અમદાવાદ : શહેરના સૌથી વ્યસ્ત અને જાણીતા વેપારી કેન્દ્ર પાંચકુવા રેવડી બજાર (સિંધી માર્કેટ)માં આજે (18 માર્ચ) અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી છે. આગ એટલી તીવ્ર હતી કે મિનિટોમાં 30થી વધુ દુકાનો જ્વાળાઓની લપેટમાં આવી ગઈ. આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે, અને ધુમાડાના ગોટા આકાશમાં ઊંડા સુધી પહોંચી રહ્યા છે.
આગની તીવ્રતા અને બચાવ કામગીરી
ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં જ ફાયર સર્વિસની 20થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયરફાઈટરોએ ચારે બાજુથી પાણીનો પ્રચંડ મારો ચલાવીને આગને કાબૂમાં લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. હાલ આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી યુદ્ધસ્તરે ચાલી રહી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, પરંતુ મિલકતને ભારે નુકસાન થવાની ભીતિ છે.
રેવડી બજાર કપડાં, ટેક્સટાઈલ અને અન્ય વેપાર માટે પ્રખ્યાત છે, અહીં માલ-સામાનનો ભારે જથ્થો હોય છે. આ જથ્થાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ રહી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કર અને ચીફ ફાયર ઓફિસર પણ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
આગનું કારણ અને તપાસ
આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટ, ગેસ લીક કે અન્ય કોઈ કારણ હોવાની શંકા છે. ફાયર વિભાગ અને પોલીસની ટીમો દ્વારા વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે. આગની તીવ્રતા જોતાં નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. દુકાનદારો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા છે.
જણાવી દઈએ કે, આજે દેશમાં ત્રીજી આગની ઘટના બની છે. આ પહેલા ઈન્દોર અને દિલ્હીમાં આગ લાગવાની ઘટનાઓ બની છે. આ બંને ઘટનાઓમાં કુલ 13 લોકોના મોત થયાની પુષ્ટી થઈ છે. તો અમદાવાદમાં સદ્દનશીબે કોઈ વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા નથી.
