નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તન અને અનુસૂચિત જાતિ (SC)ના દરજ્જા વચ્ચેના સંબંધને લઈને એક મહત્ત્વનો અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ છોડીને અન્ય કોઈ ધર્મ (ખાસ કરીને ખ્રિસ્તી ધર્મ) અપનાવે છે, તો તે અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો આપોઆપ ગુમાવી દે છે અને SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989 હેઠળ મળતા કોઈપણ રક્ષણ અથવા લાભનો અધિકાર રહેતો નથી.
જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ એ.વી. અંજારિયાની બેન્ચે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને યથાવત્ રાખતા આ વાત સ્પષ્ટ કરી. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, અનુસૂચિત જાતિનો દરજ્જો હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સુધી જ મર્યાદિત છે. અન્ય ધર્મમાં પરિવર્તન કરવાથી જ્ઞાતિ આધારિત અનામત, સુરક્ષા અને અન્ય બંધારણીય લાભો આપોઆપ સમાપ્ત થઈ જાય છે.
આ કેસમાં મુખ્ય પક્ષકાર છેલ્લા 10 વર્ષથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરતો હતો અને પાદરી તરીકે રવિવારની પ્રાર્થનાઓ પણ કરાવતો હતો. આ તથ્યો કોર્ટના રેકોર્ડ પર સાબિત થયા હતા. કોર્ટે કહ્યું કે, જે વ્યક્તિ સક્રિયપણે અન્ય ધર્મની પરંપરાઓ અને વિધિઓનું પાલન કરતી હોય, તેને મૂળ જ્ઞાતિના આધારે SCનો દરજ્જો જાળવી રાખવાનો અધિકાર નથી.
આ ચુકાદાથી કાયદાકીય સ્થિતિ હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે, ધર્મ પરિવર્તન કરવાની સાથે જ અનુસૂચિત જાતિ તરીકેનો દરજ્જો અને તે સાથે જોડાયેલા તમામ સરકારી લાભો સમાપ્ત થઈ જાય છે. કોર્ટે આને બંધારણીય વ્યવસ્થા સાથે સુસંગત ગણાવ્યું છે.આ નિર્ણય ધર્મ પરિવર્તન અને જ્ઞાતિ આધારિત અધિકારો વચ્ચેની સીમા નક્કી કરે છે અને ભવિષ્યમાં આવા મામલાઓમાં માર્ગદર્શક બનશે.
આ પણ વાંચો – અમદાવાદમાં ગાઢ નિદ્રામાં સૂતા યુવકની હિચકારી હત્યા, કાયદો-વ્યવસ્થા ઉપર ઉઠ્યા પ્રશ્ન
