- રાજ્યપાલ બદલાયા, SIRમાં વિલંબ – શું બંગાળમાં ફરી રાષ્ટ્રપતિ શાસન આવી રહ્યું છે?
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનનો ઈતિહાસ ખૂબ લાંબો નથી. છેલ્લી વખત 30 એપ્રિલ 1977ના રોજ કેન્દ્ર સરકારે તત્કાલીન મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રેની સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હતું, જે વામમોર્ચા સરકારના શપથ ગ્રહણ સુધી માત્ર 52 દિવસ ચાલ્યું હતું.
પરંતુ હવે 49 વર્ષ પછી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ગલીયારાઓમાં એક જ સવાલ ગુંજી રહ્યો છે. શું બંગાળ ફરી એક વખત રાષ્ટ્રપતિ શાસન તરફ આગળ વધી રહ્યું છે? વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 7 મે સુધી છે. જો તે સમય સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય અને નવી સરકારનું ગઠન ન થાય તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું બંધારણીય જરૂરિયાત બની જશે.
ચૂંટણી આયોગની મુલાકાત અને તેના સંકેતો
ચૂંટણી આયોગની પૂર્ણ બેન્ચે ત્રણ દિવસના કોલકાતા પ્રવાસ દરમિયાન તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ચૂંટણી તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું હતું. પ્રવાસના છેલ્લા દિવસે 10 માર્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દા પર પૂછાયેલા સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.
તેમણે માત્ર એટલું જ કહ્યું કે દિલ્હી પરત ફર્યા પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ઊંડી સમીક્ષા કર્યા પછી ચૂંટણીની તારીખ અને મતદાનના તબક્કાઓ અંગે નિર્ણય લેવામાં આવશે. હવે બધી નજરો કેન્દ્રને સોંપવામાં આવનાર આયોગની રિપોર્ટ પર ટકેલી છે.
આયોગની ટીમ સાથેની મુલાકાત દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ સિવાય બાકીના રાજકીય પક્ષોએ એક કે મહત્તમ બે તબક્કામાં મતદાન કરાવવાની માંગ કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે EVM પર ઉમેદવારોની રંગીન તસવીર લગાવવામાં આવશે. કોઈ ઉમેદવાર ઈચ્છે તો મતદાનના 7 દિવસની અંદર EVMની તપાસ કરાવી શકશે. તેમણે કહ્યું કે પારદર્શિતા માટે દરેક મતદાન કેન્દ્ર પર વેબકાસ્ટિંગની વ્યવસ્થા રહેશે અને કોઈ પણ મતદાન કેન્દ્ર પર 1,200થી વધુ મતદાતા નહીં હોય.
પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું ચૂંટણી પહેલાં વિચારાધીન રહેલા લગભગ 60 લાખ લોકોના દસ્તાવેજોની તપાસ પૂર્ણ થઈ શકશે? આયોગનું કહેવું છે કે હજુ પૂરતો સમય છે અને તેમનો હેતુ શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવાનો છે.
રાજ્યપાલના રાજીનામાં વચ્ચે વધતી આશંકા
મમતા બેનર્જી વિપક્ષમાં હતા ત્યારે વામમોર્ચા સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની વારંવાર માંગ કરતા હતા. પરંતુ હવે તેમની સરકાર સામે જ ભાજપ આ માંગ કરી રહી છે.
આ આશંકાઓને વધુ બળ મળ્યું રાજ્યપાલના અચાનક બદલાઈ ગયા છે. સી.વી. આનંદ બોઝે અચાનક રાજીનામું આપી દીધું અને તેમની જગ્યાએ તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિને બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સામાન્ય રીતે વિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળ જેવા રાજ્યમાં રાજ્યપાલને અચાનક બદલવાના કોઈ કેસ જોવા મળ્યો નથી.
સી.વી. આનંદ બોઝની જગ્યાએ આર.એન. રવિને રાજ્યપાલ બનાવ્યા પછી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ સવાલ ઉઠાવ્યા છે કે શું કેન્દ્ર સરકાર અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની યોજના બનાવી રહી છે? જે રાજ્યપાલે તમિલનાડુમાં ઘણી સમસ્યાઓ ઊભી કરી હતી, તેમને બંગાળની જવાબદારી કેમ સોંપવામાં આવી? મમતાએ ધરણા મંચ પરથી કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય તો સારું છે, તેમને થોડો આરામ મળશે અને ત્યારબાદ તેઓ આંદોલન માટે રસ્તા પર ઉતરશે.
રાષ્ટ્રપતિના પ્રવાસ પર વિવાદ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગયા અઠવાડિયે સિલીગુડી પાસે આદિવાસીઓના આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરવા બંગાળ પહોંચ્યા હતા. તેમણે વ્યવસ્થા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મમતા કદાચ કોઈ કારણસર તેમનાથી નારાજ છે, એટલે તેમની સાથે કોઈ મંત્રી પણ આગવાની માટે નહોતા આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર પોસ્ટ કરીને તૃણમૂલ કોંગ્રેસ પર રાષ્ટ્રપતિના અપમાનનો આરોપ લગાવ્યો હતો.
બીજી તરફ મમતા બેનર્જીનું કહેવું હતું કે રાષ્ટ્રપતિનો પ્રવાસ એક ખાનગી આયોજનના સંદર્ભમાં હતો. તેમ છતાં સરકારે પ્રોટોકોલનું પૂરેપૂરું પાલન કર્યું હતું. સિલીગુડીના મેયર સહિત વરિષ્ઠ અધિકારીઓ તેમના વેબકમ માટે હાજર હતા. તેમની દલીલ હતી કે તેઓ સામાન્ય લોકોના હક માટે ધરણા પર બેઠા હતા, એટલે રાષ્ટ્રપતિને લેવા માટે કેવી રીતે જઈ શકતા હતા. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન દરેક ચૂંટણી પહેલાં બંગાળને નિશાન બનાવે છે અને રાજ્યનું અપમાન કરે છે.
SIR પ્રક્રિયા અને મોટો સવાલ
રાજ્યમાં નવેમ્બરથી ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા તૃણમૂલ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો માટે ગળાની ફાંસ બની ગઈ છે. નિર્ધારિત સમય પૂરો થઈ ગયો છતાં લગભગ 60 લાખ લોકોના નામ વિચારાધીન શ્રેણીમાં છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બંગાળ ઉપરાંત ઝારખંડ અને ઓડિશાના લગભગ 700 ન્યાયિક અધિકારીઓ સંબંધિત મતદાતાઓના દસ્તાવેજોની તપાસમાં લાગેલા છે.
આ પ્રક્રિયા હવે કલકત્તા હાઈકોર્ટની નજર હેઠળ ચાલી રહી છે. 10 માર્ચ સુધીમાં માત્ર 10.16 લાખ લોકોના દસ્તાવેજોની જ તપાસ થઈ શકી છે. એવામાં સવાલ ઊભો થાય છે કે બાકીના લોકોના દસ્તાવેજોની તપાસ પૂર્ણ ન થાય તો તેમના નામ મતદાતા યાદીમાં કેવી રીતે સામેલ થશે અને તેમના વગર ચૂંટણી કેવી રીતે કરાવી શકાશે? આયોગના સૂત્રો કહે છે કે આ કામમાં લગભગ બે મહિના લાગી શકે છે.
SIRના મુદ્દે ભાજપ અને ચૂંટણી આયોગ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસે કોલકાતામાં પાંચ દિવસ સુધી ધરણું યોજ્યું હતું. તેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પાર્ટીના મહાસચિવ સાંસદ અભિષેક બેનર્જી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. 10 માર્ચની રાત્રે આ ધરણું સમાપ્ત થયું.
મમતાનો આરોપ છે કે SIRના બહાને ભાજપ અને આયોગની મિલીભગતથી કાયદેસર મતદાતાઓના નામ મતદાતા યાદીમાંથી કાઢી નાખવાની સાઝીશ ચાલી રહી છે. મુખ્યમંત્રી તરીકે મમતા આ પહેલાં 2019માં કોલકાતાના તત્કાલીન પોલીસ કમિશનર અને હવે તૃણમૂલના રાજ્યસભા સાંસદ રાજીવ કુમારના ઘરે CBIના દરોડા દરમિયાન પણ આ જ જગ્યાએ ધરણા પર બેઠા હતા.
નિવૃત્ત નેતાઓની ખાનગી વાતચીતમાં પણ તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતાઓ રાષ્ટ્રપતિ શાસનની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે આ આશંકાને ધ્યાનમાં રાખીને જ મુખ્યમંત્રી છેલ્લા પાંચ દિવસથી કોલકાતામાં ધરણા પર બેઠા છે.
સીપીએમ નેતા મોહમ્મદ સલીમે કહ્યું, “અમે ચૂંટણી આયોગને કહી દીધું છે કે 60 લાખ મતદાતાઓનું ભવિષ્ય અધારામાં રહે તો રાજ્યમાં ચૂંટણી કરાવવી શક્ય નથી.” તે જ સમયે પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શમીક ભટ્ટાચાર્યએ કહ્યું, “પાર્ટી સૈદ્ધાંતિક રીતે ધારા 356 હેઠળ કોઈ ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરવાની વિરુદ્ધ છે. પરંતુ બંગાળના લોકો મમતા બેનર્જી સરકારની બરખાસ્તગીના પક્ષમાં છે.”
રાજકીય વિશ્લેષકોના મતે સૌથી મોટો સવાલ એ છે કે શું ચૂંટણી પહેલાં SIR હેઠળ વિચારાધીન રહેલા લગભગ 60 લાખ લોકોના દસ્તાવેજોની તપાસ પૂર્ણ થઈ શકશે? અને જો નહીં તો શું તેમના વગર ચૂંટણી કરાવવામાં આવશે અથવા તેમાં થતા વિલંબને કારણે ચૂંટણીને ટાળીને રાષ્ટ્રપતિ શાસનની જમીન તૈયાર કરવામાં આવી રહી છે? આ સવાલનો જવાબ આગામી કેટલાક દિવસોમાં મળવાની શક્યતા છે.
આ પણ વાંચો – રિલાયન્સ અને ટ્રમ્પની મોટી ભાગીદારી : ટેક્સાસમાં 1.68 લાખ બેરલ ક્ષમતાની રિફાઇનરીની જાહેરાત
