અમદાવાદ: શહેરમાં સગીર વયની બાળકીઓના અપહરણ જેવા ગંભીર ગુનાઓને ડામવા અને ગુનેગારોને ઝડપી પાડવા માટે અમદાવાદ શહેર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-૨), નાયબ પોલીસ કમિશનર (ઝોન-૪) તેમજ મદદનીશ પોલીસ કમિશનર (‘જી’ ડિવિઝન) દ્વારા સગીરાઓના અપહરણના કેસોમાં તાત્કાલિક શોધખોળ કરવા આપેલા કડક આદેશોને પગલે નરોડા પોલીસે એક પ્રશંસનીય સફળતા મેળવી છે. નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયેલી બે સગીર કિશોરીઓને પોલીસે ગણતરીના દિવસોમાં જ સુરક્ષિત રીતે શોધી કાઢીને તેમના વાલીવારસને પરત સોંપી દીધી છે.
સમગ્ર ઘટના અને પોલીસ એક્શન પ્લાન
નરોડા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૧૩૭ (૨) મુજબ કાર્યવાહી કરતાં, બે સગીર વયની કિશોરીઓનું તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ થયું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં, નરોડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સી.વી. નાયક તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) વી.આર. ચૌધરીની રાહબરી હેઠળ અલગ-અલગ પોલીસ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ હ્યુમન સોર્સ (માનવ સંસાધન) અને ટેકનિકલ સોર્સ (મોબાઈલ લોકેશન અને સર્વેલન્સ) ની મદદથી સતત તપાસ અને સઘન શોધખોળ હાથ ધરી હતી.
ગાંધીધામ અને ફાગવેલથી સગીરાઓ મુક્ત, આરોપીઓ ઝબ્બે
તપાસ દરમિયાન મળેલા ચોક્કસ ટેકનિકલ લોકેશન અને બાતમીદારોના આધારે નરોડા પોલીસે અલગ-અલગ રાજ્યો અને જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. જેમાં:
૧. પ્રથમ ટીમ દ્વારા સતત પીછો કરીને એક સગીર વયની બાળકીને ગાંધીધામ (કચ્છ) ખાતેથી સુરક્ષિત રીતે મુક્ત કરાવી લેવામાં આવી હતી અને તેની સાથેના એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
૨. જ્યારે બીજી ટીમ દ્વારા તપાસના છેડા દબાવતા, અન્ય બીજી સગીર વયની કિશોરીને ફાગવેલ (ખેડા) ખાતેથી હેમખેમ શોધી કાઢવામાં આવી હતી અને ત્યાંથી પણ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે બંને કિશોરીઓની તબીબી તપાસ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને સુરક્ષિત રીતે તેમના વાલીવારસને સુપ્રત કરી દીધી છે, જેથી પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
પકડાયેલા આરોપીઓની વિગત
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા નીચે મુજબના બે યુવકોની ધરપકડ કરીને કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરી છે
ઉમંગભાઇ અશ્વીનભાઇ વાલા (ઉં.વ. ૨૧): (ધંધો: વેપાર, રહેવાસી: મ.નં. એક્સ/૩૦૩, મધુવન ગ્લોરી ફ્લેટ, યોગા સર્કલ પાસે, નવા નરોડા, અમદાવાદ. મૂળ વતન: માળીયા હાટીના, તાલુકો: કેસોદ, જિલ્લો: જુનાગઢ).
આકાશકુમાર અજીતભાઇ તીતાભાઇ સોઢા પરમાર (ઉં.વ. ૧૯): (ધંધો: છૂટક મજૂરી, રહેવાસી: ભટેરા ગામ, વચલું ફળિયું, હસમુખભાઈ સરપંચના મકાનની બાજુમાં, તાલુકો: કઠલાલ, જિલ્લો: ખેડા).
કામગીરી કરનાર સરાહનીય પોલીસ ટીમ
ગણતરીના દિવસોમાં જ આ ગંભીર ગુનાનો પર્દાફાશ કરી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ટીમમાં પીએસઆઈ વી.આર. ચૌધરી, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ રતનસિંહ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પ્રવિણસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગણપતસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ચરણસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકકુમાર બનેસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઇ જેરૂપભાઇ, વુમન પોલીસ કોન્સ્ટેબલ વીણાબેન ડાહ્યાભાઇ તેમજ આસિસ્ટન્ટ લોકરક્ષક મનિષકુમાર ગણેશભાઇ અને અન્ય સ્ટાફના જવાનો સામેલ હતા.
આ પણ વાંચો – વહીવટની ‘વાપસી’: દારૂ-જુગાર રોકવાના મોરચે જૂના ખેલાડીઓની સ્ક્વોડમાં નવી ઇનિંગ! મેદાનના ખેલાડીઓ હવે મેચના ‘રેફરી’
