સોનાની આયાતમાં દેશનું ઘણું વિદેશી નાણું વપરાઈ જાય છે.
ઈંધણની બચત: પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ, મેટ્રો, ઈલેક્ટ્રિક બસ અને કાર પૂલિંગનો વધુમાં વધુ ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે.
વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન ક્લાસ: સરકારી અને ખાનગી ઓફિસોમાં વર્ચ્યુઅલ મીટિંગ્સ તથા ‘વર્ક ફ્રોમ હોમ’ ને પ્રાથમિકતા આપવા તેમજ શાળાઓને થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસ ચલાવવા સૂચન કર્યું છે.
ખાદ્ય તેલ અને રાસાયણિક ખાતર: વિદેશી નાણું બચાવવા ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અને ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ ૫૦ ટકા સુધી ઓછો કરવા વિનંતી કરાઈ છે.
પીએમ મોદીએ આને ‘સામૂહિક જવાબદારી’ ગણાવી રહી છે, પરંતુ વિરોધ પક્ષો અને આલોચકો તેને દેશ પર આર્થિક દબાણના સંકેત તરીકે જોઈ રહ્યા છે.
વિપક્ષના આકરા પ્રહારો: “પીએમ પોતે કેમ વર્ક ફ્રોમ હોમ નથી કરતા?”
વડાપ્રધાનની આ અપીલ બાદ દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો કે, “પીએમ લોકોને વિદેશ પ્રવાસ ટાળવાનું અને ઘરેથી કામ કરવાનું કહે છે, તો તેઓ પોતે અત્યારે ૩-૪ દેશોના પ્રવાસે કેમ ગયા છે? વડાપ્રધાન પોતે કેમ વર્ક ફ્રોમ હોમ નથી કરતા?” તેમણે વધુમાં ઉમેર્યું કે યુદ્ધ વિદેશમાં થઈ રહ્યું છે તો પાબંદીઓ આપણા જ દેશના લોકો પર કેમ લાદવામાં આવી રહી છે? નેપાળ જેવા પાડોશી દેશોએ કેમ આવા કોઈ નિયમો નથી બનાવ્યા?
બીજી તરફ, ઈરાનની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના વડા ઈબ્રાહિમ અઝીઝીએ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોના ટ્રાફિકને મેનેજ કરવા માટે એક નવી પ્રોફેશનલ સિસ્ટમ લાવી રહ્યું છે, જેમાં ઈરાનને સહયોગ કરનારા જહાજો પાસેથી ચોક્કસ ફી વસૂલ કરીને જ પસાર થવા દેવાશે.
શું કહે છે આર્થિક અને જીઓપોલિટિકલ નિષ્ણાતો?
વિજય સરદાના (આર્થિક મામલાના નિષ્ણાત): “ભારતમાં આશરે ૮૦ કરોડ લોકો મફત રાશન પર જીવે છે. જો મોંઘવારી બેકાબૂ બનશે તો સરકાર પાસે કલ્યાણકારી યોજનાઓ ચલાવવા પૈસા નહીં બચે. ભારતમાં આર્થિક નિર્ણયો રાષ્ટ્રહિતના બદલે રાજકીય નફા-નુકસાન જોઈને લેવાય છે. વડાપ્રધાન આજે જે કહી રહ્યા છે તે પરિસ્થિતિઓ માટે તમામ પક્ષો જવાબદાર છે. સરકારે લોન્ગ ટર્મ રોડમેપ બનાવવા માટે વિપક્ષ સાથે ક્યારેય ચર્ચા કરી નથી.”
અજય શ્રીવાસ્તવ (ડાયરેક્ટર, GTRI): “ઈરાન યુદ્ધ, ગાઝા સંકટ અને રશિયા-યુક્રેન યુદ્ધ પાછળ અમેરિકાની નીતિઓ જવાબદાર છે. ભારત માટે ચિંતાની વાત એ છે કે આપણે આપણી ૯૦% ઊર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છીએ. રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાની અમેરિકાએ આપેલી છૂટ પણ શનિવારે સમાપ્ત થઈ ગઈ છે અને તે આગળ વધારાઈ નથી. આવા કપરા સમયમાં આપણે લાંબી મજલ કાપવી પડશે અને દેશમાં જ ઊર્જાનું ઉત્પાદન વધારવું પડશે.”
આ પણ વાંચો – ઈંધણ પર ટેક્સનો ભાર: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના વેટ-સેસમાંથી દર વર્ષે સરકારને ₹૧૮,૦૦૦ કરોડથી વધુની કમાણી
