- AI ક્યારેય જજનું સ્થાન નહીં લઈ શકે: ન્યાયિક નિર્ણયોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટ મૂકશે સંપૂર્ણ પ્રતિબંધ
- અદાલતોમાં AI ના ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટની કમિટીનો ડ્રાફ્ટ જાહેર, ચુકાદાઓ માટે નહિ પરંતુ માત્ર ‘સહાયક’ તરીકે મળશે મંજૂરી
- સુપ્રીમ કોર્ટનો મોટો પ્રસ્તાવ: અદાલતોની કાર્યવાહીમાં પક્ષકારોના પ્રોફાઈલિંગ અને ભેદભાવ કરતી AI સિસ્ટમ પર લાગશે બ્રેક
નવી દિલ્હી: ટેકનોલોજીના ઝડપી વિકાસ વચ્ચે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો વ્યાપ વધી રહ્યો છે, પરંતુ ન્યાયિક પ્રક્રિયાઓમાં તેના ઉપયોગને લઈને સુપ્રીમ કોર્ટ સતર્ક બની છે. સુપ્રીમ કોર્ટની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સમિતિ દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટ (મસૌદા) નિયમોમાં ન્યાયિક નિર્ણયો લેવા માટે AI ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, કેસના પક્ષકારો અને સાક્ષીઓનું પ્રોફાઈલિંગ કરતા AI ઉપકરણોના ઉપયોગ પર પણ રોક લગાવવાની ભલામણ કરવામાં આવી છે. અદાલતી કાર્યવાહીમાં એવી કોઈપણ AI સિસ્ટમનો ઉપયોગ નહીં કરી શકાય જેની કાર્યપ્રણાલી સ્પષ્ટ ન હોય અથવા જેને સમજાવી ન શકાય (બ્લેક-બોક્સ AI).
સમિતિ અને ડ્રાફ્ટની વિગતો
આ મહત્વપૂર્ણ સમિતિની અધ્યક્ષતા જસ્ટિસ પી.એસ. નરસિમ્હા કરી રહ્યા છે. આ સમિતિના અન્ય સભ્યોમાં જસ્ટિસ સંજીવ સચદેવા, જસ્ટિસ રાજા વિજયરાઘવન વી., જસ્ટિસ અનૂપ ચિતકારા અને જસ્ટિસ સૂરજ ગોવિંદરાજનો સમાવેશ થાય છે. બુધવારે (3 જૂન) અદાલતોમાં AI ના ઉપયોગ અંગેના વિનિયમ, 2026 નો પ્રારંભિક ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો હતો. સમિતિએ આ ડ્રાફ્ટની ભલામણો પર તમામ હિતધારકો અને સામાન્ય જનતા પાસેથી 20 જૂન સુધી સૂચનો અને ટિપ્પણીઓ મંગાવી છે.
AI માત્ર સહાયક રહેશે, ન્યાયાધીશનું સ્થાન નહીં લઈ શકે
પ્રારંભિક ડ્રાફ્ટ મુજબ, કોર્ટમાં AI સિસ્ટમ માત્ર એક ‘સહાયક ભૂમિકા’ માં જ કામ કરશે. તે ક્યારેય કાયદેસર રીતે નિયુક્ત કરાયેલા ન્યાયિક અધિકારીના અધિકારોનું સ્થાન લઈ શકશે નહીં કે તેને પ્રભાવિત કરી શકશે નહીં. કાયદો, તથ્યો અને ન્યાય સાથે જોડાયેલા તમામ મામલાઓમાં અંતિમ નિર્ણય લેવાનો અધિકાર માત્ર ન્યાયાધીશો પાસે જ સુરક્ષિત રહેશે.
ડ્રાફ્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એવી કોઈ AI સિસ્ટમ લાગુ નહીં કરાય જે જાતિ, ધર્મ, જ્ઞાતિ, લિંગ, શારીરિક અક્ષમતા, ભાષા કે આર્થિક સ્થિતિના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ ઊભો કરતી હોય. મહિલાઓ, બાળકો, દિવ્યાંગો અને પછાત વર્ગના હિતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
આ કામો માટે AI ના ઉપયોગની મળશે છૂટ
જોકે, અદાલતોના વહીવટી અને કેટલાક અન્ય કામોમાં AI ના મર્યાદિત ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે નીચેના કામોનો સમાવેશ થાય છે.
કેસ મેનેજમેન્ટ અને કોઝ લિસ્ટ તૈયાર કરવી.
સુનાવણીની તારીખો નક્કી કરવી.
કોર્ટની કાર્યવાહીનું ટ્રાન્સક્રિપ્શન (લખાણ) અને ચુકાદાઓનું ભાષાંતર.
કાનૂની સંશોધન (Legal Research) અને દસ્તાવેજોની પ્રાથમિક તપાસ.
રેકોર્ડ મેનેજમેન્ટ અને ન્યાયિક સંસાધનોની ફાળવણી.
દિવ્યાંગો અને ભાષાકીય અડચણ અનુભવતા લોકો માટે ચેટબોટ્સ અને સહાયક AI નો ઉપયોગ.
અગાઉ સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી હતી ચિંતા
અત્રે નોંધનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે વકીલો દ્વારા AI ની મદદથી તૈયાર કરાયેલી અરજીઓ દાખલ કરવા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કેટલીક અરજીઓમાં AI દ્વારા એવા હવાલાઓ આપવામાં આવ્યા હતા જે વાસ્તવિકતામાં અસ્તિત્વ જ નહોતા ધરાવતા. જેને કોર્ટે અનુચિત ગણાવ્યું હતું.
