દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં બ્લોક કરવામાં આવેલા એક એક્સ (પૂર્વે ટ્વિટર) અકાઉન્ટને બહાલ કરવાનો આદેશ આપ્યો છે. ‘ડો. નિમો યાદવ’ નામનું આ અકાઉન્ટ ૧૯ માર્ચે કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ભારતમાં બ્લોક કરવામાં આવ્યું હતું.
આ અકાઉન્ટનું સંચાલન કરનાર પ્રતીક શર્માએ આ વિરુદ્ધ યાચિકા દાખલ કરી હતી. સોમવારે, ૬ એપ્રિલે આ યાચિકા પર સુનાવણી કરતાં કોર્ટે આદેશ આપ્યો છે.
પ્રતીક શર્માએ અકાઉન્ટ બ્લોક કરવાની કાર્યવાહીને પડકારી હતી અને સરકાર પાસે બ્લોકિંગ ઓર્ડરની માંગ કરી હતી. ત્યારબાદ સરકારે કોર્ટમાં કહ્યું કે આ અકાઉન્ટ “પ્રધાનમંત્રી સાથે સંબંધિત ખોટી વાતો ફેલાવી રહ્યું હતું” અને “તેમને ખોટી રીતે રજૂ કરી રહ્યું હતું”. બ્લોકિંગ આદેશમાં સરકારે લખ્યું હતું કે વિવાદાસ્પદ પોસ્ટ્સ દ્વારા સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને વડાપ્રધાન મોદીની માનહાનિ કરવામાં આવી હતી.
એડવોકેટ વૃંદા ગ્રોવરે કોર્ટમાં પ્રતીક શર્માનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે સવાલ કર્યો કે અકાઉન્ટને ભારતમાં બ્લોક કરતા પહેલાં તેમના ક્લાયન્ટને બ્લોકિંગ ઓર્ડર કેમ આપવામાં આવ્યો ન હતો. તેમણે આ આદેશને “અવૈધ અને મનમાનીપૂર્વક”નો ગણાવ્યો હતો.
બીજી તરફ સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કહ્યું કે આ અકાઉન્ટમાંથી દેશના વડાપ્રધાન અને વિદેશી સંબંધો અંગે આપત્તિજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
તમામ પક્ષોની સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે એક્સ અકાઉન્ટને ભારતમાં બહાલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે જે પોસ્ટ્સને કેન્દ્ર સરકારે આપત્તિજનક ગણાવી છે, તે અસ્થાયી રૂપે બ્લોક રહેશે.
પ્રતીક શર્માને એક સમીક્ષા સમિતિ સમક્ષ હાજર થવાના નિર્દેશ આપવામાં આવ્યા છે, જેથી બ્લોક કરવામાં આવેલી પોસ્ટ્સ અંગે અંતિમ નિર્ણય લઈ શકાય.
આ પણ વાંચો – ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઈરાની ખુફિયા વિભાગના વડા મજીદ ખાદેમીનું મોત
