- અન્ન પુરવઠા વિભાગની મોટી પોલ ખૂલી: ગુજરાતમાં 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ, 15 લાખ રદ, પણ ગુનેગારો સામે કાર્યવાહી ક્યારે?
વિકાસ અને સમૃદ્ધિના મોડેલ તરીકે ઓળખાતા ગુજરાતમાં સરકારી યોજનાઓમાં કેવી લાલિયાવાડી ચાલી રહી છે, તેનો વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અંતર્ગત અપાતા મફત અનાજ પર રાજ્યના સુખી-સંપન્ન પરિવારોએ તરાપ મારી હોવાનું સામે આવ્યું છે. જે અનાજ માત્ર ગરીબો અને જરૂરિયાતમંદો માટે અનામત હતું, તે આલીશાન બંગલા અને વૈભવી કાર ધરાવતા લોકો ઓહિયાં કરી ગયા છે.
કેન્દ્રીય એજન્સીઓના ડેટા ક્રોસ-વેરિફિકેશનમાં ફૂટ્યો ભાંડો
કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રાજ્યસભામાં રજૂ કરેલી વિગતો મુજબ, ગુજરાતમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં 55.09 લાખ જેટલા શંકાસ્પદ રેશનકાર્ડ સામે આવ્યા હતા. કેન્દ્રીય એજન્સીઓએ જ્યારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, કૃષિ મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ અને RTO ના ડેટા સાથે આ રેશનકાર્ડનું ક્રોસ-વેરિફિકેશન કર્યું, ત્યારે હજારો ધનિકોની પોલ પકડાઈ ગઈ હતી.
કોણ હતા આ ‘નકલી ગરીબો’?
તપાસમાં સામે આવ્યું છે કે મફત અનાજનો લાભ લેનારાઓમાં એવા લોકો સામેલ હતા જેઓ,
નિયમિત ઈનકમ ટેક્સ (આવકવેરો) ભરે છે.
આલીશાન બંગલા અને વૈભવી કારના માલિકો છે.
મોટી ખેતીલાયક જમીનો ધરાવે છે.
મોટી કંપનીઓના ડાયરેક્ટર પદે બેઠેલા છે.
તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો
કેન્દ્રના રિપોર્ટ બાદ રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 15.58 લાખ બોગસ રેશનકાર્ડ રદ કરી દીધા છે. પરંતુ આ આંકડો જ સરકારી તંત્રની પોલ ખોલવા માટે પૂરતો છે. સૌથી મોટો સવાલ એ છે કે,
અત્યાર સુધી આ 15 લાખ જેટલા બોગસ કાર્ડધારકોના નામે હજારો ટન અનાજ કોણ લઈ ગયું?
આટલા મોટા પાયે બોગસ રેશનકાર્ડ કોના આશીર્વાદથી બન્યા?
સ્થાનિક સ્તરે સરકારી બાબુઓ અને રેશનિંગ દુકાનદારોની મિલીભગત વગર વર્ષો સુધી આ કૌભાંડ કેવી રીતે ચાલ્યું?
માત્ર કાર્ડ રદ કરવા પૂરતા નથી, ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ
સરકારે રેશનકાર્ડની ચકાસણી કર્યા વિના બારોબાર હજારો ટન અનાજ વહેંચીને વાહવાહી તો મેળવી લીધી, પરંતુ હવે જ્યારે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મૌન સેવીને બેઠું છે. જાગૃત નાગરિકોમાં હવે એવી માંગ ઉઠી છે કે ગરીબોના મોંમાંથી કોળિયો છીનવી લેતા આ ‘નકલી ગરીબો’ સામે માત્ર રેશનકાર્ડ રદ કરવા પૂરતી કાર્યવાહી પૂરતી નથી. સરકારના સંસાધનોની લૂંટ કરનારા આ તત્ત્વો પાસેથી અત્યાર સુધી મેળવેલા અનાજની બજાર કિંમત વસૂલવામાં આવે અને તેમની સામે છેતરપિંડીનો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.
