પાલિતાણા : પાલિતાણાની એડિશનલ સિવિલ જજ અને JMFC એ.વી. વર્માની કોર્ટે બે અલગ-અલગ ચેક બાઉન્સ કેસમાં આરોપીઓને સખત સજા ફટકારી છે. બંને કેસમાં આરોપીઓને 2 વર્ષની સાદી કેદ અને ફરિયાદીઓને વળતર ચૂકવવાના હુકમ કરવામાં આવ્યા છે.
પહેલો કેસ – દુબઈ નોકરીના બહાને ₹3.50 લાખની ઠગાઈ
પાલિતાણાના રંડોળા ગામના (હાલ સુરતમાં રહેતા) લખમણભાઈ ભીખાભાઈ બાબરિયાના પુત્રને દુબઈમાં જહાજ પર નોકરી અપાવવાનું બહાનું કાઢીને દીપક જેન્તીભાઈ ચૌહાણ (રહે. ભાવનગર, લક્ષ્મણ બંગ્લોઝ, નવા રીંગ રોડ, એરપોર્ટ રોડ)એ ₹3,50,000 રોકડા લીધા હતા. નોકરી ન અપાવતા 10 ઑક્ટોબર 2022ના રોજ સાડા ત્રણ લાખનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયો.
લખમણભાઈએ વકીલ મારફત નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ (NI Act)ની કલમ 138 હેઠળ ફરિયાદ નોંધાવી. કોર્ટે આરોપી દીપક જેન્તીલાલ ચૌહાણને કસુરવાર જાહેર કરીને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત 2 મહિનામાં ફરિયાદીને ₹2 લાખનું વળતર 6% વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે.
બીજો કેસ – મિત્ર પાસેથી ₹8 લાખ હાથઉછીના લીધા
પાલિતાણાના મોટી રાજસ્થળી ગામના જીજ્ઞેશભાઈ કાળુભાઈ ચૌહાણ પાસેથી તેના મિત્ર પંકજ કેશાભાઈ પટેલ (રહે. મોટી ઈસરોલ, પટેલ ફળિયું, મોડાસા, અરવલ્લી)એ ₹8 લાખ હાથઉછીના લીધા હતા. પરત આપવા આપેલો ચેક બાઉન્સ થતા ફરિયાદ નોંધાવવામાં આવી. કોર્ટે આરોપી પંકજ પટેલને પણ 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને 2 મહિનામાં ફરિયાદીને ₹3 લાખનું વળતર 6% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે.
આ બંને ચુકાદાઓથી ચેક બાઉન્સ અને ઠગાઈના કેસોમાં ઝડપી ન્યાય મળવાની આશા વધી છે. કોર્ટે ફરિયાદીઓને વ્યાજ સાથે વળતર ચૂકવવાના હુકમ કરીને ન્યાય વ્યવસ્થાને મજબૂત કરી છે.
આ પણ વાંચો – મધ્ય પૂર્વના યુદ્ધની આગમાં ભારતીય બજારોમાં આગ : ૧૪ દિવસમાં ₹૩૩.૬૮ લાખ કરોડનું ધોવાણ
