ડાયમંડ સિટી સુરતમાં માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વરાછા રોડ પર આવેલી મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડીને ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ આખા રેકેટનો માસ્ટરમાઇન્ડ કોઈ ડોક્ટર નહીં, પરંતુ જેલની હવા ખાઈ આવેલો એક ફાર્માસિસ્ટ છે.
જામીન પર છૂટીને ફરી શરૂ કર્યો મોતનો વેપાર
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ છે. રામગોપાલ અગાઉ વર્ષ 2025માં પણ વરાછાની શિવાય હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા રંગેહાથ ઝડપાયો હતો. જોકે, જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ તેણે સુધરવાને બદલે મમતા હોસ્પિટલના નામે ફરી મોતની હાટડી શરૂ કરી દીધી હતી. તે પોતે માત્ર ફાર્માસિસ્ટ હોવા છતાં ગેરકાયદે રીતે મહિલાઓના ઓપરેશનો કરતો હતો.
આરોગ્ય વિભાગના દરોડા અને અફરાતફરી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે બાતમીના આધારે હોસ્પિટલના પહેલા અને બીજા માળે ઓચિંતી રેડ પાડી હતી. તપાસ દરમિયાન ત્યાં ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવી હતી, જે ગેરકાયદે ગર્ભપાત માટે આવી હતી. દરોડા દરમિયાન થયેલી દોડધામમાં વ્યારાની એક મહિલા ભાગી છૂટી હતી, જ્યારે અન્ય બે મહિલાઓને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
હોસ્પિટલ સીલ, પોલીસ તપાસ તેજ
આરોગ્ય વિભાગે મમતા હોસ્પિટલને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે. વરાછા પોલીસે રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ કડીઓ જોડી રહી છે કે આ રેકેટમાં શહેરના અન્ય કયા મોટા ગજાના ડોક્ટરો કે હોસ્પિટલો સંડોવાયેલી છે.
આ પણ વાંચો – અકસ્માત વળતર પર ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય : મૃત્યુ પછી ભરેલું ITR પણ ગણાશે માન્ય પુરાવો
