ગુજરાતમાં વિકાસની મોટી-મોટી વાતો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટોના આંકડાઓ વચ્ચે ભ્રષ્ટાચારની ઉધઈ કેવી રીતે સરકારી યોજનાઓને કોરી ખાય છે, તેનું વધુ એક શરમજનક અને વરવું ઉદાહરણ છોટા ઉદેપુર જિલ્લામાં સામે આવ્યું છે. આદિવાસી વિસ્તારના ખેડૂતોના કલ્યાણ માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા, પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતે આખી કેનાલ જ ગળી લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ઘટના ફરી એકવાર ‘ભ્રષ્ટાચાર મુક્ત’ વહીવટના દાવાઓની પોલ ખોલી રહી છે.
પાણીનું એક ટીપું નથી આવ્યું અને કેનાલના કટકા થઈ ગયા
પ્રાપ્ત વિગતો અનુસાર, છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા ગામે ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે લીંડા તળાવમાંથી 3.50 કિલોમીટર લાંબી કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ યોજના પાછળ સરકારે 1.19 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કર્યો હતો. પરંતુ આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે, હજુ તો આ કેનાલમાં સિંચાઈ માટે એક વાર પણ પાણી છોડવામાં નથી આવ્યું, ત્યાં તો કેનાલમાં ઠેર-ઠેર મોટી તિરાડો પડી ગઈ છે અને અમુક જગ્યાએ તો આખી કેનાલ ભાંગીને ભૂકો થઈ ગઈ છે.
કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મીલીભગત?
આ કેનાલ બનાવવાનો કોન્ટ્રાક્ટ બોડેલીની ‘વીરકૃપા’ એજન્સીને સોંપવામાં આવ્યો હતો. જ્યારે આ કામગીરી ગુણવત્તાયુક્ત થઈ રહી છે કે કેમ, તેની દેખરેખ રાખવાની સીધી જવાબદારી છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના અધિકારીઓની હતી. પરંતુ, સિંચાઈ વિભાગના અધિકારીઓએ જાણે આંખે પાટા બાંધી લીધા હોય તેમ યોગ્ય નિરીક્ષણ કર્યું જ નહીં. પરિણામે કોન્ટ્રાક્ટરે અત્યંત હલકી કક્ષાનું મટિરિયલ વાપરીને ગુણવત્તા વગરનું કામ કરી સરકારના કરોડો રૂપિયા પાણીમાં નાખ્યા છે.
ખેડૂતોમાં ભારે આક્રોશ અને સરપંચની રજૂઆત
આઝાદીના દાયકાઓ પછી જ્યારે આદિવાસી વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી મળવાની આશા બંધાઈ હતી, ત્યારે તંત્રની બેદરકારીએ તેમના સપના રોળી નાખ્યા છે. ખેડૂતો હવે સવાલ પૂછી રહ્યા છે કે જો પાણી છોડ્યા વિના જ કેનાલની આ હાલત હોય, તો પાણીના પ્રવાહ સામે આ કેનાલ કેવી રીતે ટકશે? સ્થાનિક ખેડૂતોમાં અધિકારીઓની આ ગુનાહિત બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં, ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ હલકી કક્ષાની કામગીરી અંગે લેખિત રજૂઆત કરીને કડક તપાસની માંગ કરવામાં આવી છે.
હવે જોવાનું એ રહે છે કે, સરકાર આ ભ્રષ્ટાચાર આચરનાર એજન્સી અને આંખ આડા કાન કરનાર અધિકારીઓ સામે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરે છે કે પછી આખી ફાઈલ ભ્રષ્ટાચારની ધૂળ નીચે દબાઈ જશે?
આ પણ વાંચો – અમદાવાદના દરિયાપુરમાં SMCનો મેગા સપાટો: મનપસંદ જીમખાનામાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર રેડ, 150થી વધુ જુગારીઓ ઝડપાયા
