ભાવનગર: ભાવનગરમાં ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડના નામે વેચાયેલા નકલી અને ઝેરી દારૂના (લઠ્ઠાકાંડ) પ્રકરણમાં મૃત્યુઆંક વધીને ૮ પર પહોંચી ગયો છે. જ્યારે ૩૧ થી વધુ અસરગ્રસ્તો હાલ સર ટી. હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા શરૂ કરાયેલા તપાસના ધમધમાટમાં રેકેટના તાર ગુજરાતની બહાર દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી લંબાયા હોવાનો મોટો ખુલાસો થયો છે.
કેવી રીતે બન્યો લઠ્ઠો અને તપાસ ક્યાં પહોંચી?
ઝેરી રસાયણ: ફોરેન્સિક અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બૂટલેગરોએ વધુ નફો કમાવા અને ગ્રાહકોને ઝડપી નશો કરાવવા માટે દારૂમાં જીવલેણ મિથેનોલ (૩૮%) નો ઉપયોગ કર્યો હતો, જે આ મોતનું મુખ્ય કારણ બન્યું.
આંતરરાજ્ય નેટવર્ક: નકલી દારૂની બોટલો, સ્ટીકર અને સીલિંગ મશીન દિલ્હીથી આવ્યા હોવાનું ખુલતા પોલીસની એક ટીમ દિલ્હી અને દારૂ બનાવનાર કારીગરોની શોધમાં બીજી ટીમ મધ્યપ્રદેશ પહોંચી છે.
માસ્ટરમાઈન્ડની ધરપકડ: છેલ્લા દોઢ-બે મહિનાથી ભાવનગર અને કચ્છમાં સક્રિય આ રેકેટનો મુખ્ય માસ્ટરમાઈન્ડ રઈસ ઉજ્જૈન ભાગી ગયો હતો, જેને SMC એ મોડી રાત્રે ઝડપીને ભાવનગર આણ્યો છે.
૧૩ આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ
આ સપ્લાય ચેઈનમાં સંકળાયેલા ૧૩ આરોપીઓની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. અદાલતે તમામ આરોપીઓના આગામી ૩૧ ઓગસ્ટ સુધીના (૧૦ દિવસના) રિમાન્ડ મંજૂર કર્યા છે. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને તેના સગાઓએ પુરાવા સળગાવી નાશ કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેમના વિરુદ્ધ પુરાવા નાશ કરવાની કલમો પણ ઉમેરી છે.
પોલીસ બેડામાં મોટી કાર્યવાહી: PI સહિત ૭ સસ્પેન્ડ
પોતાના જ વિસ્તારમાં ચાલતા આ ગોરખધંધા અંગે અજાણ રહેવા અને ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ ઉચ્ચ કક્ષાએથી આકરા પગલાં લેવાયા છે.
LCB PI મધુરધ્વજસિંહ સરવૈયા
વરતેજ PI એસ.બી. પઢેરિયા
વરતેજ અને નિલમબાગ પોલીસ મથકના અન્ય ૫ કર્મચારીઓ (મૃતક આરોપીનું પીએમ કરાવ્યા વિના પરિવારને બોડી સોંપી દેનાર કોન્સ્ટેબલ સહિત)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે.
શિક્ષક અને દારૂ બનાવનારનું પણ મોત
લઠ્ઠાકાંડમાં રાજપરા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ પરમારનો તેમના ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જ્યાંથી અડધી દારૂની બોટલ પણ જપ્ત થઈ હતી. આ ઉપરાંત, દારૂ બનાવવા માટે એમપીથી આવેલા નરેન્દ્ર ઉર્ફે ડોક્ટરનું પણ આ જ ઝેરી દારૂ પીવાથી મોત નીપજ્યું હતું.
વકીલોનો ઐતિહાસિક નિર્ણય
આ ગંભીર અને અમાનવીય ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભાવનગર બાર એસોસિએશન અને સ્થાનિક વકીલોએ માનવતાના ધોરણે આ લઠ્ઠાકાંડના કોઈપણ આરોપી વતી કોર્ટમાં કેસ ન લડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
આ પણ વાંચો – ગંભીર વલણ : હવે ઇંગ્લિશ પણ ‘લઠ્ઠો’! ગુજ. પ્રોહિ. 2011ની વ્યાખ્યાનો પ્રથમ વખત ઉપયોગ!
