- આ ‘હેર કટ’ નહીં, બેંકોનું ‘મુંડન’ છે: સુભાષ ચંદ્રાના કેસમાં ૯૯.૯૭% લેણાં ડૂબ્યા, નાદાર સિસ્ટમની વિજય માલ્યાએ પણ ઉડાવી મજાક
નવી દિલ્હી: સામાન્ય માણસ જો હોમ લોન કે કાર લોનનો એક હપ્તો ચૂકી જાય, તો બેંકના રિકવરી એજન્ટો તેને પરેશાન કરી મૂકે છે અને મિલકત જપ્ત કરવા દોડી આવે છે. પરંતુ, જ્યારે કોઈ અબજોપતિ ઉદ્યોગપતિ દેશની બેંકોના હજારો કરોડ રૂપિયા ડુબાડી દે, ત્યારે આપણો કાયદો તેને કેવી રીતે બચાવી લે છે તેનો એક જીવતો જાગતો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા દેશના જાણીતા મીડિયા મોગલ અને એસલ ગ્રૂપના વડા સુભાષ ચંદ્રાના કેસમાં એવો રિઝોલ્યુશન પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે, જેણે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે.
૨૨,૦૦૦ કરોડનું દેવું અને ચૂકવણી માત્ર ૬.૫ કરોડની!
એસલ ગ્રૂપની વિવિધ કંપનીઓએ લીધેલી લોન માટે સુભાષ ચંદ્રાએ આપેલી પર્સનલ ગેરંટી (Personal Guarantee) ડિફોલ્ટ થતાં આખો મામલો NCLT માં પહોંચ્યો હતો. સત્તાવાર આંકડાઓ મુજબ, સુભાષ ચંદ્રા પર બેંકો અને લેણદારોનું કુલ દેવું અધધ… રૂ. ૨૨,૦૦૬.૫૭ કરોડ રૂપિયા હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આટલા તોતિંગ દેવા સામે NCLT દ્વારા માત્ર રૂ. ૬.૫ કરોડ ચૂકવવાનો રિઝોલ્યુશન પ્લાન મંજૂર કરી દેવામાં આવ્યો છે!
આનો સીધો અર્થ એ થયો કે, દેશની બેંકો અને નાણાકીય સંસ્થાઓને પોતાના પૈસા પર પૂરેપૂરો ૯૯.૯૭% નો મસમોટો ‘હેર કટ’ (નુકસાન) સહન કરવાનો વારો આવ્યો છે.
LICHFL નો વિરોધ અને લાચારી
આ રિઝોલ્યુશન પ્લાનમાં સૌથી કફોડી હાલત LIC હાઉસિંગ ફાઇનાન્સ (LICHFL) જેવા લેણદારોની થઈ છે. LICHFL ના સુભાષ ચંદ્રા પાસે રૂ. ૧,૩૨૨.૩૯ કરોડ બાકી નીકળતા હતા, જેની સામે તેમને માત્ર રૂ. ૩૮.૦૯ લાખ જેવી નજીવી અને હાસ્યાસ્પદ રકમ જ ઓફર કરવામાં આવી છે. LICHFL એ આ પ્લાનનો સખત વિરોધ કર્યો હતો, છતાં કોઈ પરિણામ આવ્યું નથી.
રાજકીય વિવાદ અને વિજય માલ્યાનો કટાક્ષ
આ ચુકાદા બાદ દેશભરમાં રાજકીય અને સામાજિક રોષ ભભૂકી ઉઠ્યો છે:
કોંગ્રેસનો પ્રહાર: કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા ‘X’ પર કટાક્ષ કરતાં લખ્યું કે, “આ કોઈ હેર કટ નથી, પરંતુ લેણદારોનું પૂરેપૂરું ‘મુંડન’ કરી નાખવા સમાન છે. આ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ (IBC) ના કાયદાની સીધી મજાક ઉડાવે છે.”
વિજય માલ્યાની ફિરકી: બેંકોના કરોડો રૂપિયા ડુબાડીને લંડન ભાગી ગયેલા વિજય માલ્યાએ પણ આ તકનો લાભ લઈને સિસ્ટમની ફિરકી લીધી છે. માલ્યાએ કટાક્ષ સાથે સુભાષ ચંદ્રાને અભિનંદન પાઠવ્યા અને દાવો કર્યો કે, “મારી પાસે રૂ. ૬,૨૦૩ કરોડનું દેવું હતું, જેની સામે સરકારે મારી મિલકતો જપ્ત કરીને રૂ. ૧૪,૧૦૦ કરોડ વસૂલ કર્યા છે. જ્યારે ભારતમાં અન્ય અબજોપતિઓ નજીવી રકમ આપીને આસાનીથી છૂટી જાય છે.”
NCLT એ ક્યા તર્ક પર આ પ્લાન મંજૂર કર્યો?
સામાન્ય માણસને સવાલ થાય કે આટલું મોટું નુકસાન બેંકોએ કેમ સ્વીકાર્યું? NCLT ના જજ નિલેશ શર્માએ પોતાના ચુકાદામાં જે તર્ક રજૂ કર્યો છે, તે આ મુજબ છે.
૧. બહુમતીનો નિર્ણય: ૮૦.૮૧% વૉટિંગ શેર ધરાવતા લેણદારો (બેંકો) એ સામે ચાલીને આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો, તેથી કાયદાકીય રીતે કોર્ટ તેને નામંજૂર કરી શકે નહીં.
૨. મિલકતો જ નથી! કોર્ટના જણાવ્યા મુજબ, સુભાષ ચંદ્રાની હાલની અંગત સંપત્તિ પ્રસ્તાવિત રકમ (૬.૫ કરોડ) કરતાં પણ ઓછી છે.
૩. કાંઈ ન મળવા કરતાં જે મળે તે: જો કોર્ટે આ પ્રસ્તાવ ફગાવી દીધો હોત, તો સુભાષ ચંદ્રા સંપૂર્ણ નાદાર જાહેર થાત, અને બેંકોને આ ૬.૫ કરોડ પણ ન મળત.
સળગતા સવાલો
આખો મામલો દર્શાવે છે કે જ્યારે અબજોપતિઓના ખેલ ચાલે છે, ત્યારે બેંકો કઈ રીતે ઘૂંટણિયે પડી જાય છે. જો કોઈ ઉદ્યોગપતિ પાસે ખરેખર મિલકત ન બચી હોય, તો હજારો કરોડ રૂપિયાની લોન કઈ રીતે પાસ થઈ હતી? અને જો લોન પાસ થઈ હતી, તો એ પૈસા ક્યાં ગયા? આ સવાલોના જવાબ ભલે ફાઇલોમાં દટાઈ જાય, પરંતુ સામાન્ય માણસ માટે આ ચુકાદો સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠાવી લેવા માટે પૂરતો છે.
