અમદાવાદમાં LCB અને સરખેજ પોલીસની સંયુક્ત ટીમે વણઝર ગામ પાસે સાબરમતી નદીના અવાવરું પટમાં થયેલી એક યુવકની ઘાતકી હત્યાનો મામલો માત્ર ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સફળ સંયોજનથી મૃતકની ઓળખ કરી અને હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને શહેર છોડીને ભાગી જાય તે પહેલાં જ ઝડપી પાડ્યા છે.
રાત્રે આશરે 4 વાગ્યે સરખેજ પોલીસની પેટ્રોલિંગ ટીમ વણઝર ગામ પાસે સાબરમતી નદીના પટમાં ફરતી હતી. ત્યારે તેમને નદીના અવાવરું વિસ્તારમાં એક સળગતી લાશ મળી આવી હતી. લાશ પર પેટ્રોલ કે ડીઝલ છાંટીને તેને સળગાવવામાં આવી હતી. પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો.
તપાસના પ્રારંભમાં લાશની ઓળખ કરવી મુશ્કેલ હતી, પરંતુ પોલીસની સઘન તપાસ અને નજીકના પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજના આધારે મૃતકની ઓળખ સરખેજ વિસ્તારના સિપાઈ વાસમાં રહેતા જાવેદ ઉર્ફે મરઘી ઇકબાલભાઈ સિપાઈ તરીકે થઈ.
પોલીસે તરત જ એલ.સી.બી. અને સરખેજ પોલીસની સંયુક્ત ટીમો બનાવીને તપાસ શરૂ કરી. CCTV ફૂટેજમાં એક વ્યક્તિ કેરબામાં ડીઝલ ખરીદતો દેખાતો હતો. આ કડીના આધારે પોલીસે તે વ્યક્તિની ઓળખ કમોડના દિપક ઉર્ફે ભગી પશાભાઈ રાવળ તરીકે કરી.
આરોપીઓ ખૂબ ચાલાક હોવાથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ન હતા. તેથી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ (સોર્સ)નો ઉપયોગ કરીને અન્ય બે આરોપીઓ જીતેન્દ્ર ઉર્ફે જીતુ વિનોદભાઈ ચુનારા અને જગદીશ ઉર્ફે કપિલ ઠાકોરની પણ ઓળખ કરી લીધી.
ત્રણેય આરોપીઓ હત્યામાં વપરાયેલી રિક્ષા સાથે અમદાવાદ છોડીને ભાગવાની તૈયારીમાં હતા. પોલીસે તેમને સરખેજ ઉજાલા બ્રિજ નીચેથી દબોચી લીધા. ઝડપાયેલા આરોપી જીતેન્દ્ર ચુનારા માતર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.
ઝોન-7ના ડીસીપીએ જણાવ્યું કે, પેટ્રોલિંગ દરમિયાન લાશ મળતાં તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી. ડીઝલ ખરીદનારની ઓળખ થતાં જ બાકીના આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સારા સંયોજનથી ઝડપી સફળતા મળી છે.
પોલીસ હાલ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને આ હત્યા પાછળના અન્ય કારણો અને સંભવિત સાગરીતોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો – સમ્રાટ ચૌધરી હશે બિહારના નવા મુખ્યમંત્રી, નીતિશના રાજીનામા પછી ભાજપની જાહેરાત
