ભેજાબાજ ટોળકીએ સરદાર પટેલ એરપોર્ટ પર જાણીતી બ્રાન્ડનું કરોડોનું સોનું ઉડાવી લીધું, પણ ફરિયાદ કોણ નોંધાવે તે અંગે સર્જાયો વિવાદ!
અભિષેક પાંડેય, અમદાવાદ : સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફિલ્મી અંદાજની એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. ભેજાબાજ ટોળકીએ દેશની જાણીતી જેમ્સ, જ્વેલરી અને લાઇફસ્ટાઇલ સેગમેન્ટ સાથે જોડાયેલી એક બ્રાન્ડનું અંદાજે 20 કિલો સોનું ઉડાવી લીધું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે આ બ્રાન્ડ કંપનીના દેશભરમાં સૈંકડો સ્ટોર્સ છે અને તે દેશના સૌથી જૂના ઔદ્યોગિક ઘરાણાં સાથે સંકળાયેલી છે.
માહિતી મુજબ, આ સોનું એક કેરિયર કંપની મારફતે ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યું હતું. એરપોર્ટ પર લોડર ટીમ સાથે સંકળાયેલી ભેજાબાજ ટોળકીએ પૂર્વ આયોજન સાથે આ લૂંટને અંજામ આપ્યો હતો. ટોળકીએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે ઓપરેશન પાર પાડ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ગોપનીયતા સાથે તપાસ શરૂ, ક્રાઇમ બ્રાન્ચ પણ અજાણ!
આ સમગ્ર મામલે પોલીસ તંત્રે અત્યંત ગોપનીયતા સાથે તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અત્યાર સુધી આ કેસની માહિતી ખૂબ જ મર્યાદિત અધિકારીઓ સુધી જ સીમિત રાખવામાં આવી છે. આ હદ સુધી કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પણ આ કેસની સત્તાવાર જાણ પહોંચી નથી અથવા તેમને જાણબૂઝીને દૂર રાખવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.
તપાસ દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં કુલ ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિઓને સરદાર પટેલ એરપોર્ટ, જૂનાગઢ અને બેંગલુરુમાંથી ઉઠાવવામાં આવ્યા છે. તેમ છતાં, હજુ સુધી આ કેસમાં સત્તાવાર FIR નોંધાઈ નથી.
FIRનો મોટો પેંચ: બ્રાન્ડ કંપની કે કેરિયર કંપની?
FIR નોંધવામાં એક મહત્વનો પેંચ ઉભો થયો છે. માહિતી મુજબ, સંબંધિત જેમ્સ અને જ્વેલરી બ્રાન્ડ આ કેસમાં ફરિયાદી બનવા તૈયાર નથી અને તે કેરિયર કંપની દ્વારા ફરિયાદ નોંધાવવાની માગણી કરી રહી છે. બીજી તરફ, પોલીસ મુખ્ય બ્રાન્ડ કંપની દ્વારા FIR નોંધાય તેની રાહ જોઈ રહી છે.
બ્રાન્ડ કંપનીનું માનવું છે કે કેરિયર કંપનીને સત્તાવાર રીતે માલ હેન્ડઓવર કર્યા બાદ હવે આ મામલે જવાબદારી કેરિયર કંપની અને ઇન્શ્યોરન્સ કંપનીની બને છે. આ મતભેદને કારણે કેસમાં સત્તાવાર કાર્યવાહી આગળ વધવામાં વિલંબ થઈ રહ્યો છે.
CCTV ફૂટેજ મળ્યા, પણ ફરિયાદ વિના તપાસ અટકી!
સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસને CCTV ફૂટેજ સહિત કેટલાક મજબૂત પુરાવા હાથ લાગ્યા છે. તેમ છતાં, સત્તાવાર ફરિયાદના અભાવે તપાસ પ્રક્રિયા સંપૂર્ણ રીતે આગળ વધી શકી નથી.
આ સમગ્ર મામલે પોલીસ એટલી ગોપનીયતા કેમ રાખી રહી છે તે પણ સમજ બહારનું બન્યું છે. વિભાગ સાથે જોડાયેલા સૂત્રોમાં પણ આ મુદ્દે ચર્ચા અને તર્કવિતર્ક ચાલી રહ્યા છે.
