નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાન્તે સોમવારે એક અરજદારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તે ‘કૉકરોચ જનતા પાર્ટી’ (CJP) ના મુદ્દાને આટલો બધો ભાવનાત્મક રીતે ન લે.
સુપ્રીમ કોર્ટમાં એક વકીલે આ અંગે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) ને તાત્કાલિક લિસ્ટિંગ (સુનાવણી પર લેવા) કરવાની વિનંતી કરી હતી. ‘લાઇવ લૉ’ના અહેવાલ મુજબ, એડવોકેટ એન.કે. ગોસ્વામીએ દલીલ કરી હતી કે મુખ્ય ન્યાયાધીશના ‘કૉકરોચ’ (વંદા) વાળા નિવેદન અંગે સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં ઇન્ટરનેટ પર ‘એક વિકૃત અને દૂષિત નેરેટિવ’ (કથા) સતત ચલાવવામાં આવી રહ્યું છે.
તેના જવાબમાં CJI જસ્ટિસ સૂર્યકાન્તે વકીલને કહ્યું, “આને આટલું બધું ભાવનાત્મક રીતે ન લો.” મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે હાલમાં આ કેસની તાત્કાલિક સુનાવણીની કોઈ જ જરૂર નથી અને યોગ્ય સમય આવ્યે તેની સુનાવણી કરવામાં આવશે.
કેવી રીતે બની કૉકરોચ જનતા પાર્ટી?
‘કૉકરોચ જનતા પાર્ટી’ એક વ્યંગાત્મક સોશિયલ મીડિયા ચળવળ છે, જે જસ્ટિસ સૂર્યકાન્તની એક ટિપ્પણી પછી શરૂ થઈ છે. આ ટિપ્પણીમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે ઓનલાઈન સક્રિયતાની આડમાં વ્યવસ્થા પર હુમલો કરતા બેરોજગાર યુવાનોને ‘કૉકરોચ’ જેવા માની શકાય. જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈશારો નકલી ડિગ્રી ધરાવતા લોકો તરફ હતો, તમામ યુવાનો માટે નહીં.
આ નિવેદન બાદ અભિજીત દીપકે નામના યુવાને સોશિયલ મીડિયા પર ‘કૉકરોચ જનતા પાર્ટી’ ની સ્થાપના કરવાની જાહેરાત કરી. જોતજોતામાં જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફોલોઅર્સનું ઘોડાપૂર આવી ગયું. ઇન્સ્ટાગ્રામ પર માત્ર ગણતરીના કલાકોમાં તેણે ભાજપ, કોંગ્રેસ અને દેશની અન્ય તમામ પાર્ટીઓને પાછળ છોડી દીધી. હાલમાં CJP ના ઇન્સ્ટાગ્રામ પર 2.30 કરોડ (23 મિલિયન) ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. જોકે, બાદમાં X (અગાઉનું ટ્વિટર) પર તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા કલાકો પછી તેઓ નવા એકાઉન્ટ સાથે ફરી સક્રિય થયા હતા. અહેવાલો મુજબ, પાર્ટીની વેબસાઇટ પર 2 લાખથી વધુ લોકોએ સભ્યપદ માટે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે.
બીબીસી ન્યૂઝ મરાઠી સાથે વાત કરતા સ્થાપક અભિજીત દીપકે જણાવ્યું હતું કે, બંધારણના રક્ષક ગણાતા CJI દ્વારા યુવાનોની સરખામણી કૉકરોચ સાથે કરવી એ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલા સમાન લાગ્યું, જેના વિરોધમાં આ આઈડિયા આવ્યો.
નેતાઓ અને નિષ્ણાતો શું કહી રહ્યા છે?
CJP ના ઉદય પર વિવિધ રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું, “હું CJP ના ઝડપી ઉદયને લઈને ખૂબ જ ઉત્સુક છું. હું યુવાનોની નિરાશા સમજું છું. X પર આ એકાઉન્ટને રોકવું એ નુકસાનકારક અને સમજણ બહારનું છે. લોકશાહીમાં અસંમતિ અને વ્યંગ માટે જગ્યા હોવી જ જોઈએ.”
રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, “આ માત્ર મજાક કે ગુસ્સો નથી. દેશની અંદર નીચેથી એક તરફડાટ છે કારણ કે વ્યવસ્થાના દરવાજા બંધ થઈ ગયા છે. સરકાર દ્વારા તેને બેન કરવું એક ગંભીર પરિવર્તનની શરૂઆત હોઈ શકે છે.” જ્યારે TMC નેતા મહુઆ મોઇત્રાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું, “આ ફાસીવાદ છે, લોકશાહી નથી. આપણી સરકાર દેશના યુવાનોથી એટલી ડરી ગઈ છે કે તે એક વર્ચ્યુઅલ ઓનલાઈન આંદોલનને પણ સહન કરી શકતી નથી.”
શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે, યુવાનોનું નવી કાલ્પનિક પાર્ટી તરફ વળવું એ દર્શાવે છે કે તેમણે વર્તમાન વિપક્ષી દળોમાંથી આશા ગુમાવવાનું શરૂ કરી દીધું છે.
બીજી તરફ, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે અલગ મત રજૂ કર્યો છે. નેહા સિંહ નામની યુઝરે લખ્યું છે કે, CJP થી અંતે ભાજપને જ ફાયદો થશે. કારણ કે, આ પાર્ટી સાથે જોડાનારા મોટાભાગના લોકો કોંગ્રેસ અને AAP ના સમર્થકો છે. જો CJP ચૂંટણી લડશે તો વિપક્ષના જ વોટ કપાશે, જ્યારે ભાજપની કોર વોટબેંક અકબંધ રહેશે.
આ પણ વાંચો – રુબિયો સાથેની વાતચીતમાં જયશંકરે રાખ્યો ભારતનો 5-સૂત્રીય પક્ષ, સંવાદ અને નિર્બાધ સમુદ્રી વેપાર પર ભાર
