અભિષેક પાંડેય, અમદાવાદ : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કોરેક્સ કફ સિરપના બાકી નીકળતા પૈસાની લેતીદેતીમાં ૩૦ વર્ષીય મઝહર અન્સારીની સરાજાહેર ચપ્પુના ઘા ઝીંકીને કરાયેલી નિર્મમ હત્યાને હજુ માંડ એક અઠવાડિયું (સાત દિવસ) વિત્યું છે. ત્યાં જ આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની લાચારી તથા ગુનેગારોની બેફામ હિંમતનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ગત રવિવાર, ૫ જુલાઈના રોજ ઇન્ડિયન મેડિકલ સ્ટોર પર જે લોહીયાળ ખેલ ખેલાયો હતો અને જે કાળા કારોબારના કારણે એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો, બરાબર એ જ ગેરકાયદેસર ધંધાને ફરીથી ધમધમતો કરવા માટે ઇન્ડિયન મેડિકલ સ્ટોરની બિલકુલ સામે જ નવા મેડિકલ સ્ટોરના રિનોવેશનની કામગીરી ધડાધડ શરૂ કરી દેવામાં આવી છે. આ નવી દુકાન શરૂ કરનાર બીજું કોઈ નહીં, પરંતુ કફ સિરપના ગોરખધંધાનો મુખ્ય સંચાલક શોએબ શેખ હોવાનું સામે આવતાં સ્થાનિક રહિશોમાં ભારે આક્રોશ અને અચરજ ફેલાયું છે. આ સમગ્ર ઘટના એવો સવાલ ઊભો કરે છે કે આખરે આ સિસ્ટમને શું કહેવું?
ઉલ્લેખનીય છે કે, ગોમતીપુર પોલીસના સત્તાવાર વર્ઝન મુજબ મઝહર અન્સારીની હત્યા મામૂલી ઝઘડામાં થઈ હતી, જેમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આસિફ શેખ અને સોહેલ અન્સારી નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જ્યારે મોહસીન શેખ નામનો આરોપી હજુ પણ ફરાર છે. પરંતુ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ અને આસપાસના લોકોના ખુલાસા મુજબ અસલી વાર્તા કંઈક જુદી જ છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે કફ સિરપના જૂના બાકી પૈસા વસૂલવાની બાબતે શોએબ શેખ અને મૃતક મઝહર અન્સારી વચ્ચે દુકાન પર ઉગ્ર ઝઘડો શરૂ થયો હતો. આ બોલાચાલી દરમિયાન શોએબનો ભાઈ આસિફ શેખ પોતાના સંબંધી મોહસીન શેખ સાથે ત્યાં દોડી આવ્યો હતો અને ગાળાગાળી વચ્ચે મોહસીને મઝહર સાથે હાથાપાઈ શરૂ કરી દીધી હતી, જેનો અંત મઝહરને ચપ્પુના અસંખ્ય ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓ સ્પષ્ટપણે દાવો કરી રહ્યા છે કે શોએબ શેખ પોતે આ ઘાતકી હત્યાકાંડમાં સક્રિય રીતે સામેલ હતો. તેમ છતાં ગોમતીપુર પોલીસે તેને આ કેસમાં આરોપી કે સહ-આરોપી બનાવ્યો નથી. સ્ત્રોતોના મતે, પોતાના કફ સિરપના ગેરકાયદેસર નેટવર્કના કારણે શોએબ સ્થાનિક સ્તરે એટલા મજબૂત સંબંધો અને વગ ધરાવે છે કે તેને આ સમગ્ર હત્યાકાંડમાંથી બહુ આસાનીથી બચાવી લેવામાં આવ્યો છે.
સૂત્રો અને જાણકારો પાસેથી મળતી આંતરિક માહિતી મુજબ, શોએબ શેખે ગોમતીપુર વિસ્તારમાં ઇન્ડિયન મેડિકલ સ્ટોરના ઓઠા હેઠળ કફ સિરપનો આ કાળો કારોબાર ચલાવવા માટે સ્થાનિક વહીવટદાર રાજુ દેસાઈ પાસેથી ચોક્કસ મંજૂરી મેળવી રાખી હતી. આ આખું નેટવર્ક રાજુ દેસાઈના ખાસ માણસ અકરમ મશીનવાલાના સીધા દિશાનિર્દેશ અને આયોજન મુજબ જ ઓપરેટ થતું હતું.
હદ તો હવે એ વાતની થઈ છે કે, જે મેડિકલ સ્ટોરના કાળા ધંધાના કારણે પ્રત્યક્ષદર્શીઓના મતે ખુદ શોએબે અને પોલીસના ચોપડે તેના સગા ભાઈ આસિફ સહિતના સાગરીતોએ મળીને એક સપ્તાહ પહેલાં એક યુવકની હત્યા કરી હતી, તે ઘટનાના લોહીના ડાઘ હજુ સુકાયા પણ નથી ત્યાં જ એ જ કાળી કમાણી માટે સામે જ નવી દુકાન શરૂ કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ અગાઉ પણ શોએબ શેખ આ જ પંથકમાં ‘એશિયન મેડિકલ સ્ટોર’ના નામે આ જ પ્રકારનો કફ સિરપનો ગેરકાયદેસર ધંધો કરતો હતો. પરંતુ જ્યારે ત્યાં કાયદાકીય તપાસ અને રેડનો સિલસિલો વધ્યો ત્યારે તેણે શાતિરતાથી એ દુકાન બંધ કરીને પાડોશમાં જ ‘ઇન્ડિયન મેડિકલ સ્ટોર’ના નામે નવો અડ્ડો ખોલી નાખ્યો હતો અને હવે તે ત્રીજી નવી દુકાન ખોલવા જઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ હવે સ્થાનિક જનતા વહીવટી તંત્ર સામે સીધા અને તીખા સવાલો ઉઠાવી રહી છે કે ગોમતીપુર વિસ્તારમાં ખરેખર કાયદો અને પોલીસનું શાસન ચાલે છે કે પછી વહીવટદાર રાજુ દેસાઈ અને તેના માણસોનું પોતાનું આગવું, અલાયદું શાસન પ્રવર્તે છે. જ્યાં સુધી કથિત આર્થિક વ્યવહારો કે ભરણ સમયસર ચૂકવવામાં આવતું હોય, ત્યાં સુધી શું આ વિસ્તારમાં ઝેર વેચવાથી લઈને સરાજાહેર હત્યા કરવા સુધીના તમામ ગુનાઓ માફ કરી દેવામાં આવે છે?
એક તરફ એક પરિવારનો દીકરો નશાના કારણે મોતને ભેટે છે અને બીજી તરફ મુખ્ય સૂત્રધાર કાયદાના સકંજાથી દૂર રહીને બમણી હિંમત સાથે ફરીથી નવો અડ્ડો ઊભો કરી રહ્યો છે. આ સમગ્ર ઘટના કાયદાના રક્ષકોની કામગીરી સામે બહુ મોટું સવાલિયા નિશાન ઊભું કરે છે.
