- UPSC બેઠક બાદ અટકળો તેજ, પરંતુ સરકાર હાલ પોલીસ તંત્રમાં મોટા ફેરફારના મૂડમાં નથી; રાજકીય અને વહીવટી સમીકરણો બની રહ્યા છે મુખ્ય પરિબળ
- ગુજરાતના કાયમી પોલીસ વડા કોણ? K.L.N. રાવ અને G.S. મલિકના નામ ચર્ચામાં, પણ અનેક વહીવટી સમીકરણો છે પડકાર
- UPSCની બેઠક બાદ ગુજરાતના નવા DGP ની અટકળો તેજ, જાણો શા માટે સરકાર નિમણૂક કરવામાં નથી કરી રહી ઉતાવળ
અભિષેક પાંડેય અમદાવાદ : ગુજરાતના પૂર્વ પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાય નિવૃત્ત થયા બાદથી રાજ્યના પોલીસ વડાનો વધારાનો હવાલો ડૉ. કે.એલ.એન. રાવ સંભાળી રહ્યા છે. હાલમાં તેઓ CID Crimeના ડિરેક્ટર જનરલ તરીકે કાર્યરત હોવા ઉપરાંત રાજ્યના DGP તેમજ જેલ વિભાગના DGનો વધારાનો ચાર્જ પણ સંભાળી રહ્યા છે. પરિણામે છેલ્લા પાંચ મહિનાથી ગુજરાતનું પોલીસ તંત્ર કાયમી DGP વિના વધારાના ચાર્જની વ્યવસ્થા હેઠળ કાર્યરત છે.
તાજેતરમાં દિલ્હી ખાતે DGPની પસંદગી પ્રક્રિયા સંબંધિત UPSCની બેઠક મળ્યાની માહિતી સામે આવતા રાજ્યમાં નવા પોલીસ વડાની નિમણૂક અંગે ચર્ચાઓ ફરી તેજ બની છે. અગાઉ આ બેઠક બે વખત મુલતવી રહી હતી. બેઠક પૂર્ણ થયા બાદ પોલીસ વિભાગ અને વહીવટી વર્તુળોમાં ગુજરાતને ટૂંક સમયમાં પૂર્ણકાલીન DGP મળશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.
આ ચર્ચાઓને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે 1 જૂનના રોજ 1991 બેચના IPS અધિકારી રાજીવ કૃષ્ણને રાજ્યના પૂર્ણકાલીન DGP તરીકે નિયુક્ત કર્યા. ચાર વર્ષ બાદ ઉત્તર પ્રદેશને કાયમી પોલીસ વડો મળતા ગુજરાતમાં પણ સમાન પ્રકારના નિર્ણય અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
પરંતુ ગુજરાત એક્સક્લૂસિવને મળેલી ઉચ્ચસ્તરીય અને વિશ્વસનીય માહિતી અનુસાર હાલની વાસ્તવિક સ્થિતિ ચર્ચાઓથી ભિન્ન છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર હાલમાં પોલીસ તંત્રમાં કોઈ મોટા ફેરફારના મૂડમાં નથી અને હાલની વ્યવસ્થા ઓછામાં ઓછી દિવાળી સુધી યથાવત્ રાખવામાં આવે તેવી સંભાવના છે. DGPની કાયમી નિમણૂક સહિતના મુદ્દાઓ પર ગંભીર વિચારણા દિવાળી બાદ જ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પૂર્ણકાલીન DGPની નિમણૂક સામે અનેક વહીવટી પ્રશ્નો
પોલીસ વિભાગ અને રાજ્યની રાજકીય-વહીવટી વ્યવસ્થાને નજીકથી સમજતા જાણકારોનું માનવું છે કે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ મળ્યા વિના પૂર્ણકાલીન DGPની નિમણૂક થવી મુશ્કેલ છે.
તેમના જણાવ્યા મુજબ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પરિબળ રાજ્યની વર્તમાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ છે. રાજ્યમાં વિવિધ રાજકીય અને સામાજિક મુદ્દાઓને કારણે સતત સતર્કતા જાળવવાની જરૂરિયાત ઉભી થઈ છે. આવી સ્થિતિમાં સરકાર લાંબા ગાળાની નિમણૂક અંગે ઉતાવળ કરવા ઇચ્છતી નથી.
સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ DGPને સામાન્ય રીતે ઓછામાં ઓછી બે વર્ષની સુરક્ષિત મુદત આપવામાં આવે છે અથવા નિવૃત્તિ સુધીનો કાર્યકાળ રહે છે. સાથે જ અધિકારીની નિવૃત્તિમાં પૂરતો સમય બાકી હોવો જરૂરી ગણાય છે.
આ સંદર્ભમાં જો હાલના કાર્યકારી DGP ડૉ. કે.એલ.એન. રાવને પૂર્ણકાલીન DGP તરીકે નિયુક્ત કરવામાં આવે તો તેઓ ઓક્ટોબર-2027 સુધી પદ પર રહી શકે છે. એટલે કે તેમની પાસે અંદાજે દોઢ વર્ષનો કાર્યકાળ ઉપલબ્ધ છે. જોકે 2027ની વિધાનસભા ચૂંટણી તેમના કાર્યકાળના અંતિમ તબક્કા સાથે જોડાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં ચૂંટણી પૂર્વે ફરી નેતૃત્વ પરિવર્તન ટાળવા માટે સરકારને કાર્યકાળ વધારવા સંબંધિત નિર્ણયો લેવા પડી શકે છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિકના નામની ચર્ચા પણ સરળ નથી
DGP પદ માટે બીજા સૌથી વરિષ્ઠ અધિકારી તરીકે અમદાવાદ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકનું નામ પણ ચર્ચામાં રહે છે. જોકે જાણકારોના મતે તેમની નિમણૂક પણ અનેક વહીવટી સમીકરણો સાથે જોડાયેલી છે.
મલિકની નિવૃત્તિ નવેમ્બર-2028માં નિર્ધારિત છે, જેના કારણે તેમની પાસે આશરે અઢી વર્ષનો કાર્યકાળ ઉપલબ્ધ છે. જો તેમને DGP તરીકે નિયુક્ત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે કોને જવાબદારી સોંપવી તે પ્રશ્ન પણ ઊભો થાય છે.
શું ત્રીજા ક્રમે આવેલા વરિષ્ઠ અધિકારી ડૉ. નીરજા ગોત્રુને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવશે? અથવા મનોજ શશિધરને ડેપ્યુટેશનમાંથી પરત બોલાવવામાં આવશે? જો આવું ન થાય તો શું 1996 અથવા 1997 બેચના અધિકારીઓમાં મોટા પાયે ફેરબદલ કરવા સરકાર તૈયાર છે? આવા અનેક પ્રશ્નોના કારણે માત્ર DGP પદ માટેનો નિર્ણય પણ વ્યાપક વહીવટી પુનર્ગઠન સાથે જોડાઈ જાય છે.
જાણકારોના મતે જીએસ મલિકને અમદાવાદમાંથી હટાવવાનો કોઈપણ નિર્ણય માત્ર એક પોસ્ટનો ફેરફાર નહીં પરંતુ સમગ્ર વરિષ્ઠ કેડરના અનેક અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફારનું કારણ બની શકે છે.
સરકારની પ્રાથમિકતા હાલ રાજકીય અને સુરક્ષા પડકારો
સૂત્રોના જણાવ્યા મુજબ હાલની રાજકીય પરિસ્થિતિમાં સરકારનું મુખ્ય ધ્યાન વિભાગીય ફેરબદલ કરતાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા સંબંધિત પડકારો પર કેન્દ્રિત છે.
રાજ્યમાં વિવિધ સંગઠનો અને વિરોધી રાજકીય જૂથો દ્વારા જુદા જુદા સ્વરૂપે ગૉરિલ્લા વિરોધની વ્યૂહરચનાઓ ઘડાઈ રહી છે. આવી સ્થિતિમાં સરકાર હાલના પ્રશાસનિક માળખાને સ્થિર રાખવા તરફ વધુ ઝુકાવ ધરાવે છે. જોકે જો કોઈ અધિકારીની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય અથવા વહીવટી સ્તરે કોઈ ખાસ જરૂરિયાત સર્જાય તો રાતોરાત નિર્ણય પણ લેવામાં આવી શકે છે.
પોલીસ ભવનની હલચલનો DGP બદલાવ સાથે સંબંધ નથી
છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ ભવન અને ગૃહ વિભાગમાં વધી રહેલી બેઠકો તથા વરિષ્ઠ અધિકારીઓની ગતિવિધિઓને પણ DGP બદલાવ સાથે જોડીને જોવામાં આવી રહી છે. જોકે સૂત્રો આ દાવાઓને નકારી રહ્યા છે.
તેમના જણાવ્યા મુજબ તાજેતરની બેઠકોનો મુખ્ય સંબંધ રાજ્યમાં ચાલી રહેલા “ઓપરેશન મ્યુલ હન્ટ”, ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો સામેની કાર્યવાહી તેમજ અન્ય કેટલાક સંવેદનશીલ વહીવટી અને રાજકીય મુદ્દાઓ સાથે છે. આ કારણોસર સતત સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે.
સૂત્રોનું કહેવું છે કે હાલ માત્ર DGP પદ જ નહીં પરંતુ રેન્જ કક્ષાના મહત્વના ફેરફારો અંગે પણ કોઈ સક્રિય વિચારણા ચાલી રહી નથી. સરકાર જરૂરી તમામ પરિબળોનું મૂલ્યાંકન કર્યા બાદ જ નિર્ણય લેશે.
હાલના સંજોગોમાં કાયમી DGPની નિમણૂકનો મુદ્દો દિવાળી બાદ જ ગંભીરતાથી આગળ વધે તેવી સંભાવના છે. સૂત્રોના મતે ગુજરાતને પૂર્ણકાલીન DGP ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે મળે તેવી શક્યતા સૌથી વધુ છે.
આ પણ વાંચો – ગુજરાતમાં નવી બનાસકાંઠા પોલીસ રેન્જની રચના, સરહદી સુરક્ષા મજબૂત કરવા ગૃહ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય
