નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પહેલી વખત પોતાની જ પાર્ટી વિરુદ્ધ જાહેરમાં અવાજ ઉઠાવ્યો છે. તેમણે એક ભાવુક વીડિયો જારી કરીને પૂછ્યું છે કે તેમને રાજ્યસભાના ડેપ્યુટી લીડરના પદેથી કેમ હટાવવામાં આવ્યા છે અને કહ્યું છે કે સંસદમાં “સામાન્ય માણસ”ના મુદ્દાઓ ઉઠાવવાની સજા તેમને આપવામાં આવી છે.
‘ખામોશ કરવામાં આવ્યો છું, હાર્યો નથી’ શીર્ષકવાળા વીડિયોમાં રાઘવ ચડ્ઢા સંસદની બહાર ઊભા રહીને સમર્થકોને સીધા સંબોધન કરતા જોવા મળે છે. તેમણે પૂછ્યું છે કે તેમણે એવું શું કર્યું કે તેમની સામે આવી કાર્યવાહી કરવામાં આવી.
એક સમયે અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવતા ચઢ્ઢાએ કહ્યું, “હું એવા મુદ્દાઓ ઉઠાવું છું જેની સંસદમાં સામાન્ય રીતે ચર્ચા થતી નથી. હું લોકોની સમસ્યાઓ અને ચિંતાઓની વાત કરું છું. પરંતુ શું લોકો માટે બોલવું એ અપરાધ છે? શું મેં કંઈ ખોટું કર્યું છે?”
ગુરુવારે આપે રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને પંજાબના સાંસદ અશોક મિત્તલને રાઘવ ચડ્ઢાની જગ્યાએ નવા ડેપ્યુટી લીડર તરીકે નિયુક્ત કર્યા હતા.
રાઘવ ચડ્ઢાએ કહ્યું કે તેઓ સમજી શકતા નથી કે જે મુદ્દાઓને ઉઠાવવા માટે આમ આદમી પાર્ટીની સ્થાપના થઈ હતી, તે જ મુદ્દાઓ ઉઠાવવા બદલ તેમને કેમ ચૂપ કરાવવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું, “પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને કહ્યું છે કે મને સંસદમાં બોલવાની પરવાનગી ન આપવામાં આવે. પરંતુ કોણ મને ચૂપ કરાવવા માંગે છે? હું ‘આમ આદમી’ માટે બોલું છું. મેં ડિલિવરી વર્કર્સ, એરપોર્ટ પર મોંઘા ખોરાક અને ટોલ પ્લાઝા પરની ‘લૂંટ’ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જ્યારે મેં આ મુદ્દાઓ ઉઠાવ્યા ત્યારે સામાન્ય માણસને ફાયદો થયો, તો પાર્ટીને શું નુકસાન થઈ રહ્યું હતું?”
સમર્થકોને અપીલ કરતાં તેમણે કહ્યું, “હું તમારો છું અને તમારા માટે છું, મારો હાથ અને સાથ ન છોડતા.”
તેમણે રાજકીય પુનરાગમનનો સંકેત પણ આપ્યો અને પાર્ટીને ચેતવણી આપી કે તેમના મૌનને કમજોરી ન સમજવામાં આવે. તેમણે કહ્યું, “મારી ચૂપ્પીને હાર ન સમજશો. હું એવી નદી જેવો છું જે સમય આવે ત્યારે પૂર બની જાય છે.”
તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર સંસદમાં આપેલા પોતાના ભાષણોનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેની સાથે માત્ર એક આંખનો ઈમોજી જ લખ્યો છે.
રાઘવ ચઢ્ઢાને પદેથી હટાવવાની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે તેમના અને અરવિંદ કેજરીવાલ વચ્ચે મતભેદની ચર્ચાઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચડ્ઢા પાર્ટીના અનેક મહત્ત્વના કાર્યક્રમોમાં દેખાતા નથી. કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેવા વરિષ્ઠ નેતાઓ જેલમાં હતા ત્યારે પણ તેઓ સડક પરના વિરોધ પ્રદર્શનોમાં જોવા મળ્યા ન હતા.
રાઘવ ચઢ્ઢા પાર્ટીની શરૂઆતથી જ આપ સાથે જોડાયેલા છે. 26 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા, 2020માં દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતી અને પછી રાજ્યસભામાં પહોંચ્યા. તેઓ પાર્ટીના સૌથી યુવા અને અગ્રણી પ્રવક્તાઓમાંના એક ગણાતા હતા. નવા ડેપ્યુટી લીડર અશોક મિત્તલે આ ફેરફારને સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયા ગણાવ્યો છે અને કહ્યું છે કે પાર્ટીમાં બધું સારું છે.
આ પણ વાંચો – 6 લાખ બેરલ ઈરાની ક્રૂડ ઓઈલ લઈને ગુજરાત આવતું જહાજ અચાનક ચીન તરફ વળી ગયું
