ઈન્દોર (03 માર્ચ 2026) : મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સોમવારે (2 માર્ચ) સીવર સફાઈ દરમિયાન ઝેરી ગેસના સંપર્કમાં આવતાં નગર નિગમના બે કર્મચારીઓના દમ ઘૂટીને મોત થયા છે. મૃતકોની ઓળખ કરણ યાદવ અને અજય ડોડી તરીકે થઈ છે.
હિંદુસ્તાન ટાઇમ્સ અને અન્ય મીડિયા અહેવાલો મુજબ, આ ઘટના ચોઇથરામ હોસ્પિટલના ગેટ પાસે દેવી અહિલ્યાબાઈ હોલ્કર ફળ અને શાકભાજી મંડીની સામે સાંજે લગભગ 6:30 વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સફાઈ અભિયાન દરમિયાન સીવર સક્શન મશીનનો એક પાઇપ તૂટીને ચેમ્બરમાં પડી ગયો હતો. આ પાઇપને બહાર કાઢવા માટે કરણ યાદવ ચેમ્બરમાં ઉતર્યા અને ઝેરી ગેસના કારણે બેહોશ થઈ ગયા. તેમને બચાવવા માટે અજય ડોડી પણ નીચે ઉતર્યા પરંતુ તેઓ પણ ઝેરી ગેસની ચપેટમાં આવીને બેહોશ થઈ ગયા હતા. આ દરમિયાન બંનેના દમ ઘૂટીને મોત થયા હતા.
રાજ્ય આપદા રાહત બળ (SDRF)ની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા. અતિરિક્ત પોલીસ ઉપાયુક્ત સુમિત કેરકટ્ટા અને પોલીસ ઉપાયુક્ત શ્રીકૃષ્ણ લાલચંદાનીએ આ વિગતો આપીને ઘટનાની પુષ્ટી કરી હતી.
એક પ્રત્યક્ષદર્શીએ હિંદુસ્તાન ટાઇમ્સને જણાવ્યું કે બંને કર્મચારીઓ સુરક્ષા ઉપકરણો (માસ્ક, ઓક્સિજન સિલિન્ડર વગેરે) વગર જ ચેમ્બરમાં ઉતર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ઘટના બાદ બે કલાક સુધી પોલીસ, નગર નિગમના કર્મચારીઓ કે એમ્બ્યુલન્સ પણ મોકે પહોંચી ન હતી. રાહદારીઓએ જાતે જ બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
મુખ્યમંત્રી મોહન યાદવે ઘટના પર શોક વ્યક્ત કર્યો અને બંને પરિવારોને 30-30 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. આ આદેશ સુપ્રીમ કોર્ટના 2023ના નિર્દેશ મુજબ છે, જેમાં સીવર સફાઈ દરમિયાન મોત થતાં પરિવારને 30 લાખ રૂપિયા મુઆવજો આપવાનું અને તે ઘટના બાદ 3 અઠવાડિયામાં જ આપવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ આ રકમ 10 લાખ હતી, જેને કોર્ટે વધારી છે.
ઈન્દોર નગર નિગમે રાત્રે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે સેપ્ટિક ટેંક ખાલી કર્યા બાદ વાહનથી પાણી છોડતી વખતે આ ઘટના બની હતી. કમિશનર ક્ષિતિજ સિંઘલે કહ્યું કે કરણ યાદવ પાઇપ બહાર કાઢવા માટે ઉતર્યા અને અજય તેમને બચાવવા ગયા.
આ ઘટના મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ 2013ના ઉલ્લંઘનને ફરી ઉજાગર કરે છે, જેમાં સીવરમાં માણસને મોકલવા પર પૂર્ણ પ્રતિબંધ છે અને વિશેષ પરિસ્થિતિમાં પણ 27 નિયમોનું પાલન કરવું જરૂરી છે. છતાં પણ દરરોજ આવા હાદસા બને છે, જે સુરક્ષા માપદંડો અને મશીનરીના અભાવને દર્શાવે છે.
