ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે વધતા તણાવ અને ખાડી વિસ્તારમાં અસ્થિરતાને કારણે ઇંધણની અછત પડી શકે છે તેવી સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓએ ગુજરાતમાં અફરાતફરી મચાવી દીધી છે. રાંધણ ગેસ (LPG)ની તંગી બાદ હવે પેટ્રોલ અને ડીઝલ પણ નહીં મળે તેવા અંદેશાથી લોકોમાં પેનિક બાયિંગ શરૂ થઈ ગયું છે.
અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની અડધો કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ એટલી વણસી કે અનેક સ્થળોએ બોલાચાલી અને અવ્યવસ્થા રોકવા પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે. ગઈકાલે (23 માર્ચ) બપોરથી અફવા ફેલાતા મોડી રાત સુધી પંપો પર ભીડ રહી હતી. આજે (24 માર્ચ) વહેલી સવારથી પણ લોકો વાહનો લઈને પેટ્રોલ ભરાવવા દોડી પડ્યા છે.
અમદાવાદમાં અખબારનગર, પ્રગતિનગર, અંકુર રોડ, ગોટા સહિત અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ અને લાંબી કતારો જોવા મળી છે. અંદાજ મુજબ, સામાન્ય દિવસે 30 લાખ લિટર પેટ્રોલ અને 60 લાખ લિટર ડીઝલના વપરાશ સામે ગઈકાલે બમણો ઉપાડ નોંધાયો છે.
કેટલાક પેટ્રોલપંપ પર વેચાણ ચાલુ છે અને કેટલાક બંધ છે
કેટલાક પેટ્રોલ પંપ પર ભારે લાઈનો
ફોટો 1 :- શાહિબાગ અંડરપાસ પાસે
ફોટો 2 :- નારણપુરા
વીડિયો :- ડ્રાઈવિંગ રોડ#Gujarat #Ahmedabad #PetrolPump pic.twitter.com/0k7mOzbwYr— Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) March 23, 2026
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગના અધિક અગ્ર સચિવ મોના ખંડાર અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)એ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે. તમામ ડિપો અને ટર્મિનલમાં પુરતો જથ્થો છે અને સપ્લાય અવિરત ચાલુ છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે, સંગ્રહખોરી ન કરે અને સામાન્ય રીતે જ પેટ્રોલ ભરાવે.
ડીલર્સ એસોસિએશને પણ કહ્યું છે કે અમદાવાદમાં માત્ર 3-4 પંપો પર અસ્થાયી તકલીફ હતી, જેને અફવાઓએ મોટું સ્વરૂપ આપી દીધું. જો કોઈ ડીલર સ્ટોક હોવા છતાં પંપ બંધ રાખે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો – ખાડીમાં તણાવની અફવાઓથી ગુજરાતમાં પેટ્રોલ પંપો પર ભીડ, છોટા ઉદેપુરમાં યુવકો વચ્ચે મારામારી
