ગાંધીનગર : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને અમલમાં લાવવા તરફ મોટું પગલું ભરાયું છે. રાજ્યના મંત્રીમંડળે આ બિલને મંજૂરી આપી દીધી છે, જેમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને એકસમાન બનાવવા માટે મહત્વની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. આ બિલ ઉત્તરાખંડના મોડલને અનુસરીને તૈયાર કરાયું છે અને તેમાં કુલ 2 ભાગ અને 7 અધ્યાય છે.
લગ્ન અને છૂટાછેડા માટે નવા નિયમો
બિલ અમલમાં આવ્યા પછી રાજ્યમાં તમામ લગ્નની નોંધણી ફરજિયાત બનશે. જો કે, નોંધણી ન કરાવવાથી લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ તેમ કરનારને દંડ થઈ શકે છે. અમલ પહેલાં થયેલા લગ્ન માટે પણ નોંધણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. છૂટાછેડા માટે પરસ્પર સંમતિ પર આધારિત પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, પરંતુ લગ્નના એક વર્ષની અંદર તે માટે અરજી કરી શકાશે નહીં. બાળકોની કસ્ટડી અને ભરણપોષણ અંગે માનવીય અને સંતુલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેથી પરિવારોને ન્યાય મળે.
લિવ-ઇન રિલેશનશિપ અને વારસાઈના નિયમો
લિવ-ઇન રિલેશનશિપને કાનૂની માન્યતા આપવા માટે મહત્વના પગલાં ભરાયા છે. આવા સંબંધમાં રહેતા કપલ્સે રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી પડશે. આ સંબંધમાંથી જન્મેલા બાળકોને સંપૂર્ણ કાનૂની માન્યતા અને અધિકારો મળશે. જો કોઈ ખોટી માહિતી આપે કે નોંધણી ટાળે તો તેને જેલ અને દંડની સજા થઈ શકે છે.
મિલકત અને વારસાઈ અંગે સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ધર્મ કે જાતિના આધારે કોઈ ભેદભાવ રહેશે નહીં. તમામ માટે એક જ નિયમ લાગુ પડશે. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ અને ન્યાયી બનાવવામાં આવી છે, જેથી વારસદારો વચ્ચેના વિવાદો ઘટે.
અપવાદ અને અમલીકરણ
જો કે, આ સંહિતા અનુસૂચિત જનજાતિઓ અને કેટલાક વિશેષ સમુદાયો પર લાગુ પડશે નહીં, જેથી તેમની પરંપરાઓ અને રિવાજો જળવાઈ રહે. સરકારનું કહેવું છે કે આ પગલું રાજ્યમાં કાનૂની એકરૂપતા અને સામાજિક સમાનતા તરફનું મોટું પગલું છે, જે વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક બનાવશે.
આ બિલના નીતિ-નિયમોને લઈને વિસ્તારપૂર્વકનો રિપોર્ટ આગામી દિવસોમાં પ્રકાશિત કરવામાં આવશે. તે માટે સતત વાંચતા રહો ગુજરાત એક્સક્લૂઝિવ
આ પણ વાંચો – અમદાવાદના હૃદયમાં ભયાનક આગની લપેટમાં: પાંચકુવા રેવડી બજારમાં 30થી વધુ દુકાનો સળગીને ખાક
