અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં ગેરકાયદેસર જુગારના ધંધાએ હવે ખુલ્લેઆમ માથું ઊંચક્યું છે. આ સમગ્ર ગોઠવણના કેન્દ્રમાં ‘મુંગડા’ નામનો એક વ્યક્તિ હોવાનું સૂત્રો કહે છે, જે જયપાલ નામના કૉન્સ્ટેબલના સંરક્ષણ હેઠળ જુગારધામ ચલાવી રહ્યો હોવાના સીધા આક્ષેપો થઈ રહ્યા છે.
માહિતી મુજબ, સરદારનગર આજે ગુજરાતના મોટા જુગાર કેન્દ્રોમાંથી એક બની ગયું છે. અહીં અનેક પ્રકારના જુગાર રમાડવામાં આવે છે, જેમાં “દાણાનો જુગાર” મુખ્ય છે. આ રમતમાં રોજ લાખો રૂપિયાની લેવડદેવડ થતી હોવાની ચર્ચા છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જુગારિયાઓ અહીં પહોંચે છે.
આ સમગ્ર પ્રકરણમાં જયપાલ નામના વહિવટદારનું નામ કેન્દ્રમાં છે. જયપાલ શહેરના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, છતાં સરદારનગરમાં વહિવટદાર તરીકે કામ કરી રહ્યો છે. મુંગડાનું આ જુગારધામ જયપાલની મંજૂરી અને સંરક્ષણ હેઠળ ચાલી રહ્યું હોવાના દાવા છે.

આ સિસ્ટમને સંચાલિત કરવા બદલ મુંગડા દ્વારા દરરોજ અંદાજે ₹2.5 લાખ સુધીની રકમ જયપાલને વહિવટના ભાગરૂપે આપવામાં આવતી હોવાની ચર્ચા છે, જેથી આ જુગારધામ બિનઅડચણ ચાલુ રહી શકે. આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, છતાં સ્થાનિક સ્તરે આ ચર્ચાઓ મજબૂત બની રહી છે.
સ્થાનિકોમાં સીધો સવાલ ઊભો થયો છે કે આટલા મોટા પાયે જુગાર ચાલી રહ્યો છે તો શહેરનું પોલીસ તંત્ર અજાણ કેવી રીતે રહી શકે. કાર્યવાહીનો અભાવ તંત્રની નિષ્ક્રિયતા કે સંભવિત સંડોવણી તરફ ઈશારો કરે છે. પરંતુ સામે આવી રહેલી વિગતો સૂચવે છે કે સરદારનગરમાં ગેરકાયદેસર જુગાર માત્ર ચાલતો નથી, પરંતુ સંરક્ષણ હેઠળ ફેલાઈ રહ્યો છે.
