- નીતિ આયોગના રિપોર્ટમાં ખુલાસો: કરોડોના બજેટ છતાં ગુજરાતના શિક્ષણ માળખા સામે ગંભીર સવાલો, ચોંકાવનારા આંકડા
ગાંધીનગર: કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો પાયો તેના શિક્ષણ પર ટકેલો હોય છે. ગુજરાત સરકાર દર વર્ષે શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના બજેટની જોગવાઈ કરે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે. નીતિ આયોગના તાજેતરના અહેવાલ ‘સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા’ (School Education System in India) માં ગુજરાતના સરકારી શિક્ષણ માળખાને લઈને કેટલાક એવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જે પ્રશાસન અને શિક્ષણવિદો માટે ચિંતાનો વિષય બન્યા છે.
એક જ શિક્ષકના ભરોસે હજારો શાળાઓ: નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, રાજ્યની વ્યવસ્થામાં એક વિચિત્ર અસંતુલન જોવા મળ્યું છે. ગુજરાતની ૨,૯૩૬ શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે. આ એક જ શિક્ષક ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને અને તમામ વિષયો ભણાવવા માટે મજબૂર છે. આનાથી વિપરીત સ્થિતિ એવી છે કે, રાજ્યની ૬૩ શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નોંધાયેલો નથી, છતાં ત્યાં ૭૮ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. વહીવટીતંત્રનું આ અસંતુલન દર્શાવે છે કે શિક્ષકોની બદલી અને સરકારી શાળાઓના સંચાલનની નીતિમાં મોટા સુધારાની જરૂર છે.
માળખાકીય સુવિધાઓની અછત અને ડ્રોપઆઉટ રેશિયો
સરકારી આંકડાઓ પ્રમાણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં સરેરાશ ૨૪ થી ૨૭ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવાનો દાવો કરવામાં આવે છે, જે નિયમ મુજબ યોગ્ય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે શાળાઓમાં પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી.
વર્ગખંડોની ભારે અછત: રાજ્યની સરકારી શાળાઓમાં અત્યારે આશરે ૪૨,૦૦૦ વર્ગખંડોની (Classrooms) અછત વર્તાઈ રહી છે.
વધતો ડ્રોપઆઉટ રેટ: સુવિધાઓના અભાવે ધોરણ ૧૦ સુધી પહોંચતા-પહોંચતા ૨૭.૬ ટકા (આશરે ૨.૩ લાખ) વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે. આ વર્ષે અંદાજે ૬.૪ લાખ બાળકો ‘અનટ્રેક્ડ’ (શિક્ષણની મુખ્ય ધારાથી બહાર) હોવાનું સામે આવ્યું છે. ઘણા ગ્રામીણ વિસ્તારોમાં કન્યાઓ માટે શૌચાલયની યોગ્ય સુવિધા ન હોવાને કારણે પણ ધોરણ ૬ કે ૭ પછી ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે.
બજેટ મોટું, પણ પરિણામ ક્યાં?
ગુજરાતમાં શિક્ષણ વિભાગ માટે આશરે ₹૬૩,૧૩૪ કરોડ જેવી માતબર રકમની જોગવાઈ બજેટમાં કરવામાં આવે છે. આટલું મોટું ભંડોળ હોવા છતાં, છેલ્લા કેટલાક સમયમાં રાજ્યની અંદાજે ૫,૬૧૨ શાળાઓને મર્જ અથવા બંધ કરવાની નોબત આવી છે, જેના કારણે અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારોના બાળકો માટે શિક્ષણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે.
પરિણામે, સામાન્ય નાગરિકોને મજબૂર થઈને મોંઘી ખાનગી શાળાઓ તરફ વળવું પડે છે, જેનાથી શિક્ષણનું વ્યાપારીકરણ વધી રહ્યું છે. સરકારી શાળાઓને માત્ર કાગળ પર આધુનિક બનાવવાના બદલે સ્માર્ટ ક્લાસરૂમ, લેબોરેટરી અને સ્વચ્છતા જેવી પાયાની જરૂરિયાતો ગ્રાઉન્ડ લેવલ પર પુરી પાડવી એ સમયની માંગ છે. નીતિ આયોગનો આ અહેવાલ ગુજરાત સરકાર માટે વહીવટી સુધારા કરવાનો એક સ્પષ્ટ સંકેત છે.
આ પણ વાંચો – PM મોદીની UAE યાત્રા : તેલ-ગેસના ભંડારથી લઈને ₹૪૧,૫૦૦ કરોડના તોતિંગ રોકાણ અને સંરક્ષણ સુધીના ઐતિહાસિક કરારો
