અમદાવાદમાં હપ્તાખોરી અને પોલીસ-ગુનેગારોની સાંઠગાંઠના કિસ્સાઓ હવે કોઈ નવી વાત નથી રહી. પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બને અને ખાખી વર્દીની આડમાં ખુદ પોલીસ જ હાઈવે રોબરી કરતી ગેંગ બની જાય, ત્યારે એક સામાન્ય અને નિર્દોષ નાગરિકે કોનાથી ડરવું? ગુનેગારોથી કે પછી પોલીસથી? આ સવાલ હાલ સમગ્ર અમદાવાદમાં ગુંજી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ નજીક દુબઈથી આવેલા મુસાફરોનું અપહરણ કરી 64 લાખના સોનાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ સનસનીખેજ લૂંટના તાર ડાંગ અને ખુદ અમદાવાદ પોલીસના કર્મચારીઓ સાથે જોડાયેલા હોવાનો પર્દાફાશ થતાં ખાખી વર્દી પર મોટો કાળો ડાઘ લાગ્યો છે.
600 ગ્રામ સોનું, અપહરણ અને લૂંટની ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 27મી જૂનના રોજ હરીશ અને ઓએસ નામના બે મુસાફરો દુબઈથી 64 લાખ રૂપિયાની કિંમતનું 600 ગ્રામ સોનું લઈને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. તેઓ એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે જ અગાઉથી ગોઠવાયેલા એક મહિલા અને ચાર શખ્સોએ તેમને આંતરીને બળજબરીપૂર્વક બોલેરો ગાડીમાં બેસાડી તેમનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ મુસાફરોને માર મારી, એપોલો સર્કલ સુધી લઈ જઈને તેમની પાસેથી સોનાની લૂંટ ચલાવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
સામાજિક કાર્યકરની આડમાં મહિલા ‘વોચર’ નીકળી
આ અંગે ભોગ બનનારાઓએ જાણ કરતાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 4 અલગ-અલગ ટીમો બનાવી ઉત્તર પ્રદેશના ટાંડા, મધ્યપ્રદેશ અને કર્ણાટક સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. સીસીટીવી અને સર્વેલન્સના આધારે પોલીસે સૌથી પહેલા અમરાઈવાડીની પારુલ મિસ્ત્રી નામની મહિલાની ઓળખ કરી તેને ઝડપી પાડી. પારુલ પોતાને ‘સામાજિક કાર્યકર’ ગણાવતી અને પોલીસના સતત સંપર્કમાં રહેતી હતી. આ ગુનામાં તેણે એરપોર્ટ પર ‘વોચર’ તરીકે કામ કરી અન્ય આરોપીઓને લૂંટ માટે ટીપ આપી હતી.
પોલીસ જ નીકળી લૂંટની માસ્ટરમાઇન્ડ
આ સમગ્ર લૂંટનું પ્લાનિંગ કોઈ રીઢા ગુનેગારે નહીં, પરંતુ ડાંગ પોલીસમાં ફરજ બજાવતા કૃપારાવ નામના કર્મચારીએ કર્યું હતું. દુબઈથી પેસેન્જર સોનું લઈને આવી રહ્યા છે તેવી ટીપ મળ્યા બાદ પોલીસ કર્મચારીઓએ જ આ કાવતરું ઘડ્યું હતું. મહિલા આરોપી પારુલ મિસ્ત્રી અમદાવાદ શહેર પોલીસમાં નોકરી કરતા મહિપાલસિંહ દિલીપસિંહ રાઠોડના સતત સંપર્કમાં હતી. જ્યારે લૂંટમાં સામેલ અન્ય આરોપીઓ મુખતિયાર અને નટવર ઉર્ફે બાબુ પરમાર એ કૃપારાવના સંપર્કમાં હતા.
ત્રણ આરોપી પકડાયા, ખાખી પહેરેલા લૂંટારાઓ હજુ ફરાર
પોલીસની ટીમે લૂંટ માટે બોલેરો ગાડી લાવનાર અને મુખ્ય સૂત્રધાર એવા પોલીસ કર્મચારી કૃપારાવ દેવૈયા તેમજ નટવરલાલ ભોજાભાઈ પરમારને છેક કર્ણાટકથી ઝડપી લીધા છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ ત્રણ આરોપીઓ પકડાયા છે. જોકે, આ તપાસમાં અમદાવાદ શહેર પોલીસમાં નોકરી કરતા મહિપાલસિંહ દિલીપસિંહ રાઠોડ, મુકેશ શ્યામરાવ કુવર અને મુખતિયાર અહેમત તલાટ (પ્રાઇવેટ માણસ) ના નામ પણ ખુલ્યા છે. લૂંટ ચલાવીને ફરાર થઈ ગયેલા આ પોલીસ કર્મચારીઓ અને અન્ય આરોપીઓને પકડવા હાલ અલગ-અલગ ટીમો કાર્યરત છે.
સવાલ એ થાય છે કે, જો પોલીસ કર્મચારીઓ જ બાતમી મેળવીને લૂંટનું નેટવર્ક ચલાવતા હોય, તો સામાન્ય પ્રજા સુરક્ષાની અપેક્ષા કોની પાસે રાખે?
આ પણ વાંચો – ગુજરાતમાં ગરીબોના અનાજ પર તવંગરોની તરાપ: 15.58 લાખ બોગસ રેશનકાર્ડ રદ, સરકારી બાબુઓની મિલીભગત પર સવાલો
