વીડિયો વાયરલ થયાં છતાં કાર્યવાહી શૂન્ય, પશ્ચિમમાંથી સરદારનગર સુધી ફેલાયેલ ગેરકાયદેસર વહિવટ
શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂ અને જુગારના ગેરકાયદેસર ધંધાઓને લઈને ફરી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અનેક વીડિયો સ્પષ્ટ દર્શાવે છે કે સરદારનગરમાં દારૂનો માત્ર વેપાર ચાલુ નથી, પરંતુ ખુલ્લેઆમ અને બેફામ રીતે ધમધમી રહ્યો છે. તેથી સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અનેક તર્ક-વિતર્ક અને આશંકાઓ ઊભી કરે છે.
આ સમગ્ર પ્રકરણમાં ‘જયપાલ’નું નામ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. સૂત્રો અનુસાર, જયપાલ પોતાના સાથીઓ લગધીર, સંદીપ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તૈનાત સિદ્ધરાજ સાથે મળીને સરદારનગરના ગેરકાયદેસર નેટવર્કને સંચાલિત કરી રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે આ તમામ લોકો શહેરના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા હોવા છતાં, સરદારનગરમાં શું થશે અને કેવી રીતે થશે તે પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનું કહેવાય છે.
વાયરલ થયેલા વીડિયોમાં દેખાતા દ્રશ્યો માત્ર કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવતા નથી, પરંતુ ગોઠવાયેલ વહિવટી સિસ્ટમ તરફ સ્પષ્ટ સંકેત આપે છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે સરદારનગરમાં દારૂ નદીની જેમ વહે છે અને આ બધું કોઈની મંજુરી વિના શક્ય નથી.
જાણકારોના જણાવ્યા મુજબ, જયપાલ અગાઉ પશ્ચિમના એક પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર વસૂલાત અને પરમિશન સિસ્ટમ માટે ઓળખાતો હતો. થોડા સમય પહેલાં થયેલા PI લેવલના ટ્રાન્સફર બાદ તેણે પોતાની કામગીરીનું કેન્દ્ર સરદારનગર તરફ ખસેડ્યું છે. હવે ત્યાં પણ એ જ મોડેલ અમલમાં મુકાયો હોવાનો આક્ષેપ છે, જેમાં દરેક ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે નક્કી દરે વસૂલાત અને રક્ષણ આપવામાં આવે છે.
આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બધું ચાલે છે તો તેના પાછળ કોણ છે. શું કોઈ ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી છત્રછાયા આ નેટવર્કને રક્ષણ આપી રહી છે. કારણ કે જેટલા મોટા પાયે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તે માત્ર સ્થાનિક સ્તરે શક્ય લાગતું નથી.
સ્થાનિક પોલીસની ભૂમિકા પણ પ્રશ્નચિહ્ન હેઠળ છે. વાયરલ વીડિયોઝ, ખુલ્લેઆમ ચાલતા ધંધા અને સ્થાનિક લોકોના આક્ષેપો છતાં કોઈ કડક કાર્યવાહી ન થવી એ દર્શાવે છે કે તંત્રની અંદરથી જ આ પ્રવૃત્તિઓને સહકાર મળી રહ્યો છે.
સરદારનગર પહેલેથી જ દારૂ અને જુગાર માટે કૂખ્યાત છે. હવે અહીં સિસ્ટમેટિક ક્રાઇમ મેનેજમેન્ટનો એક નવો મોડેલ ઉભો થયો હોવાની ચર્ચા છે. જો તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આ વિસ્તાર સંપૂર્ણપણે ગેરકાયદેસર તત્વોના કબ્જામાં જઈ શકે છે.
આ પણ વાંચો – અમદાવાદમાં બે મોટી ચોરી : 18.72 લાખના કોપર વાયર તો 44.92 લાખના પાનમસાલાનો માલ ચોરાયો
