ITR અને અકસ્માત વળતર: હાઈકોર્ટે વળતરની રકમમાં કર્યો 6 લાખનો વધારો
અમદાવાદ: મોટર વાહન અકસ્માતના કેસોમાં વળતરની રકમ નક્કી કરવાને લઈને ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય, તો તેના નિધન બાદ તેના વારસદારો દ્વારા ફાઈલ કરવામાં આવેલું ઈન્કમટેક્સ રિટર્ન (ITR) પણ વળતરની ગણતરી માટે કાયદેસરનો પુરાવો ગણાશે. આ ચુકાદાથી અકસ્માતનો ભોગ બનનાર પરિવારોને મોટી રાહત મળશે.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2017માં વસંતકુમાર નામના એક યુવકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવક કરિયાણાનો વ્યવસાય કરતો હતો અને માસિક અંદાજે 30 હજાર રૂપિયાની કમાણી કરતો હતો. મૃતકના પરિવારજનોએ વળતર માટે ક્લેમ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. જોકે, ટ્રિબ્યુનલે એવું કહીને વળતર ઓછું આપ્યું હતું કે મૃત્યુ પછી ફાઈલ કરાયેલા આઈટીઆરને પુરાવા તરીકે ગણી શકાય નહીં. આ આદેશ સામે પરિવારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
હાઈકોર્ટની મહત્વની ટકોર
જસ્ટિસ દ્વારા આ મામલે સુનાવણી કરતા જણાવવામાં આવ્યું કે, મૃત્યુ પછી ફાઈલ કરાયેલું રિટર્ન પણ આવકને પ્રતિબિંબિત કરતો એક વૈધાનિક દસ્તાવેજ છે. ન્યાયિક પ્રક્રિયામાં માત્ર ટેકનિકલ ખામીઓને આધારે સાચા પુરાવાઓને નકારી શકાય નહીં. જો આવું કરવામાં આવે તો ન્યાયના મૂળ હેતુને નુકસાન થાય છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે મૃતકની આવકનું સાચું મૂલ્યાંકન અત્યંત જરૂરી છે, કારણ કે તેના પર આખા આશ્રિત પરિવારનું ભવિષ્ય નિર્ભર હોય છે.
વળતરની રકમમાં વધારો
હાઈકોર્ટે ટ્રિબ્યુનલના નિર્ણયને સુધારીને વળતરની રકમમાં મોટો વધારો કર્યો છે. અગાઉ મંજૂર થયેલા 34.53 લાખ રૂપિયાના વળતરને વધારીને હવે 40,45,940 રૂપિયા કરવાનો હુકમ કર્યો છે. સાથે જ વીમા કંપનીને આદેશ આપ્યો છે કે વધારાની રકમ 6 સપ્તાહમાં વ્યાજ સાથે જમા કરાવવી.
આ પણ વાંચો – બંગાળમાં જનસંઘથી ભાજપ સુધી: શૂન્યથી 200 પાર, રાજકીય ઇતિહાસનો સૌથી મોટો પલટો
