- ખેડૂતોએ વાટાઘાટોનું આમંત્રણ ફગાવ્યું: કહ્યું- સરકાર 200% વળતરની વાત કરવી હોય તો પણ લેખિતમાં દરખાસ્ત મોકલે
મોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામમાં યોગ્ય વળતરની માંગ સાથે ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. આંદોલનકારી ખેડૂતોએ રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલું વાટાઘાટોનું આમંત્રણ સીધી રીતે ફગાવી દીધું છે. ખેડૂતોએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જ્યાં સુધી તેમની મુખ્ય ૬ માંગણીઓ પર લેખિત ખાતરી નહીં મળે, ત્યાં સુધી તેઓ કોઈ જ ચર્ચા માટે ટેબલ પર આવશે નહીં.
આમંત્રણ પત્રમાં સ્પષ્ટતા ન હોવાથી નારાજગી
સરકાર દ્વારા ખેડૂતોને ચર્ચા માટે બોલાવતો જે પત્ર મોકલવામાં આવ્યો હતો, તેમાં માત્ર એટલો જ ઉલ્લેખ હતો કે ખેડૂતોની રજૂઆતનો ‘અભ્યાસ’ કરવામાં આવ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ સ્વીકારવા બાબતે પત્રમાં કોઈ જ લેખિત સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ ગોળગોળ જવાબથી આંદોલનકારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેને પગલે તેમણે આ વાટાઘાટના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે.
ખેડૂતોની સરકાર સમક્ષ સ્પષ્ટ શરતો
ખેડૂતોએ પોતાની માંગણીઓને લઈને સરકાર સમક્ષ સ્પષ્ટ વલણ રજૂ કરતા જણાવ્યું છે કે:
જો સરકાર ૬ મુદ્દાની માંગણીઓને ૧૦૦% સ્વીકારવા તૈયાર હોય, તો તે અંગે લેખિતમાં બાંહેધરી આપે.
જો સરકારને આ માંગણીઓમાં કોઈ ફેરફાર કે વધુ સ્પષ્ટતાની આવશ્યકતા જણાતી હોય, તો ગાંધીનગર સ્થિત ઉર્જા વિભાગના સંબંધિત સચિવો અને અધિકારીઓ રજૂઆતનો ટેકનિકલી અભ્યાસ કરે.
આ અભ્યાસના આધારે જો સરકાર કોઈ સુધારેલી દરખાસ્ત રજૂ કરવા માંગતી હોય (ઉદાહરણ તરીકે: કોરિડોરમાં ૨૩૦% ને બદલે ૨૦૦% વળતરની વાત), તો તે નવી દરખાસ્ત પણ લેખિતમાં જ આપવામાં આવે.
લેખિત પ્રતિસાદ વિના ચર્ચા નહીં
ખેડૂતોએ ઉર્જા વિભાગ અથવા ખુદ મુખ્યમંત્રી મારફતે લેખિતમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે ફરીથી સરકારને અપીલ કરી છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે સરકાર જ્યારે લેખિતમાં ખાતરી આપશે, ત્યાર પછી જ તેઓ વાટાઘાટો માટે આગળ આવશે.
નોંધનીય છે કે, વીજ લાઇનના વળતર મુદ્દે મોરબી, જેતપર અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. હવે ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં છે અને માત્ર મૌખિક આશ્વાસનોથી માનવા તૈયાર નથી.
આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-2): અમદાવાદમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે?
