વડોદરા : પાદરા પોલીસ સ્ટેશનમાં પતિ-પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડાને ‘લવ જેહાદ’ના નામે ફુલાવીને ₹2 લાખની લાંચ માંગવાનો ગંભીર કાંડ સામે આવ્યો છે. લાંચ વિરોધી બ્યુરો (એસીબી)ની ટીમે પાદરાના પીઆઈ વી.એ. ચારણ વતી લાંચ લેવા આવેલા સાજીદઅલી ગુલામરસુલ સૈયદને રૂપિયા 2 લાખની લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
9 એપ્રિલના રોજ હિન્દુ પત્ની અને મુસ્લિમ પતિ વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલો પાદરા પોલીસ સ્ટેશન સુધી પહોંચતાં બંનેને અટકાયતમાં લીધા હતા. ત્યારે પાદરાના પીઆઈ વી.એ. ચારણે પતિ-પત્નીને કહ્યું કે આ કેસ ‘લવ જેહાદ’નો છે. જો આગળની કાર્યવાહી ન કરવી હોય તો ચાણસદમાં રહેતા સાજીદઅલી ગુલામરસુલ સૈયદને મળી લેવા સૂચન કર્યું.
પીઆઈની સલાહ મુજબ પતિએ સાજીદઅલીને મળ્યો. ત્યાં લવ જેહાદનો કેસ ન નોંધવા માટે પહેલા ₹6 લાખની માંગણી કરવામાં આવી. છેવટે રકમ ₹2 લાખમાં નક્કી થઈ. સાજીદઅલી વારંવાર પૈસાની ઉઘરાણી કરતો હતો. છેવટે પતિએ એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાવી.
એસીબીના નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક બી.એસ. પટેલ અને પીઆઈ એ.એન. પ્રજાપતિએ લાંચનું છટકું ગોઠવ્યું. અક્ષરચોક પાસે રજવાડી ટી-સ્ટોલની સામે સાજીદઅલી પૈસા લેવા આવ્યો. વાતચીત બાદ જ્યારે તેણે લાંચની રકમ લીધી, ત્યારે એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો.
પકડાયા બાદ સાજીદઅલીએ પીઆઈ વી.એ. ચારણને ફોન કરીને કહ્યું કે “પૈસા આવી ગયા છે”, જેના જવાબમાં પીઆઈએ “ઓકે” કહ્યું હતું.
આ પણ વાંચો – અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર
