સુરેન્દ્રનગર જિલ્લાની 1355 આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત અંદાજે 2710 કર્મચારીઓએ ઓનલાઇન કામગીરી અને અન્ય પડતર મુદ્દાઓને લઈને સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. વઢવાણ સહિત વિવિધ તાલુકાઓની આંગણવાડી વર્કર બહેનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે એકઠી થઈને પ્રોજેક્ટ ઓફિસરને આવેદનપત્ર સોંપ્યું હતું. કર્મચારીઓએ ચીમકી આપી છે કે જો 16 માર્ચ સુધીમાં ઓનલાઇન કામગીરી બંધ કરવાનો નિર્ણય નહીં લેવાય તો સમગ્ર જિલ્લામાં આંગણવાડી કાર્યને ઠપ્પ કરીને હડતાળ પર ઉતરી જશે.
ખોડું આંગણવાડી કેન્દ્રની કર્મચારી હંસાબેન ટાંકે તેમનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ‘સરકાર તરફથી નવા મોબાઇલ આપવામાં આવ્યા નથી, તેમ છતાં વ્યક્તિગત મોબાઇલ પર ઓનલાઇન કામનું દબાણ કરાય છે. એપ્લિકેશન્સ વારંવાર અપડેટ થાય છે, પરંતુ 2022થી અમારા પગારમાં કોઈ વધારો કરાયો નથી. વધુમાં, બાળકોના વજન માપણી, FRS અને MMY વિતરણની ઓનલાઇન એન્ટ્રી તેમજ ફોટા અપલોડ કરવાની પ્રક્રિયા કારણે બાળકોના શિક્ષણ અને પોષણ પર નકારાત્મક અસર પડી રહી છે.’
રજૂઆત દરમિયાન કર્મચારીઓએ ગંભીર આરોપ લગાવ્યા કે આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા ચણા સડેલા અને નીચી ગુણવત્તાના હોય છે. આ કારણે અવારનવાર વિવાદ થાય છે, તેથી પોષણક્ષમ અને ઉચ્ચ ગુણવત્તાની વસ્તુઓ પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે.
બહેનોની રજૂઆત મંત્રાલય સુધી પહોંચાડવામાં આવશે : ICDS ઓફિસર
આ અંગે ICDS વિભાગના પ્રોજેક્ટ ઓફિસર ભાવનાબેન ઝીડિયાએ જણાવ્યું કે, ‘બહેનોની તમામ રજૂઆતોને મહિલા અને બાળ વિકાસ વિભાગ સુધી પહોંચાડવામાં આવશે. તેમને નવા મોબાઇલ મળે અને કામમાં સરળતા મળે તે માટે વિભાગ તરફથી ભલામણ કરાશે.’ હવે જોવાનું રહેશે કે 16 માર્ચ પહેલા સરકાર આ મુદ્દાઓનો ઉકેલ લાવે છે કે પછી આંગણવાડીઓમાં તાળાબંધીની સ્થિતિ સર્જાય છે.
આ પણ વાંચો- ભારત પાસે ક્રૂડ ઓઈલનો 25 દિવસનો તો પેટ્રોલ-ડીઝલનો 25 દિવસનો સ્ટોક : સરકારી સૂત્રોનું આશ્વાસન
