- ‘કોકરોચથી છુટકારો નહીં મળે’: સોશિયલ મીડિયા પર ‘CJP ઇઝ બેક’ ટ્રેન્ડ, જાણો લોકો શું કહી રહ્યા છે
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતના ‘કોકરોચ’ (વંદા) વાળા નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અભિયાનની ચર્ચા ચરમસીમા પર છે. ગુરુવારે આ અભિયાન ચલાવનારા અભિજીત દીપકે દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ‘કોકરોચ જનતા પાર્ટી’નું X (અગાઉનું ટ્વિટર) હેન્ડલ ભારતમાં દેખાઈ રહ્યું નથી અને તેને બેન (પ્રતિબંધિત) કરી દેવામાં આવ્યું છે.
પરંતુ ત્યારબાદ થોડા જ કલાકોમાં ‘કોકરોચ ઇઝ બેક’ ના પોસ્ટર સાથે નવું X હેન્ડલ શરૂ કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ પર લખવામાં આવ્યું હતું કે, “તમે શું વિચારો છો, તમને અમારાથી છુટકારો મળી જશે?” લોન્ચ થયાના થોડા જ કલાકોમાં તેના ફોલોઅર્સની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે.
‘કોકરોચ ઇઝ બેક’ પર રાજકીય નેતાઓ અને લોકોની પ્રતિક્રિયાઓ
શશિ થરૂર (કોંગ્રેસ નેતા): તેમણે X પર લખ્યું, “હું કોકરોચ જનતા પાર્ટીના આટલી ઝડપથી ઉભરી આવવાને લઈને ખૂબ જ ઉત્સુક છું. તેણે માત્ર પાંચ દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર 1.5 કરોડથી વધુ ફોલોઅર્સ મેળવી લીધા છે. હું યુવાનોની નિરાશાને સમજી શકું છું અને એ પણ જોઈ શકું છું કે તેઓ આની સાથે કેમ જોડાયેલા અનુભવે છે. આ જ કારણ છે કે X પર આ એકાઉન્ટને રોકવું એ અત્યંત નુકસાનકારક અને સમજણની બહાર છે. યુવાનો પાસે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે એક મંચ હોવો જોઈએ. લોકશાહીમાં અસંમતિ, હાસ્ય, વ્યંગ અને નારાજગી વ્યક્ત કરવા માટે પણ જગ્યા હોવી જોઈએ.”
યોગેન્દ્ર યાદવ (રાજકીય વિશ્લેષક): બીબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું, “આ ‘કોકરોચ જનતા પાર્ટી’ સોશિયલ મીડિયા પર એક મીમની જેમ શરૂ થઈ છે, પરંતુ તે માત્ર હસી-મજાક કે ગુસ્સો નથી. દેશની અંદર જમીની સ્તરે એક સળવળાટ અને તરફડાટ છે કારણ કે વ્યવસ્થાના સ્થાપિત રસ્તાઓ બંધ થઈ ગયા છે. મજાક હંમેશા કોઈને કોઈ ઊંડા દર્દ સાથે જોડાયેલી હોય છે. સરકાર દ્વારા તેને બેન કરવું એક ગંભીર પરિવર્તનની શરૂઆત હોઈ શકે છે.”
CPIML લિબરેશન: પાર્ટીએ X પર પોસ્ટ કરીને CJP નો બચાવ કરતા લખ્યું, “શું મોદી સરકારને લાગે છે કે કોકરોચ જનતા પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલ્સને બ્લોક કરીને તે ‘Gen Z’ (યુવા પેઢી) ને રોકી શકે છે? જો કોકરોચ જનતા પાર્ટી, બીજેપી અને નમોના હેન્ડલ્સ વિરુદ્ધ ‘અનફોલો કેમ્પેન’ શરૂ કરી દે તો શું થશે? X એ ઇન્ટરનેટની આઝાદીનું સન્માન કરવું જોઈએ.”
મહુઆ મોઇત્રા (TMC નેતા): CJP ના X હેન્ડલ પર પ્રતિબંધ લગાવવા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું, “આ ફાસીવાદ છે, લોકશાહી નહીં. આપણી સરકાર આ દેશના યુવાનોથી એટલી ડરી ગઈ છે કે તે એક વર્ચ્યુઅલ ઓનલાઈન આંદોલનને પણ સહન કરી શકતી નથી.”
પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના – UBT નેતા): તેમણે લખ્યું, “સોશિયલ મીડિયા પર બનેલી CJP જેવી કાલ્પનિક વિચારધારાનું યુવાનો પર છવાઈ જવું એ વાતનો દુઃખદ સંકેત છે કે યુવાનોએ હાલના વિપક્ષી પક્ષોમાંથી આશા ગુમાવવાનું શરૂ કરી દીધું છે. એ સ્પષ્ટ છે કે બીજેપી વિરુદ્ધ નારાજગી છે, પરંતુ એ દુર્ભાગ્યપૂર્ણ છે કે વોટર્સ સ્થાપિત વિપક્ષી પાર્ટીઓને બદલે કાલ્પનિક પાર્ટી પર વધુ ભરોસો મૂકી રહ્યા છે.”
સોશિયલ મીડિયા યુઝર્સનો મત
રવિપ્રકાશ ઓફિશિયલ: “હા, અમે કોકરોચ છીએ. હવે આ વાયરલ થઈ ગયું છે. કોકરોચ જનતા પાર્ટી ઝિંદાબાદ.”
એમ નાગેશ્વર રાવ: તેમણે દાવો કર્યો કે કોકરોચ જનતા પાર્ટીને દેશવિરોધી તાકાતો હવા આપી રહી છે.
નેહા સિંહ: “કોકરોચ જનતા પાર્ટીથી ખરેખર બીજેપીને જ ફાયદો થશે. જે લોકો એન્ટી-બીજેપી હતા અને કોંગ્રેસ-AAP ને સપોર્ટ કરતા હતા, તેઓ હવે નિરાશ થઈને CJP ને સપોર્ટ કરી રહ્યા છે. જો આ પાર્ટી ચૂંટણી લડે છે તો વિપક્ષના વોટ વહેંચાઈ જશે અને ફાયદો બીજેપીનો કોર વોટર બેઝ અકબંધ રહેવાથી તેમને જ થશે.”
કાજલ નિષાદ: “આવી ગયો સ્વાદ? જોઈ લીધી યુવાનોની તાકાત? અને કહેશો યુવાનોને કોકરોચ? જ્યારે સિસ્ટમ જ સડેલી ગટર બની ગઈ છે તો પછી કોકરોચ જ પેદા થશે ને.”
અભિયાન ચલાવનાર અભિજીત દીપકેનો દાવો
કોકરોચ જનતા પાર્ટી અભિયાનને લોન્ચ કરનારા અભિજીત દીપકેએ ગુરુવારે દાવો કર્યો હતો કે આ અભિયાનનું X હેન્ડલ ભારતમાં બેન કરી દેવામાં આવ્યું છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેમણે કહ્યું, “પહેલાં તેમણે અમારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો અને પછી ટ્વિટર હેન્ડલ ઇન્ડિયામાં બંધ કરી દીધું છે. અમે માત્ર વિદ્યાર્થીના આપઘાત મામલે મંત્રીનું રાજીનામું માંગી રહ્યા હતા. હું ઈચ્છું છું કે તમે લોકો અવાજ ઉઠાવો અને પૂછો કે આવું કેમ કરવામાં આવ્યું.” નોંધનીય છે કે CJP ના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લગભગ 1.90 કરોડથી વધુ ફોલોઅર્સ છે.
કેવી રીતે શરૂ થયું ‘કોકરોચ જનતા પાર્ટી’ અભિયાન?
આ અભિયાનની શરૂઆત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા યુવાનો અને કોકરોચને લઈને આપવામાં આવેલા નિવેદન બાદ થઈ હતી. જોકે, જસ્ટિસ સૂર્યકાંતે શનિવારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મીડિયાના એક વર્ગે તેમની વાતોને ખોટી રીતે રજૂ કરી છે.
અભિજીત દીપકે (CJP ના સ્થાપક) એ બીબીસી મરાઠીને જણાવ્યું કે, “હું X પર CJI નું નિવેદન જોઈ રહ્યો હતો જ્યાં તેઓ સિસ્ટમની આલોચના કરવા માટે દેશના યુવાનોની સરખામણી કોકરોચ અને પરોપજીવીઓ (Parasites) સાથે કરી રહ્યા હતા. મને આ અત્યંત હાસ્યાસ્પદ લાગ્યું કારણ કે જે વ્યક્તિ બંધારણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા કરવા માટે બેઠા છે, તે યુવાનોની સરખામણી કોકરોચ સાથે કેવી રીતે કરી શકે?”
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરના રહેવાસી અભિજીત દીપકેએ પુણેમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી આમ આદમી પાર્ટીની કમ્યુનિકેશન ટીમમાં કામ કર્યું હતું અને ત્યારબાદ તેઓ પોતાના આગળના અભ્યાસ માટે બોસ્ટન યુનિવર્સિટી ચાલ્યા ગયા હતા.
આ પણ વાંચો – ક્રૂડ ઓઇલના ભડકે બળતા ભાવ અને સંભવિત અછત: ભારતીય અર્થવ્યવસ્થા પર શું થશે અસર?
