અમદાવાદ સોલા સિવિલમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી જાણકારી અનુસાર, સોલા સિવિલમાં એક પીજી વિદ્યાર્થીની આંખો ઉંદરે કોતરી ખાધી છે. આ સમાચાર બહાર આવતા જ હોબાળો મચી ગયો છે. આ અંગે એવા સમાચાર મળી રહ્યા છે કે, પાછલા ઘણા સમયથી અમદાવાદ સોલા સિવિલમાં પીજી રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ગંદકી અને વ્યવસ્થાને લઈને ફરિયાદો કરવામાં આવી હતી.
જો કે, ડોક્ટરોની ફરિયાદોને નજરઅંદાજ કરી દેવામાં આવી હતી. તેનું પરિણામ તે આવ્યું છે કે, અંતે એક વિદ્યાર્થી પોતાની આંખો ગુમાવી શકે છે. આ ગંદકીના કારણે ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. આ સિવાય સોલા સિવિલ અને આસપાસ ગંદકીના સામ્રાજ્યના કારણે મચ્છરોનો પણ ત્રાસ વધી ગયો છે.
આંખ વિભાગના પીજી રેસિડેન્ટ ડોક્ટરોએ આ ઘટના બાદ ખુલ્લેઆમ વાત કરી અને કહ્યું કે વોર્ડમાં નિયમિત સ્વચ્છતાનો અભાવ છે, જેના કારણે ઉંદરોની અવરજવર સતત રહે છે. RO પીવાનું પાણીની વ્યવસ્થા નથી. એર કન્ડિશનર (AC) કે પર્યાપ્ત વેન્ટિલેશનની સુવિધા નથી. ઇમર્જન્સી કેસ ન હોવા છતાં પણ રાત્રે વોર્ડમાં સૂવાની ફરજ પાડવામાં આવે છે. અઠવાડિયામાં રજાનો પણ પૂરતો સમય મળતો નથી, જેનાથી શારીરિક અને માનસિક તણાવ વધે છે.
આ બધી સમસ્યાઓને કારણે રેસિડેન્ટ ડોક્ટરોમાં અસંતોષ વધ્યો છે અને તેઓ કહે છે કે, “આંખના ડોક્ટરની આંખ પર જ ઉંદર કરડે એ વાત આખા તંત્ર માટે શરમજનક છે.”
તબીબી વર્ગની પ્રતિક્રિયાઆ ઘટના બાદ આંખ વિભાગ સહિત હોસ્પિટલના અન્ય વિભાગોના સિનિયર અને જુનિયર ડોક્ટરોએ પણ સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ મજબૂત કરી છે. તેઓનું કહેવું છે કે, હોસ્પિટલના વોર્ડમાં નિયમિત પેસ્ટ કંટ્રોલ અને સફાઈની જરૂર છે. રેસિડેન્ટ ડોક્ટરોને યોગ્ય આરામ અને કામના કલાકોનું પાલન થવું જોઈએ. આ પ્રકારની ઘટનાઓ દર્દીઓની સુરક્ષા તેમજ સ્ટાફના આરોગ્ય માટે પણ જોખમી છે.
સરકારી હોસ્પિટલોમાં મૂળભૂત સ્વચ્છતા અને સુવિધાઓનો અભાવ એ માત્ર એક વિભાગની સમસ્યા નથી, પરંતુ આખી સિસ્ટમ માટે ચેતવણી છે. આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે ડોક્ટરોના આરોગ્ય અને સુરક્ષા વિના દર્દીઓની સારવાર કેવી રીતે અસરગ્રસ્ત થઈ શકે છે. એવી આશા કરવામાં આવી રહી છે કે આ ઘટના પછી સંબંધિત અધિકારીઓ તાત્કાલિક અને અસરકારક પગલાં લેશે, જેથી આવી દુ:ખદ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
આ પણ વાંચો – ધરતી પુત્રોને પ્રકૃતિનો માર, વિજળી પડતા માલધારીનું મોત- રાજ્યભરમાં ઘઉંના પાકને મોટું નુકશાન
