અમદાવાદ : તાજેતરમાં જી. એસ. મલિકની રાજ્યના પોલીસ વડા (DGP) તરીકે નિમણૂક થતાં અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા ખાલી પડી હતી. ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના મોટા બંદોબસ્ત પહેલા જ રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લેતા સુરતના વર્તમાન પોલીસ કમિશનર અને 1997ની બેચના સિનિયર IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરી છે. ગેહલોતની બદલીને કારણે હવે સુરત પોલીસ કમિશનરની ખુરશી ખાલી પડી છે, જેના પર સરકાર દ્વારા હજુ સુધી કોઈ નવા અધિકારીના નામની સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
કયા નામો ચાલી રહ્યા હતા ચર્ચામાં?
ગત 6 જૂન, 2026ના રોજ તત્કાલીન અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકને રાજ્યના નવા DGP બનાવવામાં આવ્યા હતા. અગાઉ 1 જાન્યુઆરીથી કે.એલ.એન. રાવ ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત હતા. મલિકની DGP તરીકે નિમણૂક થયા બાદ અમદાવાદ કમિશનરની પોસ્ટ માટે ત્રણ સિનિયર નામોની રેસ ચાલી રહી હતી. જેમાં અનુપમસિંહ ગેહલોત (સુરત CP), મનોજ શશીધરન (CBI) અને પિયુષ પટેલ (ACB ડાયરેક્ટર) ના નામ મોખરે હતા. જોકે, ગેહલોતના કાયદો અને વ્યવસ્થા જાળવવાના અનુભવને જોતાં અંતે તેમના નામ પર મહોર મારવામાં આવી છે.

કોણ છે અનુપમસિંહ ગેહલોત?
અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક પામેલા અનુપમસિંહ ગેહલોત વર્ષ 1997ની બેચના IPS અધિકારી છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા ગેહલોતે B.E અને M.TECH સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેમની પાસે ગુજરાતના અલગ-અલગ શહેરો અને વિભાગોમાં કામ કરવાનો બહોળો અનુભવ છે.
કારકિર્દી પર નજર કરીએ તો, તેઓ ભાવનગર અને પાટણમાં પોલીસ અધિક્ષક (SP) તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ વડોદરા રેન્જ આઈજી (IG) બન્યા હતા. ગુજરાતના ચાર મોટા શહેરો પૈકી તેઓ રાજકોટ, વડોદરા (બે વખત) અને સુરતના પોલીસ કમિશનર તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત રાજ્યના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં પણ તેમણે મહત્વની જવાબદારી નિભાવી છે.
નવા કમિશનર સામે કયા છે મુખ્ય પડકારો?
રાજ્યના સૌથી મોટા મેગાસિટી અમદાવાદની કમાન સંભાળ્યા બાદ તેમની સામે કેટલાક મુખ્ય પડકારો ઊભા છે, જેનો તેમણે સામનો કરવાનો રહેશે:
દારૂ અને ડ્રગ્સનું નેટવર્ક: ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં, શહેરમાં છૂપાઈને ચાલતા ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવું અને બુટલેગરો પર કડક કાર્યવાહી કરવી તે સૌથી મોટો પડકાર છે.
સાયબર ક્રાઇમ: ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે સાયબર ફ્રોડ, ઓનલાઇન જોબ સ્કેમ અને ડેટા ચોરી જેવા ગુનાઓમાં ભારે ઉછાળો આવ્યો છે. નાગરિકોની પરસેવાની કમાણીને ઓનલાઈન ગઠિયાઓથી બચાવવી એ તેમની મોટી પ્રાથમિકતા રહેશે.
ટ્રાફિક અને માર્ગ સલામતી: શહેરમાં સતત વધતા વાહનોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાય છે. ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવું અને અકસ્માતો અટકાવવા જરૂરી છે.
તહેવારો અને સંવેદનશીલ વિસ્તારો: આગામી સમયમાં જ ભગવાન જગન્નાથજીની વિશાળ રથયાત્રા યોજાવા જઈ રહી છે. શહેરના અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવીને આવા મોટા ધાર્મિક તહેવારોને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવા તેમની તાત્કાલિક અને મોટી જવાબદારી બની રહેશે.
આ પણ વાંચો – ગુજરાત પોલીસનો સપાટો: ૫ વર્ષમાં ૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત, ૫ હજારથી વધુ ડ્રગ માફિયાઓ જેલહવાલે
