અમદાવાદ: અમદાવાદ શહેરમાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો, ખાસ કરીને સરખેજ, બોપલ, મકરબા અને જોધપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં ૧૦ ઈંચ સુધી વરસાદ ખાબકવાને કારણે રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓ તથા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે જળબંબાકારની સ્થિતિને લીધે શહેરના સાત મુખ્ય અંડરપાસ સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે, તેમજ સાબરમતી નદીની જળસપાટી નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના દરવાજા ખોલવા પડ્યા છે.
શહેરના સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો પૈકીના એક એવા સરખેજમાં સ્થિતિ ગંભીર બનેલી છે. સરખેજ ગામ અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી વિકટ પરિસ્થિતિમાં સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) એલ. એલ. ચાવડા તેમની ટીમ સાથે સીધા ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા. તેમણે પોતે ઘૂંટણસમા પાણીમાં પગપાળા ચાલીને અસરગ્રસ્ત સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો સુધી પહોંચીને લોકોની સાળ-સંભાળ લીધી હતી તેમજ પાણીમાં ફસાયેલા લોકોની મુશ્કેલીઓ જાણીને રાહત કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
બીજી તરફ, મુશળધાર વરસાદ અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. એસ.જી. હાઈવે પર આવેલા વ્યસ્ત વાયએમસીએ (YMCA) ક્લબ કટ પાસે પણ પાણી ભરાઈ જવાથી મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દરમિયાન સરખેજ પોલીસની ટીમ ધોધમાર વરસાદમાં પલળીને પણ વાહનવ્યવહાર પૂર્વવત કરાવવામાં જોતરાયેલી રહી હતી. પોલીસ કર્મચારીઓએ પોતે પાણી વચ્ચે ઊભા રહીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો, જેથી રસ્તા પર અટવાયેલા વાહનચાલકોને રાહત મળી શકે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસ તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો – ‘કોકરોચ’ માત્ર આંદોલન નથી, દેશના યુવાનોના તૂટતા વિશ્વાસનો વિસ્ફોટ છે
